અશ્ક રેશમિયા

Drama Thriller

3  

અશ્ક રેશમિયા

Drama Thriller

અધૂરા અરમાનો ૩૬

અધૂરા અરમાનો ૩૬

6 mins
524


        ડર હોવો જોઈએ પણ એવો ન હોવો જોઈએ કે એ અસ્તિત્વને વેરણછેરણ કરી જાય. મર્યાદામાં રહેવા અને માનવજાતના દાયરામાં રહેવા કેટલાંક બંધનો હોવા ઘટે. કિન્તું એવા બંધનો ન હોવા જોઈએ જે માણસનું સુખચૈન હણી લે. 

    યુગ બદલાય એમ કેટલીક બાબતોની છૂટ હોવી જોઈએ.સમાજથી અને દુનિયાથી ડરી જઈને પ્રેમલગ્નના તલાક આપીને સૂરજ થોડોક હરખાયો. કિન્તુ એને ખબર નહોતી કે એ બાવાના બેય બગાડી બેઠો છે! એક હાથમાં આવેલું જરૂરી મોંઘોદાટ રતન ખોયું અને બીજું સમાજ અને દુનિયાની બદનામી લઇ બેઠો હતો. આબરૂના કાંકરા કરી બેઠો હતો. કહેવત છે ને કે 'જેનું ભાગ્ય વિફરે એનું બધુંય વિફરે.'

    મહાદેવનાં એ મંદિરમાં સૂરજ, જય, હરજીવન અને વિજય ચારેય બેઠા હતાં. સૂરજ લાચારીભરી ગડમથલને ઉલેચી રહ્યો હતો. ત્યારે એના ખભે હાથ મૂકીને વિજય બોલ્યો:" સૂરજ, બડા આદમી તે આવું કેમ કર્યું? પ્રેમલગ્ન તારે તોડવા જ નહોતા. હવે તારું અને સેજલ નું શું?

      "દોસ્ત વિજય, મને જે ગમ્યું; મારા આત્માએ જે માર્ગ દેખાડ્યો મે એ જ કર્યું. હવે મારું અને સેજલનું જે થવાનું હશે તે થશે. કિન્તુ અમે પ્રેમ તો એકમેકને ઉમ્ર ભર કર્યા જ કરતા રહેશું."

     સૂરજ ના હોઠ હસી રહ્યા હતા પણ એના દિલનો ખાલીપો વાતાવરણને ચીરી રહ્યો હતો. પ્રેમવિહવળ સૂરજ ની હાલત જોઈને એમ લાગતું હતું કે કદાચ હવે ઝાઝો સમય જીવી શકશે નહીં. ગંભીર હાલતમાં સપડાયેલા સૂરજ ને હરજીવન એના ઘેર લઈ ગયો. દર સેકન્ડે એ અડધો થતો જતો હતો. હાથ લાગેલા સ્વર્ગના ખજાનાને હાથે કરીને લુટાવી બેઠી તેવા ખયાલે રાતભર ઊંઘી શક્યો નહિ. બીજી સવારે એને વાવડ મળ્યા કે સમાજે એના પરિવારને ન્યાત બહાર મૂકી દીધો છે ત્યારે એ મૂર્છિત થઈ ગયો. પ્રેમ અને પરિવારને તરછોડીને બદનામીનું કલંક લગાડીને પોતે હવે ક્યાંયનો નથી રહ્યો એવા ખયાલે એના શરીરની નસ સૂકાવા લાગી. હરજીવન પાસેથી ઘેર જવાનું બહાનું કાઢીને એ છટકી ગયો. ઘેર જવું તો શું મોઢું લઈને જવું? ઘેર જવાનો વિચાર આવ્યો પણ હવે કયા મોઢે જવુ? પોતે હવે દુનિયાને કે પરિવારને મોં દેખાડવાને લાયક નથી એ વિચારે એણે ત્યાંથી પોબારા કર્યા.

   એ ગયો એ ગયો. 

  એના ગયાને આઠેક દિવસના વાણા વહી ગયા પરંતું પાછો ન જ આવ્યો. એની શોધખોળ થવા લાગી. એક તરફ સૂરજ નો પરિવાર એને ખોળવા આકાશપાતાળ એક કરવા લાગ્યો. તો વળી, બીજી બાજું સેજલ એના સાહ્યબા વિના બહાવરી બની. પાગલ બની. અઠવાડિયા સુધી એને મહેસાણાની હોસ્પીટલમાં રાખવામાં આવી. એ સ્વસ્થ થઈ. ભાન આવ્યું. કિન્તું સૂરજ એની આંખેથી કે હૈયાથી ખસતો નહોતો. ધીમેધીમે પરિસ્થિતિ થાળે પડતી ગઈ. 

