Kinjal Pandya

Drama

5.0  

Kinjal Pandya

Drama

સ્ત્રી

સ્ત્રી

3 mins
399


દરેક સ્ત્રી સહનશીલતાની મૂર્તિ છે. એ મૂંગે મોઢે બધું સહન કરી લેતી હોય છે. પણ, વાત જ્યારે એના અસ્તિત્વ કે સ્ત્રીત્વ પર આવે ત્યારે એ ખપ્પર પકડતાં પણ ગભરાતી નથી. એ નમણી નાર જ્યારે પુરુષની બાહોપાશમાં હોય ત્યારે કેવી નાજુક લાગે છે! એનાથી અનેક ઘણી ભયાનક પોતાના સ્ત્રીત્વને બચાવવા બનતી હોય છે. સ્ત્રી જન્મ આપે છે, તો સંહારક પણ બની જ છે. અને બનવું જ જોઈએ. એનામાં ગજબની સહનશક્તિ છે. ત્યારે જ તો એ "મા" બનવા જેવું મોટું કાર્ય કરતી હોય છે.

રજસ્વાલા શબ્દ કહો કે, માસિક ધર્મ કે પિરિયડ- આ બધાં જ શબ્દોનો અર્થ એક જ થાય છે અને આ શબ્દ સાંભળી દરેક પુરુષના હાવભાવ જોવા જેવા થઈ જાય છે. આ શબ્દો જેટલા બોલવામાં સહેલા છે એટલા જ સહન કરવામાં મુશ્કેલ છે. આ સમયે સ્ત્રીના શરીરમાં થતા ફેરફારો ખૂબ જ પીડા આપનારા હોય છે. એના લીધે એની માનસિક પરિસ્થિતિ પણ ખૂબ જ ખરાબ હોય છે. એને થતી પીડાનો અનુભવ શબ્દોમાં કેમ કરીને લખાય. એમ છતાં તમારે અનુભવ કરવું હોય તો તમારા હાથ પર જોરમાં પોતે અથવા બીજા પાસે ચીમટી ભરાવો તમારી સહનશક્તિની હદ આવી જાય ત્યાં સુધી. આનાથી અનેક ઘણું એકધારું દર્દ એક સ્ત્રી લગભગ સાત દિવસ સહન કરતી હોય છે. તમે ધ્યાનથી કોઈ દિવસ તમારી માં, બહેન, પત્ની કે દિકરી ને જોઈ છે, આ દુખમાં કણસતા? કદાચ નહિં અને એ કહેશે પણ નહીં અને એના રોજના કામ કરતી રહેશે. મારા મતે છોકરો તેર કે ચૌદ વર્ષનો થાય ત્યારે એને પોતાના ઘરની સ્ત્રીઓના આ પાસાં થી વાકેફ કરવો જોઈએ. વિડિયો બતાવી એમને પૂરતી માહિતી કે સમજણ આપવી જોઇએ. તો જ્યારે એ પુરુષ બને ત્યારે આજે થઈ રહ્યું છે એ ન કરે કે ન કરવા દે. સ્ત્રીઓને ત્રણ દિવસ કોઈ કામ કરવાની મનાઈ એ માટે છે કે, એ સમય દરમ્યાન એને માનસિક અને શારીરિક બંને રીતે આરામની જરૂર હોય છે. આ વાતને મહેરબાની કરી જુદા અર્થમાં ના લો. આ તો સ્ત્રીની વાત કરી પણ એક કૂતરી કે નારીજાતિ ની કોઈપણ પ્રાણી માસિક ધર્મ પાળે છે અને અમારા જેટલી જ વેદના સહન કરે છે.

સોશિયલ મીડિયા પર એના વિશે કોઈ ટિપ્પણી ન કરો . માન ન આપી શકો તો કંઈ જ નહીં પણ અપમાન તો ન જ કરો. આમાં તમારી પોતાની જનનીની કૂખ લજવાય છે.

એકવાર વિચાર કરી જુઓ ને પેલી કલ્પના ચાવલા અંતરિક્શમાં હશે ત્યારે એણે આ પરિસ્થિતિમાં કેવી રીતે સંતુલન જાળવ્યું હશે? અરે રામાયણની સીતા એ અશોક વાટિકામાં શું કર્યુ હશે?

માસિક ધર્મથી પીડાતી દ્વૌપદીને ભરી સભામાં દુસાશન વાળ પકડી ખેંચી લાવે છે ત્યારે એની શું હાલત હશે? પછી મહાભારત થાય એમાં ખોટું શું? એજ રજસ્વાલા સ્ત્રી ના ચીર શ્રી કૃષ્ણ ભગવાને જાતે આવીને પૂર્યા છે ત્યારે એમને તો કંઈ જ ન નડ્યુ?

કામાખ્ય દેવી - (આસામ, ગુવાહાટી)

એકાવન શક્તિ પીઠોમાંની એક છે. જે યોનિ શક્તિ પીઠ તરીકે ઓળખાય છે. જ્યાં માં ભગવતી જગદંબા ખુદ આજે પણ માસિક ધર્મ પાળે છે. અહીં મા જ્યારે માસિક ધર્મમાં હોય છે ત્યારે આપોઆપ મંદિરના દરવાજા બંધ થઈ જાય છે. મંદિરના ગર્ભગૃહમાંથી રક્ત બહાર આવે છે. ત્રણ દિવસ પછી મંદિરના દરવાજા આપોઆપ ખૂલે છે. અને માતાને ચઢાવેલા સફેદ વસ્ત્ર જે સંપૂર્ણ લાલ થઈ જાય છે એને પ્રસાદ રુપે મેળવવા ભક્તોની ભીડ જામે છે. હવે ખુદ જગત જનની માસિક ધર્મ પાળે છે છે તો અમે સ્ત્રીઓ તો એમના જ અંશ છીએ. અહી માતાની કૃપાથી ભગવાન વિષ્ણુએ નરકાસુરનો વધ કર્યો હતો.

આ પુરુષ પ્રધાન દેશ નિર્ભયાના દોષીને તો સજા આપી નથી શકતો, સ્ત્રી ને અબળા નારી સમજી એને સતાવતા થાકતો નથી અને વાત મહાન બનવાની કરે છે. તમારા આવા રાક્ષસી રાજમાં પણ અમે સ્વમાનથી, હિંમતથી તમારી સામે લડત આપીને માન ભેર જીવી લઈએ છીએ. દુ:ખ તો એક જ વાતનું છે કે આપણે જગદંબાની પૂજા કરી એની જ લાજ લૂંટયે છીએ અને એને જ અપમાનિત કરીએ છીએ. પરંતુ એ સમક્ષ છે. નિડર પણ છે.

હા, મને અભિમાન છે મારા અસ્તિત્વ પર, મને અભિમાન છે મારા સ્ત્રીત્વ પર. હા, મને ગર્વ છે કે હું સ્ત્રી છું. આ જગ, આ બ્રહ્માંડ સ્ત્રીઓથી જ ઉત્પન્ન થાય છે અને ધારે તો એ નાશ પણ કરી જ શકે છે. તો સ્ત્રી ઉપર આંગળી ચીંધતા પહેલા તમારા અસ્તિત્વ વિશે વિચારી લેજો.


Rate this content
Log in

Similar gujarati story from Drama