બદઈરાદો
બદઈરાદો
"અરે દીકરી ! આ બળબળતા તાપમાં ક્યાં જાય છે, ચાલતાં ચાલતાં એકલી અટૂલી ?" નટુકાકાએ ભરબપોરે સૂમસામ રસ્તા પર એકલી અટૂલી જતી છોકરીને જોઈ રિક્ષાની ઝડપ ધીરી કરતા પૂછ્યું. આ સાંભળીને ઉર્વીએ (પેલી છોકરી) ગુસ્સાથી જવાબ આપ્યો," કેમ ? તમારે શું મતલબ ? કાકા, જાઓ ને, તમારું કામ કરો ને." હવે નટુકાકાએ રિક્ષા લગભગ ઊભી જ રાખી દીધી અને ઉર્વીને પ્રેમથી સમજાવતા કહ્યું," જો બેટા, આજે બસોની હડતાળ છે,વળી અહીં આસપાસનો વિસ્તાર થોડો નિર્જન છે, બીજી કોઈ રિક્ષા પણ તને ઝટ અહીંથી મળશે નહિ, માટે, મારું કહ્યું માન અને મારી રિક્ષામાં બેસી જા, હું તને તારા ઘર સુધી પહોંચાડી દઈશ. અથવા તો તને બીજી કોઈ રિક્ષા મળી રહે તેવા જાહેર રસ્તા સુધી પહોંચાડી દઈશ. તારે ભાડું ન આપવું હોય તો ના આપતી". આ સાંભળતાં જ ઉર્વી વધારે ગુસ્સે થઈ ગઈ અને નટુકાકાને ખખડાવતા બોલી," એ કાકા, તમારી ઉંમરને લીધે તમારી સાથે સારી રીતે વાત કરી રહી છું, બાકી તમારા જેવા ડોહાઓનો ઈરાદો તો સારી રીતે જાણું છું. હવે સીધી રીતે અહીંથી જતાં રહો અને મારો પીછો કર્યો છે ને તો તમારી ખેર નથી ! હું મારું ધ્યાન સારી રીતે રાખી શકું છું." " ઠીક છે, જેવી તારી મરજી !" કહીને નટુકાકા તો ત્યાંથી નીકળી ગયા.અને મનોમન ભગવાનને પ્રાર્થના કરી કે "હે ભગવાન ! આ છોકરી ને હેમખેમ એના ઘર સુધી પહોંચાડી દેજે."
ત્રીજા દિવસે સવારે નટુકાકાએ અખબારમાં સમાચાર વાંચ્યા કે " એક ૧૮ થી ૨૦ વર્ષની યુવતીને નરાધમોએ પીંખી નાખી અને એની લાશ કેનાલમાંથી મળી આવી." સાથે આપેલ ઓળખ માટેના પુરાવા ઉર્વિ જોડે જ મેળ ખાતા હતાં. ઉર્વિનો ફોટો જોઈને તો નટુકાકા છળી જ પડ્યા કે," અરે ! આ તો પેલી જ છોકરી છે, કાશ એ દિવસે મારું કહ્યું માનીને મારી રિક્ષામાં બેસી ગઈ હોત તો આજે એ જીવતી હોત. પણ એનો બિચારીનો પણ વાંક નથી, આ ઘોર કળિયુગમાં કોનો ઈરાદો કેવો છે એ શું ખબર પડે ?"