દાદાજીની વાર્તા - 52
દાદાજીની વાર્તા - 52
દાદાજી કહે, લોકો કસરત કરે છે. પણ તે શા માટે કરે છે, તેનો ખુલાસો સમજી લેવાની ખાસ જરૂર છે. ઘણા લોકો હજી પણ એમ જ માની બેઠા છે કે કસરત કરવાની જરૂરત એમને જ છે કે જેમને પહેલવાન બનવું હોય. આ ભ્રામક વિચાર છે. પહેલવાન બનવા માટે જ કસરત કરવી પડે, તે વગર કસરત કરવી એ જાણે પાપ જ છે તે વાત ગલત છે. એ ખ્યાલ ખોટો છે. પરંતુ કસરત નહીં કરવાથી આપણું શરીર ખામીયુકત તેમજ દુર્બળ બને છે. એટલું જ નહીં, પણ ખનેક પ્રકારના વ્યાધિઓ પણ આપણા ઉપર હુમલો કરી શકે છે. રોગી મનુષ્ય આ દુનિયામાં કશું મેળવી શકતો નથી. માટે જ શરીરને સુડોળ, સુંદર, નીરોગી તેમજ પુષ્ટ અને દીર્ઘાયુ બનાવવા આપણે દરરોજ વ્યાયામ કરવાની જરૂર છે. પછી જેમને પહેલવાન બનવું હોય તે ભલે તેવી જાતની વિશેષ કસરત કરે, પણ નાનાં-મોટાં સૌ કોઈ માટે નિયમિત ઓછા કે વધારે વ્યાયામની જરૂર છે જ. પ્રજા માટે જાહેર ખબરમાં લખાતી દવાઓ કે વિલાયતથી આવતી કોઈપણ પ્રકારની દવાઓ જીવનશક્તિ આપે કે જીવનનું પ્રમાણ વધારી શકે તેમ નથી. આપણા માટે તો એક જ માર્ગ છે અને તે વ્યાયામ જ. તે વડે આપણે આપણું બળ ફરી પાછું બરાબર પ્રાપ્ત કરી શકીએ તેમ છીએ.
મયંક કહે, કયારેક-કયારેક કસરત કરીએ તો ચાલેને ?
દાદાજી કહે, જરાય નહિ. નિયમિત વ્યાયામ કરવાથી આપણું મન પ્રસન્ન રહે છે. શરીરનું દરેક અંગ પોતપોતાનું કાર્ય બરાબર કરી શકે છે અને તેથી આરોગ્ય બરાબર ટકી રહે છે. આ સર્વ જેને મળે છે તેનું નામ પૂર્ણ આરોગ્ય છે. જે નિયમિત વ્યાયામ કરનારને જ મળે છે. આખો દહાડો સૂઈ, બેસી કે પડી રહેનાર કે નિયમિત વ્યાયામ નહીં કરનારાઓને આ વાતની કલ્પના પણ આવી શકે તેમ નથી. વિદેશી રમત-ગમતમાં બહુ જ મોટા ખર્ચા કરી એ રમત પાછળ જે ભોગ અપાય છે, એના બદલામાં તો આપણને કંઈ જ લાભ મળતો જોવામાં આવતો નથી. એથી જ ફરી પાછા આપણે આપણી પ્રાચીન વ્યાયામ પદ્ઘતિ તરફ આવવાની અને તેનો જ પ્રચાર કરવાની અતિ જરૂર છે. જ્યારે આપણે તેનો લાભ લઈશું ત્યારે આજના શિક્ષિત નવયુવાનો કે જે અત્યારે સાવ નિર્મલ્ય, નિસ્તેજ તથા સુસ્ત જોવામાં આવે છે તેવા નહીં, પણ ચુસ્ત, હ્યષ્ટપુષ્ટ તથા પહેલવાન જેવા જોવામાં આવશે. દરેક સ્ત્રી, પુરુષ, બાળક સર્વ માટે વ્યાયામની જરૂર છે. એટલું જ નહીં, પણ તે ભારતીય પ્રાચીન પદ્ઘતિના વ્યાયામથી જ ઓછા ખર્ચે વધુ લાભ મળે, તેવા વ્યાયામથી જ ઓછા ખર્ચે વધુ લાભ મળે, તેવા વ્યાયામની જરૂર છે.
(ક્રમશ:)