સરહદની પારથી
સરહદની પારથી


ડીંગ ડોંગ '
જેવી ઘર ની બેલ વાગે એટલે ઘરમાં જેટલાં હોય એ બધાંયનાં મન અને મગજમાં તોફાન ચાલું થઇ જાય, અને ખૂણામાં બેસેલો એ અઢાર વર્ષનો છોકરો આખો ઉભો થઇ જાય અને દરવાજાની પાછળ ઉભો રહી જાય અને હાથમાં બંદુકનો નિશાનો ઘરની સૌથી વૃદ્ધ સ્ત્રી બા પર હોય, જે પણ દરવાજા પર આવ્યું હોય એને બહારથી જ બહાનું બતાવી રવાના કરવામાં આવતું, આ ક્રમ ચાર દિવસથી ચાલતો હતો. કોઈને કોઈ સાથે વાત કરવાં દેવામાં આવતી ન હતી, ઘરમાં પણ નહીં અને બહારનાં લોકો સાથે પણ નહીં. ફોન ઉપાડવા દેવામાં આવતો નહીં, ઉચક જીવે બધા જીવતાં હતાં. પણ કોઈ પાસે આનો ઈલાજ ન હતો, પણ જેવો દરવાજો બંધ થતો એ વૃદ્ધ બા એ છોકરાની બંદુક નાં ડર વગર એ છોકરાને કહેતાં કે "હજી મૂછ નો દોરો નથી ફૂટ્યો અને કોઈકનાં ભરમાવે તું આજે બંદુક લઈને નીકળી પડ્યો છે. તારાં અલ્લાહને ગમતું હશે કે તું લોકોનાં જીવ લઈશ તો? જો હા હોય તો મને સાબિતી આપ કે તારાં અલ્લાહ આ બધાથી ખુશ છે.
છોકરો પહેલે દિવસે તો અકળાઈને બોલ્યો કે ચુપ રે બુઢ્ઢી તને શું ખબર કે શું સાચ્ચું છે અને શું ખોટું? પણ એ બા ચુપ ન રહેતાં, એક વાર એમણે પૂછ્યું "શું તારી માં રાજી થશે, તું અહીંની લડાઈમાં મરી જઈશ કે અહીંની પોલીસ પકડીને લઇ જાશે અને ફાસી એ ચડાવશે અને તું જ નહિ બચે તો?
ત્યારે એ છોકરો રડી પડ્યો મારી માં નથી મારે ફક્ત ભાઈ અને બાપ છે અને એમણે જ મને આ કામ સોપ્યું છે.
એ દિવસથી બા એ એને પ્રેમ આપવાં માંડ્યો. એને સરખું જમવાનું આપતાં અને પ્રેમથી વાત કરતાં અને કહેતાં કે જો વધારેમાં વધારે શું થાશે તું અમને બધાને મારી નાંખીશ પણ તું પણ મરીશ અથવા તું પકડાઈ જઈશ તો ફાસી એ ચડીશ, તારી અમારી સાથે કોઈ આવી લેના દેની બાકી હશે એટલે જ તને અમારું ઘર મળ્યું, હવે જે થાવું હોય તે જોયું જવાશે. કારણ જેમ તું તારાં દેશ માટે લડે છે અને મારવા તૈયાર છે એમ અમે પણ અમારા દેશ માટે મરવા તૈયાર છે અને ત્યારથી એ છોકરાં ને થયું કે જેમ હું મૌત થી નથી ડરતો એમ આ લોકો પણ નથી ડરતાં.
કાશ્મીરનાં પહાડી વિસ્તારમાં અંદાજે બધાં મળીને લગભગ 15 ઘર હતાં. એમાંનું એક ઘર એટલે સોહનલાલનું, સોહનલાલ એની પત્ની એનાં બે નાના બાળકો, કે જે લગ્નના અઢી વર્ષ માં જ આવી ગયાં હતાં અને એની વૃદ્ધ મા, પાંચ લોકો રહેતાં હતાં. અને કાશ્મીરમાં તેઓ વર્ષોથી રહેતાં હતાં. અને એમનું ઘર પહાડી ઇલાકામાં હતું, જ્યાંથી સરહદની વાડ પણ દેખાતી હતી, આ પંદર ઘરનાઓને કાશ્મીર માં રહેવાવાળા લોકો એ કેટલી વાર કહ્યું કે ગામમાં રહેવાં આવી જાવ અહિયાં જીવનો ખતરો વધારે રહેશે પણ એ લોકોનું માનવું હતું કે અહિયાં તેઓ વધારે સલામત હતાં કારણ સરહદ પર ચોકી કરવાવાળા હંમેશ સજાગ રહેતાં, એ ચોકી કરવાવાળા પહેરેદાર માટે પણ આ પંદર ઘરનાં લોકો જ એમનાં કુટુંબીઓ બની ગયા હતાં, રક્ષા બંધન અને દિવાળી હોળી બધું જ એમની સાથે ઉજવાતું. ત્યાં જ માં અને ત્યાં જ પિતાનો પ્રેમ એમને મળતો. ક્યારેક જો કોઈ સૈનિકો શાંતિથી બેઠા હોય ત્યારે કોઈ વૃદ્ધ અચાનક આવે અને હાથ માં ગરમ પૂરી શાક હોય અથવા તો કોઈ મીઠાઈ બનાવેલી હોય, સૈનિકો ભલે એમનાં લાવેલામાંથી જરા જરા લેતાં પણ તણાવમાં જીવતા સૈનિકો માટે આ હૂફ પણ બહુ હતી. એજ તારની બનેલી વાડ ને જોઇને અને દુરબીનમાંથી સરહદની પાર જોવામાં જ એમની જિંદગી પૂરી થઇ જતી હતી.