   એમ કરતા દિવસો વીતવા લાગ્યા. સેજલના મારતે ઘોડે લગન લેવાઈ ગયા. અને વળતે દહાડે સૂરજ ઝાંઝાવાડાથી શરીર લઈને ગયેલો એ નિર્દેહી બનીને હવામાં વાવડ બનીને આવ્યો. જીવ લઈને ગયેલો સૂરજ મૃત્યુના વાવડ બનીને આવ્યો!

     કોઈ માનવા તૈયાર નહોતું. આશિકોના તે કંઈ અવસાન હોતા હશે? સૌ કોઈ કહે, 'જેમ સૂરજ કોઈને મારી શકે નહી એમ એ ખુદ મરી શકે પણ નહી.'

   કેટલાંય દિવસો સુધી સૂરજ મૃત્યુના વાવડ બનીને હવામાં વંટોળની જેમ ફંગોળાતો રહ્યો.

    "રૂ રૂ થઈ જઈએ જગમાં કોઈને ગોતીને;

   નસીબમાં ન હોય એ કદી જડતા નથી."

     સૂરજ ના મૃત્યુના વાવડ સાંભળીને એનો પરિવાર જાણે મૃતપ્રાય બની ગયો. જેમ કાળરાત્રિના આગમનથી અજવાળું પલાયન થઈ જાય એમ સૂરજ ના મૃત્યુથી એના પરિવારજનો પર અંધારપટ છવાઇ ગયો. છતાંય એનો સમાજ કેટલો ઝેરીલો કે પ્રેમલગ્ન કરીને પરિવારને અને સમાજને બદનામીનું કલંક લગાવીને ગયેલા સૂરજ ના ખરેખરમાં ન આવ્યો. જોકે પાછળથી ડહાપણની દાઢ આવતા સૂરજ ના પરિવારને ન્યાતમાં લીધો. સમાજમાંથી રૂઢિચુસ્ત રિવાજોને નાબૂદ કર્યા અને પરસ્પર સંમતિ સૂચક પ્રેમ લગ્નની મંજૂરી પણ આપી.

    કિન્તુ વ્યક્તિ આ દુનિયા છોડી જાય પછી એની કદર શા કામની?   

      જીવતા માનવીની કદર દુનિયાને નથી ગમતી?"

     સૂરજ નું મૃત્યુ એક રહસ્યમય અકબંધ ઘટના હતી. સૂરજ નું મૃત્યુ થયું. પણ કેવા સંજોગોમાં? કોના દ્વારા થયુ? એ જ જાણવા લોકો બેબાકળા બની ગયા હતા. હજુ એ રાજ પણ અકબંધ હતું કે સૂરજ નું મૃત્યુ થયું છે કે નહી? કારણ કે એનાં નક્કર પુરાવા હજુ સુધી ઝાંઝાવાડા પહોંચ્યા નહોતા.

       આખરે એ રહસ્ય છતું થયું. જગતના પ્રેમદિવાનાઓને કાને જ્યારે સૂરજ અને સેજલના મૃત્યુના વાવડ અથડાયા ત્યારે એ પણ ખળખળ કરતા અશ્કના દરિયા વહાવી બેઠા. સેજલ અને સૂરજ ના મૃત્યુના રહસ્યને જાણીને પ્રેમ દીવાનાઓએ એમના પ્રેમલગ્નના દિવસને "પ્રેમલગ્ન દિવસ" એટલે કે "લવ મેરેજ ડે" તરીકે ઉજવીને અમર પ્રેમીઓને ભીની આંખે લાગણીસભર બનીને શ્રદ્ધાંજલિ આપી.

      સૂરજ અને સેજલના મૃત્યુની ઘટના અત્યંત અજીબો-ગરીબ ઘટના હતી.

      બન્યું એવું કે જે દિવસે સૂરજ હરજીવનથી ઘેર જવાનું કહી નીકળ્યો હતો ત્યારે એ ઘેર જવાને બદલે સીધો જ અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલા કેદારનાથની ગુફાઓમાં પહોંચી ગયો. ત્યાં પાંચ-દસ નહિ ને પંદર પંદર દિવસની ભૂખ તરસ અને વળી સેજલના તીવ્ર વિયોગથી એ અત્યંત દુબળો બની ગયો હતો. એનું શરીર અડધુયે નહોતું રહ્યું. ભયંકર બિહામણી રાતો અને રીંછ જેવા ભયંકર પ્રાણીઓની વચ્ચે એણે પંદર દિવસ વિતાવ્યા મોત એના સામે નગ્ન બનીને નાચી રહ્યું હતું. હમણાં પોતે યમનો કોળિયો બની જશે એમ લાગતું હતું. સમાજના બિહામણા સ્વરૂપથી ડઘાઈ ગયેલા એણે મોતને હથેળીમાં લઈ લીધું. એને ગળે લગાવવા એણે હાથ ગળા તરફ ખેંચવા માંડ્યો. પરંતુ યમ એનો કોળિયો કરતા ખચકાતો હતો. કારણકે સૂરજ નો જીવ સેજલમાં ચોંટી ગયો હતો. એટલે કેમેય કરીને એનો જીવ નહોતો નીકળતો. 

