દાદાજીની વાર્તા - 28
દાદાજીની વાર્તા - 28
વિદ્યા વિનયથી શોભે છે
શિક્ષકદિનમાં શિક્ષક બનેલો પૌત્ર મયંક શાળાએથી ઘેર આવ્યો અને દાદાજી સાથે મસ્તી કરવા લાગ્યો. પૌત્ર મસ્તી કરે એ દાદાજીને ખૂબ ગમે. છતાં આજે મયંકને થોડી શિખામણ દેવાનું મન થયું. એટલે મયંકની મસ્તીને અવગણીને તેઓ મૌન રહ્યા.
મયંક બોલ્યો, દાદાજી ! કંઈ તકલીફ છે ? શું થયું છે ?
દાદાજી કહે, તેં જે ભૂલ કરી તે મને ન ગમી.
મયંક કહે, કઈ ભૂલ ?
દાદાજી કહે, તેં મારું માન જાળવ્યા વગર મસ્તી કરી તે. જાહેર જીવનમાં આપણે એવી તો કેટલીયે ભૂલો કરીએ છીએ કે તે ભૂલો આપણને ભૂલ ન લાગતાં માત્ર સ્વાભાવિક વસ્તુ જ લાગે. કેટલીયે વાર આપણે એવું આચરણ રમત-રમતમાં કે ઠઠ્ઠા-મશ્કરીની પળમાં કરી નાખીએ છીએ કે હસતાં હસતાં કરવામાં આવેલી ભૂલ પણ આપણે માટે નુકસાનકારક નીવડતી હોય છે. પણ આવી ભૂલ માટે મનોમન સમાધાન કરી લઈને ભવિષ્યમાં કેળવવી જોઈતી વહેવારની સાવચેતી પણ જતી કરીએ છીએ અને આપણા આચરણને જાણ્યે-અજાણ્યે છૂટ્ટો દોર આપીને એક જવાબદાર નાગરિક તરીકેનું ઠીક આચરણ દેખાડવામાં પાછળ પડતા હોઈએ છીએ.
મયંક કહે, હું મારા દાદાજી સાથે મસ્તી કરું એ ભૂલ કઈ રીતે ?
દાદાજી બોલ્યા, હા, દીકરા ! મસ્તી કરવામાં કોઈ ભૂલ નથી, પણ તે વિનયપૂર્વકની મસ્તી હોવી જોઈએ. જાહેર જીવનમાં હરતાં-ફરતાં આપણે નાગરિક તરીકેના આચારમાં મૂકવાના જે સ્વાભાવિક ગુણો છે, તે પણ હજુ આપણા જીવનથી છેટા રહ્યા છે. ત્યારે સામાજિક વિનય એટલે શું ? વિનય કોને કહેવાય ? એ વિચારવું અનિવાર્ય છે. વિનય એટલે સમાજમાં આપણી સાથે સંબંધમાં આવતા લોકોને આપણા તરફથી વિના કારણે કોઈપણ જાતનું શારીરિક કે માનસિક દુ:ખ આપણી વાણી, વિચાર કે કર્મ દ્વારા ન પહોંચે તેવું સમજણપૂર્વકનું વર્તન.
મયંકે પૂછયું, આવું વર્તન કયું હોઈ શકે ?
(ક્રમશ:)