જ્યારની રજા લખાવી હોય ત્યારે જ ક્યાંક બોમ્બ બ્લાસ્ટ થાય ને અથવા સરહદની પારથી ગોળી બારી થાય એટલે રજા કેન્સલ થાય, ઘર નાં દુ:ખી થાય પણ સૈનિકો ને તો દુ:ખી થવાનો પણ સમય મળતો નથી, એ પાછા પોતાની ફરજ સંભાળવામાં પડી જાય છે, એવું જ હમણાં સૈનિકો સાથે થયું હતું. કારણ ચાર સૈનિકો એ રજા માંગી હતી અને સમાચાર મળ્યાં હતા કે 8 ટેરેરિસ્ટ જંગલનાં રસ્તે ભારતની સરહદ પાર કરીને ભારતમાં આંતકવાદી હમલો કરવા માટે આવ્યા હતાં. અને હવે સૈનિકો એ બધું ભૂલીને નાનામાં નાની હિલચાલ પર ધ્યાન રાખવાની હતી.
સોહનલાલનું ઘર પણ સરહદની નજીક જ હતું અને વધારે પડતાં બધાં સૈનિકો એમનાં આખા ઘર ને ઓળખતાં. એમનાં ઘરે જ્યારે બંને બાળકો થયા ત્યારે એમની ખુશીમાં સૈનિકો પણ ખુશ થયાં હતાં, અને સોહનલાલની માતાને તેઓ પોતાની માં સમજતાં. અને એ વૃદ્ધ બા પોતાનાં કડક સ્વભાવ માટે પણ પ્રખ્યાત હતાં. જો કંઈ ખોટું હોય તો એ મોટામાં મોટા લોકોનો વારો કાઢી નાખતાં.
એ બધાનું રોજ એકબીજાને મળવાનું થતું અને જો એક દિવસમાં કોઈક ન દેખાય તો કોઈક ને કોઈક સૈનિક પૂછતાછ કરવા જતો જ. અને હમણાં ચાર દિવસથી ઘર નું કોઈ સભ્ય બહાર નહોતું દેખાણું એટલે બેલ મારવાવાળો એક સૈનિક જ હતો.
દરવાજો સોહાન્લાલે જ ખોલ્યો અને સામે સૈનિકને જોઇને કહ્યું: ' કેમ વીર સિંગ, કેમ છે?' વીર સિંગે કહ્યું 'ક્યા છો બધા ચાર દિવસ થી કોઈ દેખાતું નથી'. સોહનલાલે જવાબ આપ્યો "પત્નીને જરા ઠીક નથી તો એને માથા પર ઠંડા પાણીનાં પોતા લગાડવાં પડે છે અને સાથે મા થી કંઈ થાય નહિ એટલે બાળકોને પણ સંભાળવું પડે એમાં નીકળાણું જ નહિ." વિર્સીન્ગે આખા ઘર માં નજર ફેરવી સોહનલાલની પત્ની ખાટ્લામાં ચાદર ઓઢીને સુતી હતી. અને માં સામે બેઠાં હતાં પણ સૈનિકને બધાનાં ચહેરા પર થોડું તણાવ દેખાણું એટલે વિર્સીન્ગે પાછું પૂછયું "સોહનલાલ કંઈ ટેન્શન નથી ને? કંઈ પણ હોય તો કહેજો અમને". સોહાનલાલે કહ્યું "નાં નાં તમે છો પછી અમને શું ચિંતા?"
પણ આખરે તો સૈનિક, એને સોહનલાલની વાતોમાં સચ્ચાઈ ન લાગી. એણે ઘરની વૃદ્ધ સ્ત્રી તરફ જોયું અને એ વૃદ્ધ સ્ત્રી એ નજર નીચી કરી લીધી જાણે
સાચું બોલાશે નહિ અને ખોટું બોલવું ન હતું. હવે વીરસીંગ ને પાક્કું શક ગયો એણે ઘરની અંદર જવાં માટે કોશિશ કરી તો સોહનલાલ ગુસ્સે થઇ ગયો અને બોલ્યો: "વીરસીંગ ભાભી સોઈ હૈ તુજે કૈસે અંદર બીઠાઉં તું એક દો દિન મેં આના હમ સાથ મેં બૈઠ કે ખાના ખાયેંગે"
વીરસીંગ સમજી ગયો કે કંઈક તો ગડબડ છે. પણ હવે કરે શું? ત્યારે તો એ પાછો ચાલ્યો ગયો પણ એનાં મગજમાં સોહનલાલ નાં ઘરનાં લોકો માટે ફિકર હતી
બીજા બે દિવસ એમ જ વીતી ગયાં, હવે વીરસીંગનું પૂરું ધ્યાન સોહનલાલનાં ઘર તરફ અને એની ગતિ વિધિઓ તરફ હતું, સોહનલાલ દિવસમાં એક વાર બારે જતો અને દોડી દોડી ને ઘરે પાછો જતો, પહેલાં કરતાં ખાવા પીવાનો સામાન પણ વધારે લેતો.