     એ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતો હતો. 

     જે માણસ સંસારમાં આસક્તિ રાખે છે એને ઝટ સદગતિ મળતી નથી. મરણ સમયે માણસને એક જ સવાલ ખટકતો હોય છે કે પોતે જીંદગી બરાબર જીવી શક્યો નથી. કિન્તુ હજીયે એકવાર બચી ગયો હોય તો આ જીવતરને પુણ્યકર્મથી ધન ધન કરી દેત. બસ, આ જ વિચારે એનો જીવ નીકળતો નથી. મરણ સમયે રિબાતા માણસને જો સંભળાવ્યું હોય કે એના મનની અધુરી ઈચ્છાઓ પૂરી કરવામાં આવશે, તો એ તરત જ આ ભાડાની કોટડી ખાલી કરી દેશે! સંસાર પ્રત્યે કેટલી આસક્તિ!

       ગુજરાતની ઉત્તરે આવેલી અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલા કેદારનાથ મહાદેવના મૂળ મંદિરથી ૨૦૦ મીટર દૂર આવેલી ટેકરીની એક શીલા પર પડ્યો પડ્યો સૂરજ ક્ષિતિજને ફંફોસી રહ્યો હતો. જગત અને ઝીંદગી છોડીને ક્ષિતિજની પાર જતું રહેવું! પરંતુ કેમ કરીને જવું ? ક્ષિતિજ ક્યાંય જડતી નહોતી. પોતાનો વહાલો પરિવાર, વહાલી સેજલ અને કડવા ઝેર જેવા મૃત્યુ એ ત્રણેય વચ્ચે એ ઝૂલતો રહ્યો. પ્રેમ, પરિવાર અને મૃત્યુના ત્રિકોણીય જંગમાં એ એવો તો ફસાઈ ગયો હતો કે ત્રણેયમાંથી એકયને નથી તો છોડી શકતો કે નથી ગળે વળગાડી શકતો. એવી હાલતમાં એને ખિસ્સામાં રહેલો મોબાઈલ કાઢ્યો 'સ્વીચ ઓન' કર્યો કે તરત જ બે મેસેજ ટપક્યા. જે ચાર દિવસ પહેલા મોકલાયેલા હતા. એક એના ઘેરથી આવેલો હતો બીજો એની પ્રાણપ્રિયા પાસેથી આવેલો હતો.

 મેસેજ આવેલા જોઈને એનું સુકાવા પડી ગયેલું શરીર ખીલવા લાગ્યું. ઝડપભેર સેજલે મોકલાવેલો મેસેજ વાંચ્યો. જેમાં લખ્યું હતું:"સૂરજ, હું જાણું છું કે મને ત્યાગીને તું વિરહથી કણસતી જિંદગી જીવતો હોઈશ! પણ હવે શું થાય? હાથના કર્યા હૈયે જરૂર વાગે છે. તું ભલે મને તરછોડીને ગયો કિન્તુ છેલ્લી વાર મારી સળગતી આંખોને ઠારવા તું આવ. સંગે જીવવાના વાયદા તો તું નથી નિભાવી શક્યો પરંતુ સાથે મરવાના અફર વાયદા તો તું નિભાવી શકીશ ને? તારી સંગે જીવવાના મારા અરમાનો ભલે અધૂરા રહી ગયા હોય, કિન્તું સંગે મરવાના અરમાન પૂરા કરવા તું આવ. કાલે મારા લગ્ન થવાના છે. તન-મનથી તને સમર્પિત તારી આ સેજલ કાલે કોઈના ખોળામાં પ્રાણ પાથરે એ પહેલા તું આવી જા. જેથી આપણે આ માણસોને, આ સંસારને છોડીને ધરતીના ખોળે પ્રાણ પાથરી દઈએ." અને છેલ્લે એક લીટીમાં છોડીને લખ્યું હતું: "મારા સૂરજ, જ્યાં સુધી તું નહીં આવે હું પ્રાણ નહીં ત્યજુ. તું મારી જિંદગીના છેલ્લા અરમાન પૂરા કરવા કાલે સવારે આવી જજે."

અને અંધારી અડધી રાતે એણે મરણિયા થઈ દોટ મૂકી.

                -ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Drama