વાત્સલ્ય
વાત્સલ્ય


પહેર્યા કપડે આ ઘરને તાળું મારીને મકાનની કૂંચી પેટીમાં મૂકીને પેટી ઉપાડી એ ચાલી, પેલે ધેર------
પચ્ચીસ ત્રીસ નાના બાળકોથી ઘેરાયેલી સવિતા સામે બાર વર્ષ જૂનો ભૂતકાળ ખડો થયો.
આ ઘર અને પોતાની જાતને પોતાના હાથે હણી અને બજારૂ બનાવતા સોદાની રકમ પાછી આપી દેવા.
સાંજ વેળા હોવાથી પૂલિન,મનીષા અને પોતાનો લાડકવાયો વિક્રમ બધા ઘરે જ હતા, દરવાજો બંધ હતો, ઝાંપો ખોલી તેણે આંગણામાં પ્રવેશ કર્યો. છેલ્લીવાર તેને પુલીન અને મનીષા પર ગાળોનો વરસાદ વરસાવવાનું તેને મન થઈ આવ્યું
કેટકેટલા હેત અને ઉમળકાથી બગીચાના ફૂલછોડને ઉછેર્યા હતા, કાળજીથી એક એક વસ્તુની જાળવણી કરીને આ ઘરને સજાવ્યુ, પણ ધરતીકંપનો એક આંચકો અચાનક આવ્યો અને તેના પગ તળેની જમીન પણ આંચકી લીધી.
તેણે મનને મક્કમ કર્યું,જેને એક સમયે ખૂબ ખૂબ મન ભરીને ચાહ્યો હતો એવા પુલિન, અને પોતાના લોહીમાંથી જેના પિંડ રચાયા હતા એવા વિક્રમને એકવાર જોઈ લેવાની લાલચ રોકી, પેટીને પગથિયાં પર મૂકીને તે સડસડાટ નીકળી ગઈ.
'મા મા આમ આવોને'- પાંચ વર્ષનો ભાસ્કર તેને પોતાની પાસે બોલાવી રહ્યો હતો, તેની વિચારમાળા તૂટી. સ્વસ્થ થઈ તે એની પાસે જઈને ઊભી રહી.
ગોરો ગોરો ગોળમટોળ ભાસ્કર દરિયાની ભીની રેતીથી ઘર બનાવતો હતો, તેના શરીર પર રેતી ચોંટી ગઈ હતી. બનાવેલુ ઘર બતાવવા માટે તેને બોલાવી રહ્યો હતો.
તેણે ભાસ્કરના માથે હાથ ફેરવ્યો, તેને વહાલ કરી આમતેમ રમતા બીજા બાળકો તરફ નજર કરી,રવિવાર હોવથી તે સૌ બાળકોને નજીકમાં આવેલા દરિયા કિનારે ફરવા લઈ આવેલી, સૌ પોતપોતાની મસ્તીમાં હતા. કોઈક રેતીમાં ઘર બનાવતા હતા, તો કોઈક આંગળીથી ચિત્રો દોરતા હતા.
દરિયાનાં એક મોજામાં બધુ તણાઈ જશે, સવિતા વિચારી રહી અને સમુદ્રમાં જાણે નાહવા પડતો હોય એવા સૂર્યને તે જોઈ રહી.
ભૂતકાળની એ સાંજ તેને યાદ આવી, આજે ખબર નહીં કેમ સવારથી મન પાછુ ભૂતકાળમાં જઈ ચડતું હતું.
મન એકદમ ક્ષુબ્ધ થઈ ગયુ હતું પોતે કયા રસ્તે ક્યાં જઈ રહી છે, તેનુ પણ તેને ભાન ન હતું. મન અને શરીર બંને થાકયા ત્યારે એક પથ્થર પર બેસી પડી. પોતે કેટલું ચાલી તેનો પણ તેને ખ્યાલ ન હતો.સામે નજર કરી તો ખારોધખ સાગર ઘૂઘવતો હતો,અને સૂરજની લાલિમા સ
ંકેલાઈ રહી હતી.
