દાદાજીની વાર્તા - 14
દાદાજીની વાર્તા - 14
મયંકે પૂછયું, હવે થોડી સમજ પડી. આ સિવાય બીજું શું હોઈ શકે ?
દાદાજી કહે, વસ્તી વધારો :- મહાન અર્થશાસ્ત્રી માલ્થસે અને હાઈબ્રીડ બિયારણ શોધીને હરિયાળી ક્રાંતિની ઝાલર વગાડનાર ડો. નોર્મ તબોલોઁગે કાળ ચોઘડિયા જેવી અમંગળ ઘડીની કલ્પના કરતાં કહ્યું હતું કે ’’વસ્તી વિસ્ફોટ જ જગતને ભરખી જશે.’’ વસ્તી નિયંત્રણનાં આટલાં બધાં સાધનો વિજ્ઞાને ઊભાં કર્યાં છે. છતાંય વસ્તી ખતરનાક ઝડપે વધે છે. એનો અર્થ એ થયો કે અસંખ્ય લોકો પૃથ્વી પર રહેવા પ્રયત્ન કરશે. જેના માટે આરોગ્યની સવલતો, શિક્ષણ, રહેઠાણ, કપડાં અને અન્ય સુખ સગવડનાં સાધનો તો બાજુ પર રહ્યાં. પૂરતું અનાજ પણ મેળવવું અશકય બનશે. આથી મોટા ભાગના લોકોએ ભૂખે મરવું પડશે.
મયંક કહે, દાદાજી! મને તો બીક લાગે છે. તમારા બોલવાનો અંદાજ પણ જુદો છે. હવે કંઈ છે ?
દાદાજી બોલવા લાગ્યા, ઋતુ પરિવર્તન :- પૃથ્વીની નસેનસ પર ધમધમતાં કારખાનાં વાતાવરણમાં અસાધારણ માત્રામાં ગરમી ઊમેરે છે. છાશવારે થતાં અણુ વિસ્ફોટ પણ અસાધારણ ગરમીનો ઊમેરો કરે છે. પરિણામે પ્રાકૃતિક પરિવર્તન-ઋતુઓ ઉપર માઠી અસર પડશે. વધતો કાર્બન ડાયોકસાઈડ આરોગ્ય ઉપર માઠી અસર કરશે. મોસમી દેશો પૂરતાં પ્રમાણમાં વરસાદ નહીંં મેળવી શકે. અને જો આકાશ રૂઠે તો ? પરિણામ કલ્પી શકાય છે. આ બધું માત્ર ત્રીસ વર્ષમાં જ બનશે
મયંક તો રડમસ થઈને કહેવા લાગ્યો, તો તો હું યુવાન હઈશ ત્યાં જ આવું બધું થઈ જશે. મને તો પૂરું જીવવા પણ નહિ મળે. આગળ કહોને હવે શું થશે ?
દાદાજી આજે ધૂનમાં જ હતા. કહે, જંગલનો વિનાશ :- ભાવિ જોખમોનો ખ્યાલ રાખ્યા વિના આપણે આંખો મીંચીને જંગલો કાપી રહ્યા છીએ. વર્તમાનની જરૂરિયાતો ખાતર વૃક્ષોનો સોથ વાળનાર આપણે એ ભૂલી જઈએ છીએ કે વૃક્ષો એ તો વાતાવરણનાં ફેફસાં છે, વૃક્ષો નહીં હોય તો પૂરતો ઓક્સિજન કોણ બનાવશે ? નવાં જંગલો ઉગાડવાનો ખ્યાલ રાખ્યા વિના આપણે જંગલો કાપ્યે જઈએ છીએ. આમ જ કાપ્યે રાખીશું તો વરસાદ લાવશું કયાંથી ? વૃક્ષો એ તો સમૃદ્ઘિનો સંદેશ લાવતાં વાદળોની આમંત્રણપત્રિકા છે. જંગલો વરસાદ લાવે, જંગલો પૂરને ખાળીને જમીનનું ધોવાણ અટકાવે, વિવિધ ઓસડિયાં-જડીબૂટીથી આપણા સ્વાસ્થ્યને રક્ષે, હવામાનને વિષમ થતું અટકાવે. આમ, વૃક્ષો આપણા બાંધવો છે, આપણી જેમ જ એ પણ પૃથ્વી પર રહેવાનાં અધિકારી છે. વૃક્ષોનો નાશ આપણો નાશ નોતરશે.
(ક્રમશ:)