નદી શા માટે રડે છે ?
નદી શા માટે રડે છે ?
ચોમાસામાં જમના નદીના કીનારા પર આવેલા રાજ મહેલમાં એક સમે અકબર શાહ સુતો હતો. તેવામાં એકાએક નદીમાં સપાટાબંધ પાણીનું પુર આવ્યું. તેનો ખળખળાટ સાંભળી શાહ વિચાર કરવા લાગ્યો કે હમણા અડધી રાતની વખતે આ નદી રડે છે તેનું શું કારણ હશે ? હજી સુધી મારા રાજમાં કોઇ પણ દુખી નથી છતાં શા દુખથી નદી આટલો બધો વિલાપ કરતી હશે ? એજ વિચારની લ્હેરમાં ચઢી જઇને ચોકીદારોને બોલાવીને પુછ્યું કે, આ સમયે નદી શા માટે રૂદન કરી રહી છે ? આ પ્રમાણે શાહનું બોલવું સાંભળી ચોકીદારોએ તેનો જવાબ ન આપવાથી શાહે તરત કેટલાક દરબારીઓને તેજ વખતે બોલાવીને તેજ સવાલ તેઓને પુછવાથી, તેઓ તેનો જવાબ ન આપવાથી શાહે તરત બીરબલને બોલાવવા માટે સીપાઇને મોકલ્યો. અડધી રાતે સીપાઇને આવેલો જોઇ, બીરબલ મન સાથે કહેવા લાગ્યો કે, 'હમણાં શું કામ હશે ? શા માટે બોલાવ્યો હશે ? ગમે તેમ હો. પણ જવું તો જોઇએજ ?' આવો વિચાર કરી તરત બીરબલ સીપાઇ સાથે નીકળી શાહ આગળ આવી સલામ કરી શાહ પાસે આવી બેઠો. તે જોઈ શાહે તરત બીરબલને પુછ્યું કે, 'નદી શા માટે રડે છે ?' શાહનો આ સવાલ સાંભળી બીરબલે મનમાં વિચાર કીધો કે, વરસાદના જોરથી એકદમ નદીમાં પુર આવ્યું છે, તેના ખળભળાટથી શાહ ઝબકી ઉઠ્યો છે, તેની શંકાનું સમાધાન કરવું જોઇએ. આમ વિચારીને બીરબલે કહ્યું કે, 'હજુર ! નદી રૂવે છે કારણ એ છે કે, નદીનું માવતર પર્વતમાં છે, અને સાસરૂં સમુદ્રમાં છે. માટે માવતરથી નીકળી પોતાના પતિ રૂપ સમુદ્રને મળવા જાય છે. માટે સંસારના વ્યવહાર પ્રમાણે સાસરે જતા, થતાં માબાપના વિયોગને લીધે રૂવે છે. એ સાંભળી શાહ ઘણો ખુશી થયો, અને ખરા કારણનો ખુલાસો જાણવામાં આવવાથી બીરબલની બુદ્ધિ માટે ઘણીજ તારીફ કરવા લાગ્યો.