વિરસિંગે બધાને જણાવી દીધું હતું કે એને કંઈક ગડબડ લાગે છે. પણ તે લોકો એ સોહનલાલનાં ઘર વાળાઓની પણ સલામતી જોવાની હતી. કારણ અંદર શું હતું એ જ કોઈને ખબર પડતી ન હતી.
આખરે સાતમે દિવસે સોહનલાલની માં એક બંદુક લઈને ઓચિંતાની બહાર આવી અને કહ્યું "બોલ હવે કેવી રીતે મારીશ તું મારા કુટુંબ ને. હવે તો તારી બંદુક મારી પાસે છે,
જે વાતની રાહ હતી એ જ હવે સમય આવીને ઉભો રહ્યો અને તરત જ દસ સૈનિકો સોહનલાલ નાં ઘરમાં ગુસી ગયાં, પણ જે છોકરો હતો એણે પોતાને સોહનલાલનાં બેડરૂમમાં પોતાને બંધ કરી નાખ્યું હતું અને સોહનલાલની પત્ની રડતી હતી કે મારી દીકરી અંદર સુતી છે એને કંઈ ન કરતાં.
સૈનિકો પણ થોડાં અટકી ગયાં કારણ સોહનલાલે કહ્યું કે એ પોતા સાથે મોટી છુરી લઈને અંદર ગયો છે હવે બધાને એ એક વર્ષની દીકરીની ફિકર થઇ.
ત્યાં હવાથી દરવાજો ખુલી ગયો સૈનિકો ધીરે પગલે અંદર ગયાં જોયું તો એ અઢાર વર્ષનાં છોકરા એ પોતાનાં હાથની નસ કાપી લીધી હતી અને એનાં હાથમાંથી લોહી વહેતું હતું. ધીરે ધીરે એની આખો બંધ થાતી હતી પણ એ એકી નજરે દરવાજા પર ઉભી રહેલી સોહનલાલની માં ને જોતો હતો, એણે એક સૈનિકને કહ્યું કે એમને નજીક બોલાવો, સૈનિકે એ વૃદ્ધ સ્ત્રીને કહ્યું આવો, ત્યારે એ છોકરો બોલ્યો કે જેમ કોઈકે મગજ ફેરવ્યું અને ટેરેરીસ્ટ થયો કે જે હું જન્મથી નહોતો એમ જ તમારી વાતો એ મને સારાં માણસ થવાની ઈચ્છા જન્માવી. જો હમણાં પકડાઈ ગયો હોત તો કેટલાં વર્ષો જેલમાં રહેત અને પછી ફાંસી મળત મારે એવી મૌત નહોતું મરવું, મારે આ ઘરમાં જ મરવું હતું અને એની આખો બંધ થઇ ગઈ હંમેશ માટે, એ અઢાર વર્ષનાં બાળકને મૌતની નીંદરમાં સુતાં જોઇને એ વૃદ્ધ માની આંખમાંથી બે અશ્રુ સરી ગયાં અને એણે બંને હાથ ઉપર તરફ જોડીને કહ્યું: "હે પ્રભુ! આવાં બાળકોને આવતો જન્મ સારો આપજે."
ત્યાં ઉભાં રહેલાં બધાં સૈનિકોએ એ વૃદ્ધ સ્ત્રીને સલામી આપી કે જેમણે બહાદુરીથી પોતાનાં ઘરનાં લોકોની જાન બચાવી અને પોતાની વાતોથી એક આતંકવાદીનાં વિચારો બદલી હૃદયપરિવર્તન પણ કર્યું.
ત્યાં એકદમ નવો આવેલો સૈનિક બોલ્યો કે આટલાં દિવસથી આ લોકો કહેતાં કે અમને અહિ બધાં ઘર પોતાનાં ઘર લાગે છે એ વાત હવે સાચી લાગે છે. ત્યારે ત્યાં ઉભેલો એક સીનીયર સૈનિક બોલ્યો કે ખાલી આ પંદર ઘર નહિ પણ આખું ભારત આપણું ઘર છે અને આપણે બધાનું ધ્યાન રાખવાનું છે. ત્યારે એ વૃદ્ધ સ્ત્રીએ બધાં સૈનિકોને સલામી આપી અને ગામમાં રહેતાં બધાંએ પણ સલામી આપી.