મને તો પૂછો !
મને તો પૂછો !
આજ સવારથી જ કવિતા ખૂબ અકળાયેલી અને ગુસ્સામાં વર્તાઈ રહી હતી. કોઈને ખબર ન હતી અને એ બધાને જવાબ આપતી જાય અને પોતાનું કામ કરતી જાય. પરંતુ આજ ગમે તે કામ કરે એમાં ઘણી ભૂલો થઈ રહી હતી, બાપુજી માટે ચા સુગર વગરની હોય તો એમાં સુગર વધારે પ્રમાણમાં વસંતનો નાસ્તો દીક્ષિતા ને. અને બધાની ફરિયાદ શરૂ થઈ ગઈ હતી, ત્યારે કવિતા સોરી કહી પોતાની જાતને કોષવા લાગી. આમ ને આમ સાંજ પડી ત્યાં એના સાસુ ઘરે આવીને બોલ્યા કવિતા આ વખતે તો આપણા ઘરે દિકરો જોઈએ. એ સમયે વાત અવગણીને પોતાના કામમાં વ્યસ્ત થઈ ગઈ હતી. પરંતુ મનમાં હજુ એક જ્વાળામુખી હતો એ કઈ રીતે બહાર આવશે? એ એને પણ ખ્યાલ ના હતો. રાતના સમયે એકાએક ઊઠી અને કંઈક લખ્યું. સવાર પડી અને દીક્ષિતા એ જોયું ત્યારે બુમાબુમ કરી અને તેની પાસે દાદાજી, દાદી, આવી પહોંચ્યા હતાં. કવિતાનો નિસ્તેજ ચેતન વગરનો દેહ જમીન પર હતો અને હાથમાં એક ચિઠ્ઠી હતી જેમાં લખ્યું હતું "હું તમારા બધાની ઈચ્છાઓ વચ્ચે દબાઈ ગયેલી હોઉં એવું લાગે છે. બચપણથી જ જયારે સ્કૂલમાં હતી ત્યારે મમ્મી પપ્પાનો આગ્રહ રહેતો ટોપર બનવાનું એ માટે 100% જોઈએ જ. કોલેજમાં આવી ત્યારે પણ ટોપર થવાનું જ અને દરેક કાર્યમાં બેસ્ટ જોઈએ. વસંત સાથે લગ્ન કર્યા ત્યારે પણ તારા મમ્મી પપ્પા પાસે કાર જોઈએ. લગ્ન પછી દીકરી નથી જોઈએ દિકરો જ જોઈએ". ક્યાં સુધી હું આ 'જોઈએ' ના બોજ નીચે મારા અસ્તિત્વ ને દબાવું?
"કોઈ મને તો પૂછો મને શું જોઈએ? આ જોઈએ ના દબાણ હેઠળ હવે મારી અંદરનો જ્વાળામુખી કોઈને નુકસાન કરે એ પહેલાં હું એ જ્વાળામુખીને મારી સાથે લઈ જઈ રહી છું."