વાત એકતા નગરની
વાત એકતા નગરની
ભારત દેશમાં વિવિધ ભાષા બોલતા અને ધર્મ પાળતા લોકો વસે છે. જેવો રાજા તેવી પ્રજા એ હિસાબે જે દેશમાં આટઆટલી વૈવિધ્યતા ભરેલી હોય ત્યાં તેમાં આવેલી વસ્તી કે નગર ક્યાંથી બાકાત રહી શકે! આ દેશની ગલીએ ગલીએ વિવિધ જાતિના લોકો હળીમળીને રહેતા હોય ત્યારે તેમાં નવાઈ કેવી? આપણે જસલોક વસ્તીની જ વાત કરીએ તો તેમાં પણ જુદા જુદા ધર્મના લોકો એકસાથે રહે છે. હવે હળીમળીને રહે છે કે નહીં તે પ્રશ્નનો જવાબ તમને આગળ મળી જશે! પરંતુ એક વાત કહું તે બધાને આમાં જ ખૂબ મજા આવે છે.
જસલોકની પહેલી હરોળમાં જ પોતાનું ગેરેજ ખોલીને બેઠા છે બલબિન્દ્ર ઉર્ફ બલ્લુભાઈ. તેની પાછળની હરોળમાં પટેલભાઈનું મકાન આવેલું છે. પટેલભાઈ સ્વભાવે અને આર્થિક રીતે ખૂબ શ્રીમંત. તેઓ ગરીબગુરબાને મદદ કરવા હંમેશા તત્પર રહેતા હોય છે. બાજુમાં મકાન આવ્યું છે મુસ્તાકભાઈનું તેમની પણ સાઈકલ રીપેરીંગની દુકાન છે અને તેથી અવારનવાર બલ્લુભાઈ જોડે તકરાર થતી રહે છે. જોકે બંનેના વ્યવસાયને એકબીજા સાથે દુરદુરની કોઈ નિસ્બત ન હોવા છતાંયે તેઓ એકબીજા સાથે ઝઘડવાનો એકપણ મોકો જવા દેતા નથી. આજ હરોળમાં બાબુમોશાય ઘોષબાબુ, નાયરભાઈ, પેસ્તનબાબા તથા હેમલાણીભાઈના મકાનો આવેલા છે. જાણે જનગણમનની પંક્તિ ‘પંજાબ સિંધુ ગુજરાત મરાઠા દ્રાવિડ઼ ઉત્કલ બંગ’ પૂર્ણ કરવાની હોય તેવા ઈરાદા સાથે દગડુભાઉ પણ આ વસ્તીમાં હાલમાં જ રહેવા આવ્યા છે.
આમ તો જસલોકમાં દસ પ્રકારના લોક રહેતા હોવાથી તેમાં સ્વાભાવિકપણે તકરાર થતી રહે છે. તેમાંય પાછુ વસ્તીમાં એક જ નળ! જેમાં માંડ એક ટાઈમ અને તે પણ એક કલાક પુરતું પાણી આવે! તેથી “ઓય...” “અય્યો...” “તુજ્યા આઈલા...” “તારી તો...” “આમ્હી છોડબો ના....” જેવા ઘાંટા સંભળાય નહીં ત્યાં સુધી જસલોકમાં સવાર થાય જ નહીં. જો
કે નાનામોટા તકિયાકલામ સિવાય ગુજરાતની જસલોક વસ્તીમાં રહેતા આ તમામ વિવિધ ધર્મી ખૂબ સારી રીતે ગુજરાતી બોલતા શીખી ગયા છે. જેમ દુધમાં સાકાર ભળે તેમ તેઓ અહીં ભળી ગયા હતા. વહેલો તે પહેલો આ ધોરણ નળમાં પાણી ન આવે ત્યાં સુધી જ જળવાઈ રહે... બાકી નળમાં પાણી બંધ થવાનો સમય થતા સુધીમાં તો બધા અધીરા થઇ જાય. સમય વહેતાની સાથે સહુ ધારાધોરણ ભૂલી હું પહેલો... હું પહેલો... એમ કરતા થઇ જાય... એમાંય બિહારીબાબુને કાયમ મોડા આવવાની આદત. હવે જુઓને વાર્તામાં પણ તેઓ સૌથી છેલ્લે જ આવ્યા! પરંતુ આખરે આવીને પણ તેઓ ધમાલ મચાવી દેતા જેમ આજે તેઓએ મચાવી દીધી, “ઇસ બસ્તીકા નામ જસલોક કિસને રખન બા? ઇસકા નામ તો અલગ હોના ચાહિયે બા.”
બસ બિહારીબાબુની આ વાત સહુના મનને અસર કરી ગઈ. બધાને વિવાદનું એક કારણ મળી ગયું.
મરાઠી દગડુભાઈ બોલ્યા, “બસ્તીનું નામ... જય ગણેશ બસ્તી રાખો...”
મુસ્તાકભાઈ તાડૂક્યા, “રહીમ કી ચાલ એમ રાખો...”
પેસ્તનબાબા બોલ્યા, “કૈવી વાતો કરશે ની બાબા, વસ્તીનું નામ અગિયારી હાઉસ બરાબર છે.”
આમ વાતનું વતેસર થવા માંડ્યું. લાગ જોઈ બિહારીબાબુએ તેમની ડોલ નળ નીચે સેરવી દીધી.
સહુને આમ એકબીજા સાથે લડતા ઝઘડતા જોઈ બલબિન્દ્ર ઉર્ફ બલ્લુભાઈ ગરજી ઉઠ્યા, ‘અરે! કેમ આપસમાં આમ લડો છો? એકતા રાખો... એકતા...”
આમ પણ સાસવહુની સીરીયલોથી એકતા કપૂર ખૂબ પ્રસિદ્ધ થઇ છે.
બલબિન્દ્ર ઉર્ફ બલ્લુ ભાઈની વાતને સહુએ વધાવી લીધી અને આમ જસલોક વસ્તીનું નામ એકતા નગર પડ્યું! બસ આટલી જ હતી વાત એકતા નગરની...
*****