મારાં વિચાર
મારાં વિચાર
દિવાળીએ સૌથી વધુ મહત્વનો તહેવાર, દરેકના જીવનમાં ખુશહાલી, પ્રસન્નતા લાવતો નિમિત્ત પરંતુ આ ખુશહાલી, પ્રસન્નતા દરેકને નથી પ્રાપ્ત થતાં. દરેકને પોતાના જીવનમાં કંઈ ને કંઈ ખૂટે છે અને એ રંજમાં પોતાનું સાથે સાથે બીજાં લોકોનું નુકસાન કરે છે. હમણાં સોશિયલ મીડિયામાં ઘણા વિડિયો વાયરલ થયા છે. દિવાળીની ઉજવણીમાં ફટાકડા ફોડીને ધૂમાડો થાય છે અને પ્રદૂષણ વધે છે, ગરીબ બાળકો આ ઉજવણી જોઈ વલખતા હોય છે, અને ઘણા મીઠાઈ, કપડાં, થોડા ફટાકડા ગરીબ બાળકો ને આપી એને એક ક્ષણ માટે ખુશી આપે છે. બધા પોતાના વિચારો મુજબ કંઈક ને કંઈક નવું કરવાની કોશિશ કરતા હોય છે, પરંતુ હું મારા વિચાર કહું તો, એ આપેલી ગિફ્ટ એ બાળકો પાસે ક્યાં સુધી અને કેટલો સમય સુધી ટકશે ? મીઠાઈ એ બાળક એકલું નહીં ખાય એનાં ઘરનાં સભ્યો સાથે ખાશે અને જો ઘરમાં વધુ તકલીફ હોય તો કોઈ દુકાને જઈ રોકડા કરશે, એમ જ કપડાં એ પહેરશે અથવા રોકડા રૂપિયા એવું જ ફટાકડામાં થશે અને એ રૂપિયા, કે મીઠાઈ, કપડાં, ફટાકડા ક્યાં સુધી રહેશે ? પણ એક વસ્તુ છે જે એ બાળકો સાથે જીવનભર રહેશે અને એ છે શિક્ષણ. શિક્ષણ શા માટે ? એ બાળકોમાં કોઈ એક પણ શિક્ષણ મળશે તો એ શિક્ષણનો દીવો એનાં જીવનનો અંધકાર તો દૂર કરશે પરંતુ એ જ્યોતરૂપી દીવાઓ બીજાં ઘણાં લોકોના જીવનનો અંધકાર દૂર કરશે. બની શકે તો શિક્ષણ આપવા પ્રયાસ કરવો જોઈએ.