સ્મિત લક્ષ્મીનું
સ્મિત લક્ષ્મીનું
“મનુભાઈ સારો માણસ ધ્યાનમાં હોય તો કહેજો માણસની જરૂર છે મારે …”અજયભાઈ એ ફોન કરી કહ્યું.
“મનુભાઈ એક વાત પૂછું ? આ તમારે ત્યાં વર્ષોથી આ જ સ્ટાફ કેવી રીતે ટક્યો છે ? અમારે તો જોવોને બે-ચાર વર્ષ થાય ને માણસ છૂટો જ થઈ જાય ; સાલું ગમે તેટલા સાચવો તોય માણસો ને કદર જ નથી ને …”અજયભાઈ એ પોતાની હૈયાવરાળ ઠાલવી.
મનુભાઈ એ તેમની વાત શાંતિથી સાંભળી અને તેમને સાંત્વના આપી ફોન મૂક્યો.
મનુભાઈ…… સાડી ના હોલસેલ વેપારી…લોકડાઉન બાદ બજારમાં મંદી હોવા છતાં તેમના માથે લક્ષ્મીજી નાં આશિર્વાદ યથાવત્ હતાં.
અજયભાઈનાં ફોન બાદ મનુભાઈ વિચારતા હતાં કે લોકડાઉન બાદ મોટાભાગના વેપારીઓએ પોતાના માણસોને છૂટા કરવાની ધમકી સાથે અડધા પગારે કામ કરાવતા હતાં જ્યારે મનુભાઈ તો લોકડાઉન માં પણ પોતાના કર્મચારીઓને તકલીફ ન પડે એ માટે તેમના ઘરે જઈ ને તેમનો પૂરો પગાર તેમજ જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડી ને પોતાના કર્મચારીઓના દિલમાં મનુભાઈ માટે લાગણી અને માન બંને જીતી લીધા હતાં.
મનુભાઈને ત્યાં પૂજામાં રહેલી દેવીની મૂર્તિ જોઈ ઘણાં કહેતાં કે અદ્ભુત મૂર્તિ છે આ શું આકર્ષક સ્મિત છે ! આટલી અદ્ભુત મૂર્તિ જવલ્લે જ જોવા મળે….
“આ તો તમારો માતા પ્રત્યેનો ભાવ છે” મનુભાઈ આ કહી વાત વળાવતાં માતાને પગે લાગતાં.
ધનતેરસના દિવસે સપરિવાર પૂજા કરતાં મનુભાઈની મૂર્તિ નું સ્મિતનું રહસ્ય જોનારા સમજી ગયા.
ઘરમાં પત્ની અને પુત્રવધુના ચહેરા પર રહેલું સ્મિત તેમજ પેઢી પર કર્મચારીઓના હસતાં ખુશખુશાલ ચહેરા જોઈને માતાની મૂર્તિ પણ મલકતી જ હોય ને…!