દાદાજીની વાર્તા - 55
દાદાજીની વાર્તા - 55
ક્રાંતિ એટલે શું ?
સાંજનો સમય હતો. સૂર્ય આથમવા જઈ રહ્યો હતો. પશુઓ અને પક્ષીઓ પોતાના સ્થાન તરફ જઈ રહ્યાં હતાં. આ સમયે દાદાજી અને પૌત્ર મયંક ડૂબતા સૂરજ નિહાળી રહ્યા હતા. ત્યાં અચાનક મયંકે પૂછયું, દાદાજી ! આજે અમારે ભણવામાં ક્રાંતિ વિશે આવ્યું. શું તમે આ બાબતે કંઈ જાણો છો ?
દાદાજીએ જવાબ આપ્યો, ક્રાંતિની વ્યાખ્યા આપવી હોય તો આપણે એક કહી શકીએ કે ક્રાંતિ એટલે કોઈપણ દેશના આર્થિક, સામાજિક અને રાજકીય જીવનમાં આવતો મૂળભૂત પલટો. સમાજનાં બધાં ક્ષેત્રોમાંથી અન્યાયને સિંહાસન પરથી ઉતારીને ન્યાયની પ્રતિષ્ઠા સ્થાપવી એનું નામ ક્રાંતિ. ભૂતકાળના અનુભવો ઉપરથી વર્તમાનની પાંખે ઊડીને ભવિષ્યને નીરખવાનું ક્રાંતિ જ આપણને શીખવે છે. ક્રાંતિ પોતે બહુ ઝડપી હોય છે. આ સમાજમાં કશું જ સ્થિર નથી. ફેરફાર એ જગતનો નિયમ છે. જૂના રીત-રિવાજો, આચાર-વિચાર, સંસ્કારો અને પરંપરાઓ ક્રાંતિના પ્રવાહમાં ધોવાય છે અને સાફ થાય છે.
મયંકે મજાકમાં કહ્યું, વાહ, દાદાજી ! તમે તો મોટા જ્ઞાની છો હો !
દાદાજી કહે, સામાજિક, આર્થિક અને રાજકીય ક્રાંતિઓ થતી આવી છે અને થાય છે. કાળની ગતિ અનુસાર બદલાતાં મૂલ્યો જોતાં એ ઉચિત પણ છે, પરંતુ ક્રાંતિનું કામ માનવકોમને એક ડગલું આગળ વધારવાનું છે કોઈ શ્રેયની પ્રાપ્તિ કરવાનું છે. સત્યનું સ્વરૂપ બદલાઈને બેડોળ બની જાય ત્યારે એના મૂળ સૌંદર્યની પુન: પ્રતિષ્ઠા માહે ક્રાંતિ આવે તે સાચી ક્રાંતિ છે. પણ સત્યથી બેડોળ બની ગયેલી સુરતના વરવાપણા વિકાસને ઝડપી બનાવવાની મૂર્ખતાભર્યા પ્રયાસને ક્રાંતિ કહી શકાય નહીં. એ તો નરી અધોગતિ છે, પણ ઝૂલાની પંખાની જેમ માત્ર ગતિમાં માનનારા અધોગતિ અને પ્રગતિ વચ્ચેનો તફાવત સમજી શકતા નથી.
મયંક બોલ્યો, દાદાજી ! આ બાબત બીજું શું છે ?
દાદાજી બોલ્યા, ક્રાંતિનું કામ બધે વખતે ઉત્તમ કરવાનું નથી, પણ શકય તેટલું ઉત્તમ કરવાનું હોય છે. કારણ કે, ક્રાંતિ એ નીતિ નથી, નીતિ હંમેશાં ઉત્તમ વસ્તુની ચર્ચા કહે છે. પણ ક્રાંતિનાં પરિણામો ઉત્તમતાની નજીક જવાનો પ્રયત્ન કરે છે. કારણ કે ક્રાંતિનાં પરિણામો બધે વખતે ઉત્તમ જ આવે છે એવું નથી. ક્રાંતિ વિશેનું એક બીજું વિધાન જોઈએ. ઈટાલીયન ક્રાંતિકાર અને દેશભકત 'કાવુર' કહે છે કે, જે કામો મેં ક્રાંતિકાર-દેશભકત તરીકે કર્યાં છે, તે જ કામો જો ખાનગી વ્યક્તિ તરીકે કર્યાં હોય તો લોકો મને એક નંબરનો ગઠિયો કહે. ક્રાંતિકારને અને એના ક્રાંતિકારી સિદ્ઘાંતો એકાન્તિક કે વ્યક્તિગત આનંદની વસ્તુ નથી. કારણ કે, ક્રાંતિ એ માનવીની સર્વમાન્ય અનુભૂતિઓને એમના વિશિષ્ટરૂપે પ્રતિબિંબિત કરી વિશાળતમ જનસમુદાયનાં અંતરમનને હચમચાવી મૂકે તેવું એક સમર્થ સાધન છે. ક્રાંતિ બધે વખતે માત્ર સત્ય શોધતી નથી, છતાંય જેમ કારીગર પોતાનાં સાધનોનો વાંક કાઢીને બેસી રહેતો નથી, પણ જેવાં સાધનો હોય તેના વડે શકય તેટલું ઉત્તમ સર્જવાને પ્રયત્નશીલ રહે છે, તેમ ક્રાંતિકાર પણ બધે વખતે અનુકૂળ પરિસ્થિતિની રાહ જોતો નથી, પણ અનુકૂળ પરિસ્થિતિ ઊભી કરે છે.
(ક્રમશ:)