"ભીષ્મ અને શિખંડી"
"ભીષ્મ અને શિખંડી"
ડેઇલી કોલમ માં મારી આજની વાર્તા..
તનસુખ રાય શેઠ, હીંચકે બેઠા બેઠા મહાભારત જોઈ રહ્યા હતાં.
એ યુદ્ધમાં, ભીષ્મ પિતામહને કોઈ હરાવી શકતું નહોતું.
છતાં શેઠે જોયું કે ભીષ્મ ના શરીર પર એટલા તીર ભોંકાયા કે છેલ્લે એ જ તીરની બાણ શય્યા પર ઢળી પડ્યા!! એ પણ, શિખંડીની આડમાં!
તનસુખરાય જાણતા હતાં કે, આ શિખંડી એ જ અંબિકા, અંબાલિકા, અંબા એ ત્રણ બહેનો માની એક હતી.
જેમને પૂછ્યા વગર, પોતાના ભાઈ માટે, ભીષ્મ એમનું હરણ કરી આવ્યા હતાં અને જ્યારે ખબર પડી કે એમાંથી એક રાજકુમારી કોઈ બીજા રાજકુમારને પ્રેમ કરે છે. તો એને જવા દીધી પણ, તેના પ્રેમીએ તેનો સ્વીકાર ન કર્યો અને બીજે જન્મે, એ શિખંડી રૂપે ભીષ્મની બાણશય્યા નું નિમિત્ત બની. જે અસંખ્ય તીર રૂપે ભીષ્મના શરીરને વીંધી નાંખ્યું.એ વખતે કાળ પણ જાણે થંભી ગયો હતો! અજેય યોદ્ધો એક શિખંડી સામે લાચારી અનુભવી રહ્યો!!
એ હરણ કરીને લાવેલી રાજકુમારીને, પોતાના ભાઈ સાથે લગ્ન કરવાની ઈચ્છા છે કે નહીં તે ભીષ્મ એ પૂછ્યું નહોતું. અને એ પશ્ચાતાપ એમને કાયમ માટે રહ્યો અને એમના મોત નું કારણ પણ એ જ બની.
તનસુખરાય સામે એ યુવાન છોકરીની છબી તરવરી રહી જેના સગપણની વાત પોતાના દીકરા માટે આવી હતી. એ યુવતી, કરગરી રહી હતી, "પ્લીઝ, અંકલ, મારી વાત સમજવાની કોશિશ કરજો. હું એક અન્ય છોકરાને ચાહું છું. તમે, તમારા દીકરા માટે મારા ઘરે મને જોવા આવશો અને પસંદ કરશો તો પછી મારા પપ્પા મારુ નહિ માને!! પ્લીઝ,.. અંકલ! તમે મારી વાત સમજવાની કોશિષ કરજો."
શેઠે મનોમન વિચાર્યું અને એમણે કોઇની જિંદગી બગડતી અટકાવવા માટે પોતાના દીકરાને પાસે બોલાવ્યો અને નિર્ણય જણાવ્યો કે, આપણે જે વાત થઈ છે, તે છોકરી આપણા ઘર માટે નથી. આપણે કોઈ બીજી જગ્યાએ વાત ચલાવશું.