જીવન એક નાની મુસાફરી
જીવન એક નાની મુસાફરી
ઘણા વર્ષો પહેલાંનો મને એક અનુભવ યાદ આવે છે. હું મૂળ ભાવનગરનો અને ત્યારે સુરતની બાજુનાં વ્યારા પાસે નોકરી કરતો હતો. નવી નવી નોકરી હતી અને ભાવનગરથી પહેલી વખત જ બહાર નીકળ્યા હોવાથી લગભગ દરેક રજામાં ઘરે દોડી આવતા. ટ્રેઈનની આજે છે તેવી સગવડ ન હતી, તેથી એસ ટી બસમાં જ મુસાફરી કરવી પડતી. અત્યારે જેવી બુકિંગની વ્યવસ્થા છે, તેવું નહોતું એટલે બસ સ્ટેન્ડ પાર મૂકાય તેટલે ધક્કા મુક્કી કરીને બસમાં ઘુસી જવાનું, અને નસીબમાં હોય તો બેસવા મળે, નહિતર લાંબી મુસાફરી ઊભા ઊભા કાઢવી પડે. ભાવનગર અને સુરત વચ્ચે કુલ ૮થી ૯ કલાકની મુસાફરી. સુરતથી અંકલેશ્વર, ભરૂચ, વડોદરા, તારાપુર ચોકડી, ધોલેરા અને પછી ભાવનગર આવે. ક્યારેક સીટ મળી જાય તો પણ કોઈ રસ્તામાં આવેલ સ્ટેશન પરથી ઉંમર લાયક પુરુષ કે સ્ત્રી, કે પછી નાના બાળક સાથે સ્ત્રી બસ માં ચડે, તો તુરંત જ ઊભા થઈને તેને સીટ પર બેસાડી દેવા ના સંસ્કાર પણ ખરા. ભાવનગર અને સુરત વચ્ચેની મુસાફરી નાં ઘણા બધા રોચક અનુભવ છે, પણ આજે એક એવો અનુભવ બતાવવો છે જેણે મને જટિલ જીવન ને સરળ બનાવવા માટે ખૂબજ મદદ કરી છે.
અમારે બીજા શનિવારની રજા હોય તેથી હું મારા ભાવનગરી મિત્ર મુકેશ સાથે, શુક્રવારે ડ્યૂટી કરીને રાતની નવ વાગ્યાની એસ ટી બસમાં ધક્કા મુક્કી કરી ને ઘુસી ગયા. બસ માં ખુબજ ગિરદી હતી. નસીબ જોગે અમને બે ની સીટ મળી ગઈ. અમે ખુશ હતા કારણકે ભાવનગર સુધીની મુસાફરી આરામદાયક રહેશે અને સૂવા પણ મળશે. બસ સમયસર ઉપડી ગઈ અને અંકેશ્વર પહોંચી. ત્યાંથી થોડા મુસાફર બસ માં ચડ્યા,તેમાં એક સાઈઠ -પાંસઠ વર્ષ ના માજી પણ હતા. તેને જોતા જ મિત્ર મુકેશ સીટ ઉપરથી ઊભો થઈ ને માજી બેસવા માટે જગ્યા આપી દીધી. બસ આગળ ચાલી અને ભરૂચ સ્ટેશન આવ્યું. ત્યાંથી પણ થોડા મુસાફર ચડ્યા, તેમાં એક બેન પણ હતા. હશે પચ્ચીસ -ત્રીસ વર્ષના. ખભ્ભા ઉપર મોટું પર્સ લટકતું હતું. શરીરે ખાધા પીધા ઘરના લગતા હતા. બેન ને એકલા ઊભાં જોઈને મેં પણ ઊભાં થઈ ને બેસવા માટે જગ્યા આપી દીધી. હવે માજી બારી પાસે અને બેન તેની બાજુમાં એમ અમારી બે ની સીટ ઉપર બંને બેસી ગયા. અમે થાકેલા હોવા છતાં, સંસ્કાર ને શોભે એમ વ્યવહાર કરીને અમને સંતોષ હતો. બેન ધીરે ધીરે સીટ ઉપર થોડા વધારે જ જગ્યા રોકાતા હતા, બની શકે મોટા શરીરને લીધે. પણ તેઓએ માજી ને તો બારી પાસે દબાવી જ દીધા. વળી પર્સ પણ ખમ્ભા ઉપરથી ઉતાર્યું ન હતું તેથી માજી ને તે વાગતું હતું. બેન વારં વાર સીટ ઉપર સતત સળવળ કે સખળ દખળ કરતા હતા, તેથી માજી ને પરેશાની થતી હતી, પણ માજી ના ચહેરા ઉપર કોઈજ નારાજગી નહોતી દેખાતી. આ જોઈને અમને ગુસ્સો આવતો હતો કે આ બેન ને સીટ શું કામ આપી ? બેન વડોદરા આવતા ઉતરી ગયા, તેથી હું પાછો માજીની બાજુમાં બેસી ગયો.
