અવ્યવહારુ પત્ર
અવ્યવહારુ પત્ર


તારા માટે કોઈ પણ સંબોધન લખવું ગમતું નથી.
ઘરમાં નાનપણથી શો-કેસમાં બેસાડેલા ગાંધીજીના ત્રણ બંદરને જોતો આવ્યો છું.
મારી મમ્મી ગયા બાદ અને પપ્પાની જીવનસંગિની બનીને ઘરમાં તારા આવ્યા બાદ પપ્પાએ આદર્શના જે પાઠ એ સ્ટેચ્યુને બતાવીને શિખવાડ્યા હતા એ બધા બસ ફરી પેલા શો-કેસમાં બેઠેલા બંદરમાં સમાઈ ગયા.
હું જિંદગીને સમજતો થયો ત્યારથી તને જ જોતો આવ્યો. પણ સ્કુલમાં મા વિશે સાંભળતો ત્યારે નવાઈ લાગતી કે મા આવી હોય! કારણકે મેં તો તારા જેવી મા જ જોઈ-જાણી હતી.
ક્યારેક દુ:ખ, ક્યારેક ગુસ્સો, ક્યારેક આક્રોશ-બસ ચોવીસ વર્ષ આ બધી લાગણી અને કાયમી અન્યાય સાથે જ વહ્યાં.
પપ્પાને ફરિયાદ કરવાની હિંમત ન થઈ. એમનું તારી સાથેનું સુખી જીવન છીનવી લઉં એવો હું તારા જેવો નગુણો નથી.
અત્યાર સુધી ગમે તે રીતે તેં મને નિભાવ્યો. મને સારા-નરસાની ગતાગમ પડવા દીધી.
તારી મલિન વૃત્તિવાળી શાળામાં જીવન સામે લડવાના પાઠ શીખ્યા.
આ બધા કપટ-કાવાદાવામાંથી જ મારામાં જગત સામે અડીખમ ઉભા રહેવાની તાકાત આવી છે એ બદલ આભાર.
આમ તો બધાં જ ઘરેણાં લઇને જવું હતું પણ ઝવેરીએ તારાં ઘરેણાં સાવ ખોટાં છે એમ કહ્યું એટલે તારાં ઘરેણાં સાથે સોનીનું સર્ટિફિકેટ અને આ પત્રની એક નકલ અત્યાર સુધી છેતરાયેલા મારા પપ્પાને રવાના કરી છે.
જાઉં છું.
સાવકી મૈયા, તારું ભવિષ્ય તને મુબારક.
- માત્ર પપ્પાનો દિકરો.