દાદાજીની વાર્તા - 21
દાદાજીની વાર્તા - 21
મયંક હે, દાદાજી ! અત્યારે તો તમે કલાકાર જેવું કરો છો !
દાદાજી કહે, કલાકાર બનવા માટેનો પંથ સંસારના સામાન્ય પંથ કરતાં અલાયદો છે. યુક્તિનો જન્મ સંસારની અનેક બુરાઈઓ વચ્ચે થાય છે, જ્યારે કલાકારને એકાંત વિચારક અને પ્રેક્ષક બનવું પડે છે. યુક્તિ અનેક ભેજાઓની પેદાશ હોય શકે, જ્યારે કલાકાર કોઈનું બતાવેલું જોવા, કહેલું સાંભળવા કે બનાવેલું બનાવવા બંધાયેલો નથી. કલાકારસિક હૈયું તો સૃષ્ટિમાં ગમે ત્યાં ગમે તેવી પરિસ્થિતિમાં રખડતું હશે તો પણ અનેક પ્રસંગે વિવિધ વસ્તુઓ ઉપર એનું હૈયું મુગ્ધ થવાનું; મન પર આશ્ચર્ય સવાર થવાનું અને એ મુગ્ધતા અને કૌતુહલમાંથી કળાનો જન્મ થશે.
મયંક કહે, વળી અહીં પણ જન્મની વાત આવી. આ બધું શું છે ?
દાદાજી બોલ્યા, કાર્યસિદ્ઘિ એ યુક્તિનો અંત છે, જ્યારે કળા એ અનંત છે, એને સીમાનું કોઈ બંધન નથી. કળાના વિકાસની વિશાળતા કેટલીકવાર કલાકારની કલ્પનાના ક્ષેત્રની બહાર પણ હોય છે.
યુક્તિપ્રયોજક એક વસ્તુને સુંદર કહેશે અને એક વસ્તુને અસુંદર; જ્યારે કળાકારને મન સુંદર-અસુંદર જેવું કશું જ હોતું નથી. સુંદર-અસુંદર એ તો માત્ર દૃષ્ટિભેદ જ છે. કળા નાનામાં નાના પાત્રમાં વિરાટનું પ્રતિબિંબ ઝીલી શકે છે. જ્યારે યુક્તિમાં આ તાકાત નથી.
મયંક કહે, તમે તો ચોરની વાત કરતા હોય એવું લાગે છે.
દાદાજી આગળ વધ્યા, યુક્તિકારની યુક્તિ એ દુનિયાદારીના મતે ધનથી ખરીદી શકાય છે. જ્યારે કળાકારના મનોરાજ્યને પૈસાથી ખરીદી શકાતું નથી. યુક્તિનાં પરિણામો સ્પર્ધાથી સારાં આવે છે, જ્યારે કળામાં સ્પર્ધાને સ્થાન નથી. કળાકારની કોઈપણ કૃતિ તો પોતાની રીતે હ્રદયના સ્મૃતિપ્રદેશમાંથી અખંડ સમગ્રતા સાધીને જ અવતાર પામે છે. યુક્તિઓનાં પરિણામોની સરખામણી થાય; પરંતુ કલાકૃતિઓની તુલના ન હોય. પ્રત્યેક કલાકૃતિ પોતાનું આગવું અને અનોખું વ્યકિતત્વ લઈને જ જન્મે છે.
મયંક કહે, દાદાજી ! તમે ફિલ્મમાં કામ કર્યું હોય એવું લાગે છે.
(ક્રમશ:)