મારા મન માં એક સવાલ હતો, તેથી મેં માજી ને પૂછ્યું કે તમને બેન તરફથી ઘણી પરેશાની થતી હતી, તો તમે નારાજ કેમ ન થયા ? તમે તેને સરખા બેસવાનું કેમ ન કહ્યું ? માજી નો જવાબ, લાજવાબ હતો. " મારે ક્યાં તેની સાથે આખી જિંદગી કાઢવાની હતી " કે હું તેની સાથે વાદવિવાદ કરીને મારો સમય અને મગજ ખરાબ કરું ? થોડા સમયની મુસાફરીનો સાથ હતો, તે પણ પૂરો થઈ ગયો.
જવાબ નાનો, પણ ખુબ જ મહત્વપૂર્ણ હતો " મારે ક્યાં તેની સાથે આખી જિંદગી કાઢવાની હતી."
આપણે નાની નાની બાબતમાં, તેઓની નાની હરકતોથી નારાજ થઈ જતા હોઈએ છીએ. જીવન ખુબ જ નાની મુસાફરી છે. દરેક લોકો મુસાફરોની જેમ આપણી સાથે જોડાય છે. કોઈ મિત્રની રૂપે, કોઈ ઓફિસે સ્ટાફની રૂપે, કોઈ રોડ ઉપર કે કોઈ સિનેમા ઘરમાં ... દરેકનો પોતાનો અલગ સ્વભાવ હોય છે અને તે પ્રમાણે આપણી સાથે વ્યવહાર કરે છે. આપણે ઘણી વાર નારાજ થતા હોઈએ છીએ તો ક્યારેક ઝગડો પણ કરી લેતા હોઈએ છીએ. તો ક્યારેક અબોલા પણ થઈ જતા હોય છે. વ્યવહાર તો થોડા સમય માટે હતો, પણ તેની અસર આપણી ઉપર લાંબા સમય સુધી પડે છે. તેને અસર આપણા સમય, સુખ અને શાંતિ ઉપર પણ પડે છે.
હકીકતમાં આપનો તેઓના વ્યવહાર ઉપર કોઈ કંટ્રોલ નથી, તમજ તેઓને સુધારી શકવાના નથી. તો શા માટે આપણે માજી એ બતાવેલ વલણ કે " મારે ક્યાં તેની સાથે આખી જિંદગી કાઢવાની હતી " તેવું વિચારીને જાતું ન કરી શકીયે ? મને તો આ ઉપાય ખૂબ જ ગમી ગયેલો. ખૂબ જ ઉપયોગી લાગ્યો. અને તેને લીધે, મેં અત્યાર સુધીની જિંદગીમાં, લાખો પરેશાની, નારાજગી કે ઝગડાઓ ટાળી શક્યો છું. તમને નથી લાગતું કે તમારે પણ તેનો લાભ ઉઠાવો જોઈએ ?