ભક્તિ તણો ઉમટે સાગર
ભક્તિ તણો ઉમટે સાગર
ભક્તિ તણો સાગર ઉમટે હદયમાં
વહેલી સવારે ગીર ગાયનાં દુધનો ભરેલ લોટો, બીલીપત્ર લઈ ચાકરોની સાથે ભગવાન સિધ્ધનાથ મહાદેવનાં મંદિરે દર્શન કરવા જતાં ઝીઝુવાડા ચોવીસી રાજના ધણી ભક્તીભાવવાળા યુવરાજ
સામંતસિંહજી (વડવાળા બાપુ) પોતાની રાજની હદની મરુભુમીમાં આવેલ ઝીલકેશ્વર બેટ પર આવેલ પવિત્ર પૌરાણિક તીર્થસ્થાન એવાં ઝીલકેશ્વર મહાદેવના મંદિરે ગયેલાં.
પવિત્ર વાતાવરણ હતું. ઝીલકેશ્વર સરોવરની પાળે આ ભોળાનાથ બિરાજતા,ત્યાં આવેલ ગૌમુખીમાંથી શ્રાવણ વદ પાંચમે સવારે આપોઆપ સરસ્વતીનાં નીર ભીતરથી પ્રગટી સરોવર પુરું છલકાતું હતું. આ ચોખ્ખું જળ મંદિરનાં પગથીયા પર ચડી જાણે સરસ્વતીજી સ્વયં શિવજીનો અભિષેક કરતું હોય તેવું લાગતું હતું.
આજુબાજુ જંગલમાં રહેતાં રણકાંઠાના ગરીબ લોકો આજ, પ્રસાદની આશાએ મંદિર આસપાસ બેઠાં હતાં.
યુવરાજ મંદિરમાં પ્રવેશતાં પહેલાં જ મંદિર બહાર કોઈ બાળકનાં કરુણ રુદનનો અવાજ સંભળાતાં તેમણે પાછા ડગ માંડ્યા. અને માને પુછ્યું, "બહેન આ બાળકને કેમ રડાવો છો? છાનું પણ રાખતાં નથી કેવી મા છો તમે?"
લાજ કાઢેલ બહેને બે હાથ જોડી કહ્યું "બાપા ભુલ થઈ. માફ કરજો."
અને બાળકને મનાવવા લાગી
ફરી મંદિર તરફ ડગ માંડતા યુવરાજ પાછા ફર્યાં તો તેમની લાલ આંખ જોઈ બાજુનાં એક માજી ઉભા થઇ બોલ્યાં "બાપુ આ બાળકને મારી નાખો એટલે ચુપ થઈ જાશે"
યુવરાજને માજીએ કહ્યું, " આ મારા પૌત્રે કંઈ ખાધું નથી. આજે જે લોકો દુધ ચડાવે તેની ધાર પાછળ નીકળે તે પીવડાવીશ. પણ માન્યો જ નહી."
પલમાં વાતનો તાગ મેળવી આ યુવરાજે બીજા લોટામાં થોડું દુધ કાઢી, બાકી બાળકને આપી દીધું
જોઇને પુજારી બોલ્યો, "બાપુ ભગવાનને ચડાવ્યા વગર દુધ બાળકને ન અપાય."
બાપુ હસીને બોલ્યાં, "પુજારી કોઈની ભૂખથી બળતી આંતરડી ઠારવી એનું પણ શ્રાવણ માસની શિવપૂજા જેટલું જ મહત્વ કહેવાય, એ શ્રાવણનો સાચો મહિમા મને આજ સમજાયો."
પછી તેમણે સહુ પ્રજાજનોને વિનંતી કરી કે " આખો મહિનો પહેલાં આ ગરીબોને દુધ પાજો. અને થોડું દુધ શિવજીને ચડાવજો. "
પછી તો રાજ તરફથી અહિં આખો શ્રાવણ માસ ગરીબોને મફત દુધને પ્રસાદ અપાવા માંડ્યો. હવે સહુને શ્રાવણનો સાચો મહિમા સમજાયો હોય તેવું લાગ્યું.
સમાપ્ત