પરી લોક
પરી લોક
બાળપણ માં જ આપણે રામ- કૃષ્ણની સાથે પરીઓની વાર્તા સાંભળી હશે હે ! કે,તો ચાલો આજે એવા જ પરીલોક માં પાછા જઈએ. કેવું સુંદર,સુગંધિત અને મનમોહક હોય છે એ પરી લોક ! શું આપણે તે પરીઓ ને મિત્ર બનાવી શકીએ કે ? આવા કેટલાય સવાલ બાળકોના તો શું કોઈ મોટાઓના મનમાં પણ થતાં હોય છે. પણ,હા એ લોકમાં પહોંચવા માટે હૃદય ભોળું,મન સ્વચ્છ અને આચરણ પવિત્ર હોવું જરૂરી છે. વિચારોમાં થોડી પણ કટુતા ન હોવી જોઈએ. ને એટલે જ પરીઓ રૂ સમાન વાદળની ઉપર આકાશમાં તારાઓના લોકમાં નિવાસ કરતી હોય છે. દિવસે તો સૂર્ય ના અજવાળા માં તે આ દુનિયા ને જોઈ નથી શકતી પરંતુ, રાત્રે તે તારાઓની સાથે વાદળ ની સવારી કરી ને આ દુનિયા ને જોતી હોય છે ખાસ કરી ને બાળકો ને કેમકે,બાળ માનસ પરી ના મન જેવું જ નિખાલસ હોય છે.
આ રીતે જ પુનમ ની એક રાત્રી એ પરીઓ વાદળ ની સવારી કરી ને નીકળી હતી અન્ય લોક ને જોવા માટે. સફર કરતાં -કરતાં આકાશ માં અચાનક પવન ફૂંકાયો અને વાદળ ઝડપથી ગતિમાન થયું. વાદળ ની અચાનક ઝડપ વધવા થી તેના પર બેસેલ પુષ્પ પરી અને ગુંજન પરી બંને નીચે પડી જાય છે. કેમકે, તેઓ વાદળની કિનારે બેઠાં -બેઠાં લોક ને જોવાની મજા માણતા હતાં. અન્ય પરીઓ પોતાના લોક માં પાછી ફરે છે ને જ્યારે,વાદળ પર થી નીચે ઉતરે છે તો ખબર પડે છે કે પુષ્પ અને ગુંજન પરી તો સાથે છે જ નહીં. અને તેઓ પરીઓની રાણી ધ્રુવી પરી પાસે જાય છે. કે હવે એ બંને પરીઓ ને પાછી કઈ રીતે લાવી શકાય?
પરીઓ ની વાત સાંભળી પહેલાં તો ધ્રુવી પરી બધી જ પરીઓ પર ગુસ્સે થાય છે. એ બંને હજુ નાદાન છે. બાલ પરી છે. તેઓ ને જ્યાં પહોંચી હશે ત્યાં ના લોકો ના વર્તન નું પણ જ્ઞાન નથી ને પોતાની જાદુઈ છડી તેઓ રમત – રમત માં વાપરે છે. પૂર્ણ જાદુ પણ તેમણે શીખ્યું નથી. હવે,દિવ્ય ચક્ર થી તેમની ખબર લેવી પડશે અને ધ્રુવી પરી દિવ્ય ચક્ર પાસે પહોંચી ને કહે છે “બતા બતા ચક્ર બતા, પુષ્પ, ગુંજન કા અતા પતા”અને ચક્ર ફરે છે ને એક ગોળ આયનો પ્રગટ થાય છે કે જેમાં પુષ્પને ગુંજન પરી કોઈ બાગમાં ઉતરી છે તેવું દેખાય છે ને તેઓ બંને નાના બાળકો ને જોઈ ને ખૂબ જ ખુશ થતી હતી. બંને પર હજુ કોઈ સામાન્ય માણસ ની નજર નથી પડી આમ વિચારી ધ્રુવી પરી ખુશ થાય છે પણ બીજી જ ક્ષણે તે સ્વપ્ન પરી ને આ બંનેની રક્ષા માટે મોકલે છે.
સ્વપ્ન પરી કોઈપણ ને પોતાના જાદુ થી મોહિત કરી ને સ્વપ્ન દ્વારા કોઈપણ જગાએ લઈ જઈ શકતી હતી. ને આ કળા થી તેણે પરી લોક નું પણ ઘણીવાર રક્ષણ કર્યું હોવાથી ધ્રુવી પરી તેને નીચે મોકલે છે. સ્વપ્ન પરી રૂપ બદલી ને જ્યારે નીચે આવે છે ત્યાં સુધી માં પુષ્પ અને ગુંજન પરી બાળકો ની વચ્ચે ચાલી ગઈ હોય છે. ને બાળકો તેને જોઈ ખૂબ જ ખુશ થાય છે. તમે કોણ છો? ક્યાં ફ્લેટ માં રહો છો ? અહીં નવા જ આવ્યાં છો એમ ઘણાં બધાં સવાલ બાળકો પૂછે છે. ત્યારે પુષ્પ અને ગુંજન પરી કહે છે કે અમે તમારા ફ્રેન્ડ છીએ ને તમારી સાથે રમવા જ અહીં આવ્યાં છીએ. બાળકો ની ટોળી સાથે બંને પરીઓ ખૂબ જ રમે છે. ને તેમને પોતાના જાદુ પણ બતાવે છે પરંતુ, કોઈ મોટા લોકો ને હકીકત ની ખબર પડે તે પહેલાં જ સ્વપ્ન પરી બધાં બાળકો ને સ્વપ્ન મય બનાવી દે છે ને ગુંજન તથા પુષ્પ ની સામે સાચા રૂપ માં આવે છે અને બંને ને પરી લોક પાછી લઈ જાય છે. પાછા ફરતી વખતે તે બાળકો ની સ્વપ્નાવસ્થા તોડે છે ને તેઓ સ્વસ્થ થઈ કંઈ વિચારે એ પહેલાં જ તે વાદળ પર સવાર થઈ ને સ્વપ્નલોક પહોંચે છે.