શીતળતા પ્રસરાવતો ચંદ્ર સ્વચ્છ નિર્મળ આકાશમાં આગળ વધી રહ્યો હતો, સવિતાનું મન ધીરે ધીરે સ્વસ્થ થઈ રહ્યું હતું, આત્મા પરનો બોજો હટી રહ્યો હતો.
ઘરેથી નિકળી ત્યારે તો બસ આપઘાત જ કરવો એવા મક્કમ નિર્ધાર સાથે નિકળી હતી પણ ચંદ્રની નિર્મળતાએ તેની જિજીવિષા જાગ્રત કરી, પોતે તો કઈ ખોટું કર્યું નથી, પછી આપઘાત શા માટે કરવો,
પણ જીવીશ શા માટે ? કોના માટે ?
દુ:ખી હૃદયોમાં શાતા પ્રગટાવવા- હદયમાંથી જવાબ આવ્યો, મનની ગડમથલ દૂર થઈ ધ્યેય મળતા જ તેને સિદ્ધ કરવા ફરી શહેર તરફ ચાલવા લાગી. ક્યાં જવું, શું કરવું કંઈ જ ખબર ન હતી પણ આખોંમાં તેજ અને ચાલમાં સ્વમાન પ્રગટ્યુ, જાણે હવે જ ખરેખરો જીવનસંગ્રામ,મન અને શરીર બંને મક્કમ બન્યા.
'મા મા ઘર આવી ગયું,'- બૂમો પડતા બધાં બાળકો એક મકાનના દરવાજા તરફ દોડ્યા, સવિતા આ નાના નાના ભૂલકાઓને જોઈ રહી, બે- ત્રણ વરસથી માંડીને બાર -તેર વર્ષના કિશોરો, સમાજ દ્રારા તરછોડાયેલા આ બાળકો 'વાત્સલ્ય નિવાસ' ને જ પોતાનું ઘર માનતા અને સવિતા જ તેમની મા,તેમનું સર્વસ્વ હતી.
બાળકોની પાછળ પાછળ તે પણ દરવાજામાં પ્રવેશી, દરવાન સામેથી તેની પાસે આવ્યો અને કહ્યું -કોઈ યુવાન આવ્યો છે, કહે છે મારી માને મળવા આવ્યો છું, લેવા આવ્યો છું.
સવિતાને લાગ્યું કદાચ વિક્રમ આવ્યો, પણ તેનું મન કહે - અરે, આટલા વર્ષો બાદ કઈ તેને તારી યાદ આવતી હશે.
તેણે ખાતરી કરવા દરવાન ને યુવકનું નામ પુછ્યું
દરવાન કહે -વિક્રમ
નામ સાંભળતા જ સવિતાનું હૈયું માતૃત્વથી છલકાઈ ઊઠ્યું, વાત્સલ્યનાં ધોધમાં દીકરાને નવડાવી દેવા, એેનુ મોં જોવા એણે ઝડપથી પગલાં ભર્યાં.
ત્યાં જ સામેથી આવતી વિધી તેને વળગી પડી, નાની વિધી જોતા જ વહાલ ઉપજે એવી હતી, જેને બે વર્ષ પહેલાં નવજાત જ કોઈ આશ્રમની બહાર મૂકી ગયેલું અને સવિતાએ બીજા બાળકોની જેમ તેને પણ અપનાવી લીધી હતી. સવિતાએ તેને ઉંચકી કે તરત જ વિધી એ તેના ગાલ પર ચુમ્મી કરી લીધી, સવિતા તેને જોઈ રહી.
એક-બે પળ એમ જ વીતી તેણે દરવાનને કહ્યું - યુવકને કહી દો અહીં તમારી માતા નથી રહેતી તેને વિદાય કરી દો.
આંસુ ભરી છતાં મક્કમ ચાલે વિધીને ઉચકીંને તે બગીચામાં રમતાં બાળકો પાસે જઈને ઊભી રહી અને વાત્સલ્યથી તેમને જોઈ રહી.