દાદાજીની વાર્તા - 34
દાદાજીની વાર્તા - 34
દાદાજીએ કહ્યું, યાંત્રિક રીતે બનતી ખોરાકની બધી જ જંકફુડ અને ફાસ્ટફુડ વસ્તુઓ ભલે સો ટકા સારી લાગે, પણ લાંબાગાળે તો આરોગ્ય માટે ખતરારૂપ છે. આમ, આધુનિક યંત્રોએ વાતાવરણ અને પાણીને અશુદ્ઘ કરીને અનેક પ્રકારનાં જંતુઓ પેદા કરી નવા રોગો જન્માવ્યા છે. 'પહેલા આવા રોગો નહોતા' એવું કહેનારા આજે ઘણા મળશે. કયાંથી હોય ? પહેલા આવાં યંત્રો પણ કયાં હતાં ? આવી યાંત્રિક ક્રિયાઓ પણ કયાં હતી ? કૃત્રિમ ખાતરોથી વધતા અન્ન-ઉત્પાદનથી અનાજનાં સ્વાદ-મીઠાશ ઘટયાં છે. હાઈબ્રીડ બાજરો એટલો મીઠો નથી, જેટલો જૂનો દેશી બાજરો મીઠો છે. બધા જ પ્રકારના ખાદ્ય પદાર્થોમાં ઉત્પાદન વધ્યું છે, પણ ગુણવત્તા ઘટી છે. આંધળાને આંખો આપનાર યાંત્રિક વિજ્ઞાને કૃત્રિમ મનોરંજન માટે ચલચિત્ર આપીને આંખો ઉપર માઠી અસર ઊભી કરી છે. આંખોને ચશ્મા અપાવનાર વિજ્ઞાને જ સ્વાભાવિક અંધારામાં જીવન વિતાવનાર આંખોનું તેજ ઘટાડયું છે. વીજળીના પ્રકાશમાં પ્રવૃત્ત આંખોને અંધારામાં ઓછું દેખાય છે. 'વેલ્ડીંગ મશીન' પણ આંખ સામેનો ખતરો છે. આધુનિક યંત્રોએ ઘોંઘાટ ઊભો કર્યો છે. એરોડ્રોમની ભાગોળે રહેનાર પરિવારોની પરેશાનીનો પાર નથી.
શાળાના આચાર્યએ કહ્યું, આ યંત્રનો કેવો ખરાબ પ્રભાવ પડે છે એ સમજાવોને !
દાદાજીએ પોતાની વાત આગળ વધારી, આધુનિક યંત્રોએ મૂડીનું કેન્દ્રીકરણ કરાવ્યું છે. પરિણામે વર્ગભેદ રચાયા. અમીર-ગરીબ, ઊંચ-નીચ, શિક્ષિત-અશિક્ષિત, શેઠ-નોકર, માલિક-ગુલામના વર્ગભેદોએ સમાજજીવનને છિન્નભિન્ન કરી નાખ્યું. મૂડી પાછળ આંધળી દોટ મૂકનાર માનવીમાં માનવતાનું તત્વ ઘટયું છે. આર્થિક અસમાનતાએ અનેક સામાજિક પ્રશ્નો ઊભા કર્યા છે. નાણાંની ઉપાસના કરનાર માનવી ફકત માનસિક મહેનત કરીને ઝપાટાબંધ પૈસાદાર થવા માગે છે. માનવીમાં આળસની માત્રા વધી ગઈ છે. અર્થોપાર્જન પાછળ થતી સામાન્ય મહેનત કરવા પણ આજનો માનવી તૈયાર નથી. ઘાસની ભારીઓ માથે ઊંચકનાર નારી આજે અરીસો પણ ઉપાડી શકતી નથી.
(ક્રમશ:)