મા દીકરાનું મિલન
મા દીકરાનું મિલન
"કેમ સમજાવું આ ડોશીમાને કે તમારો દીકરો હવે ક્યારેય પાછો નહીં આવે, પણ નહીં બસ આખો દિવસ પોતાના છોકરાનો ફોટો હાથમાં લઈ યાદ કરી રડ્યાં કરે છે." રમીલાબા ના પાડોશી જયસુખભાઈ બોલ્યા.
"તમે બોલો છો એ મને સંભળાય છે હો ! ભલે તમે જે કહો તે પણ મારો દીકરો આવશે જ પાછો, જોજો તમે અત્યારે ભલે મારા આ દિવસો તેના વિયોગમાં જાય છે પણ એ આવીને જ મારા વિયોગને ટાળી જીવનની છેલ્લી ઘડીમાં ખુશીઓ આપશે." ખાટલે બેઠાં બેઠાં જ રમીલાબાએ જવાબ આપ્યો.
ફરી રમીલાબા તેના દીકરાના ફોટોને જોઈ ભૂતકાળમાં સારી પડ્યાં. એ અંધારી વરસાદની કાળી રાત કેમ કરીને ભૂલાય, કડાકા સાથે વીજળીના જોરદાર ચમકારા અને ધોધમાર વરસાદમાં પોતાના બંને દીકરા અને પતિ સાથે બાજુના ગામથી પરત ફરી રહ્યાં હતાં. નીકળ્યા ત્યારે વરસાદના આવા કોઈ એંધાણ નહોતા અને અચાનક આવી ચડેલા એ કાળાડિબાંગ વાદળોએ જાણે કે તેમનું જીવન વેરવિખેર કરવાં આવ્યાં હતાં. રસ્તામાં આવતી નદીમાં અચાનક પૂર આવી ચડ્યું અને ત્રણે લોકો પાણીમાં તણાવા લાગ્યાં. રમીલાબેનના પતિ જેમ તેમ કરી રમીલાને તો બચાવી લીધી અને બહાર નીકળી ગયા પણ પોતાનો દીકરો પાણીના વહાવ સાથે ક્યાં જતો રહ્યો તેનો પત્તો જ મળ્યો નહીં. અંધારી રાતમાં તેને શોઘ્યો પણ મળ્યો નહીં, બીજા દિવસે પણ બધી શોધખોળ નિષ્ફ્ળ નીવડી. આ તરફ રમીલાબેનની રડી રડીને હાલત ખરાબ થઈ ગઈ હતી. ધીરે ધીરે દિવસો પસાર થવા લાગ્યાં પણ રમીલાબેનના મનમાં તો હજુ તેનો દીકરો જ ભમતો હતો.
આ વાતને 20 વર્ષ થઈ ચૂક્યા હતાં, રમીલાબેનના પતિ પણ સ્વર્ગે સિધાવી ગયા તેમને એકલા છોડી, રમીલાબા બસ પોતાનો દીકરો આવશે તેની રાહમાં જ જીવતા હતાં.
ગામના લોકો આવીને રમીલાબાને સમજાવતા પણ રમીલાબા કોઈની વાત સાંભળે તો ને...
અચાનક દરવાજા પર ખટ...ખટ... અવાજ આવતાં રમીલાબા વર્તમાનમાં આવ્યા અને બોલ્યા, "કોણ છે ?"
સામેથી અવાજ આવ્યો,"હું છું." આટલું બોલી તે વ્યક્તિ રમીલાબાની સામે આવીને ઊભો રહી ગયો.
બે ઘડી તેને જોયા કરી રમીલાબા બોલ્યા,"કોણ છો તમે ભાઈ ?"
"મને ના ઓળખ્યો ? " થોડો વિચાર કરો. ફરી પોતાની આંખો ઝીણી કરી જોયું પણ કશું યાદ ન આવ્યું તેમ બોલ્યા, "ના !"
રમીલાબાના પગ પકડતાં તે છોકરો બોલ્યો, "હું તમારો દીકરો રાજુ ઓળખ્યો નહીં ?"
રમીલાબાએ ફરી પોતાની આંખો ચોળી હાથમાં રહેલા ફોટા સામે જોયું અને થોડીવાર એ છોકરા સામું જોયું અને અચાનક તેમની આંખોમાં આંસુની ધાર ચાલુ થઈ ગઈ.
દીકરાને ગળે લગાવી રડવાં લાગ્યાં. રાજુએ પાણી આપી શાંતિથી બેસાડ્યા. પછી રમીલાબા બોલ્યા, "પણ દીકરા અત્યાર સુધી તું ક્યાં હતો ? તારી મા તને યાદ ન આવી ? તારા પિતાજી પણ દુનિયા છોડી જતા રહ્યાં."
હા કહું છું બા શાંતિ રાખો અને બેસો એટલું કહી બહાર તેની સાથે આવેલા બીજા વ્યક્તિને અંદર બોલાવ્યો. બધા લોકો સાથે ઓળખાણ કરાવી અને ત્યારબાદ તે દિવસની બનેલી ઘટના અને ત્યારબાદ બનેલી બધી જ વાત બા ને કહી.
બા પોતાના હરખને છૂપાવી નહોતા શકતાં, જે માંડ માંડ ચાલી શકતાં હતાં તે આજે ફટાફટ દરવાજા પાસે પહોંચી મોટા અવાજે બોલવા લાગ્યા,"ઓ... જયસુખ... ઓ... જયસુખ... જો ! આ જો ! મેં કહ્યું હતું ને આ આવ્યો મારો દીકરો રાજુ. જો... આવ જલ્દી હવે."
રમીલાબાને આવી રીતે મોટેથી બોલતાં જોઈ આજુબાજુના લોકો ભેગા થઈ ગયાં અને જોવા લાગ્યા. થોડીવારમાં તો વાયુવેગે ગામમાં વાત ફેલાઈ ગઈ કે રમીલાબાનો દીકરો પાછો આવ્યો છે.
આ વાત સાંભળતા જ ગામના લોકો મા દીકરાના મિલનને જોવા તેના ઘર પાસે ભેગા થવા લાગ્યાં.
રમીલાબાને આટલા ખુશ જોઈ દીકરા સાથેના મિલનના જે લોકો સાક્ષી હતાં તેઓના આંખમાં પણ ઝળઝળિયાં આવી ગયાં.