ખૂની ખેલ ૧૩
ખૂની ખેલ ૧૩
યોગી ઈશ્વરચંદનાં કહેવાં પ્રમાણે રીચલ એક ભયાનક છેલ્લી કક્ષાની પિશાચ હતી. તેને પાછી માણસ બનાવવી શક્ય નહોતી. અને તેનાં પંજામાંથી છૂટવું પણ અશક્ય નહોતું પણ સહેલુંયે નહોતું. જીએમે સૌથી વધુ સાવચેત રહેવાની જરૂર છે. તે ગમે ત્યારે પણ જો રીચલનાં સંપર્કમાં આવશે તો તે પાછાં પિશાચીવૃત્તિનાં અસર હેઠળ આવી જશે. જો તેમને ભૂલમાં પણ રીચલનો સંપર્ક થાય તો તેમણે પેલી ઈશ્વરની અને ૐની મૂર્તિ પોતાનાં હાથમાં રાખવી. જ્યાં સુધી રીચલનો નાશ ના થઈ જાય ત્યાં સુધી પેલી રાખ હંમેશ પોતાનાં શરીરે ચોપડી રાખવી અને તેમનાં ઘરની અંદરનાં મંદિરનાં એરીયામાં જ બેસી રહેવું. પોતાની ચોતરફ પવિત્ર પાણી છાંડ્યાં કરવું. નહીતર તેમને રીચલથી ફરી કોઈ બચાવી નહીં શકે. સૌથી સારું તો એ રહેશે કે રીચલ મળે ત્યારે યોગી ઈશ્વરચંદ તેમની સાથે જરૂર હોય, તેમને મદદ કરવાં. તદ્ઉપરાંત, યોગી ઈશ્વરચંદ બેત્રણ જાતની વનસ્પતિ લેતાં આવશે. જેની અસરથી રીચલ પણ બચી નહીં શકે!
બધાંને જેટલી આશા બંધાઈ હતી તેનાથી વધારે બીક લાગતી હતી. બધાં ઈશ્વરનું નામ લેતાં લેતાં છૂટાં પડ્યાં. યોગી ઈશ્વરચંદને તેમનાં ઘરે મૂકીને તે અને અચલ તેનાં ઘરે પાછાં ફર્યાં ત્યારે રાતનાં દસ વાગી ગયાં હતાં. જેવી રીચલ બાબતે થોડી રાહત થઈ કે તરત પોલીસની બીક તેના મગજને ઘેરી ચૂકી હતી. તેને ને અચલને જેલમાં જવાનું થશે? પોલીસ અત્યાર સુધીમાં તો જે તે નિર્ણય પર આવી ચૂકી હશે. તેમને હાથકડી પહેરાવીને પેલાં રીઢાં ગુનેગારની જેમ લઈ જશે? એ લોકો સાથે કરે છે તેવો જ વ્યવહાર કરશે? તેમને મારશે? થર્ડ ડીગ્રી ટોર્ચર કરશે? મુવીમાં ને ટીવીમાં બતાવે છે તેવું? જામીન મળશે? આજીવન કેદ થશે? ફાંસી થશે? તેણે આ જગ્યાએ જોબ જ કેમ લીધી? લીધી ત્યારે તે આ બધાંમાં ફસાઈને! પપ્પાને ખોયાં, બેસ્ટ ફ્રેંડ ખોઈ! હજુ જાણે શું શું ખોવાવું થશે!? પ્રશ્નોની ભૂતાવળ તેને વળગી ચૂકી હતી!
ઘર આવતાં જ તે અચલ કાર પાર્ક કરી બહાર આવે તે પહેલાં તો ઘરમાં ધસી આવી! ઘરનાં બારણાં ખુલ્લાં જ હતાં. તેણે કેટલાંક અજાણ્યાં માણસો ઘરમાં જોયાં. મમ્મી, મયંક, કાકા, કાકી, તેમની છોકરીઓ અને બીજાં પાંચ છ જણાં હતાં જેમને તે ઓળખતી નહોતી. ધસમસતી આવેલી તે આ બધાંને જોઈ બારણાંમાં જ ખોડાઈ ગઈ. અચલ પાછળ ધીમે પગલે આવ્યો કે તરત સાદાં કપડાંમાં ત્યાં બેસી રહેલી પોલીસ તેને ને અચલને પોતાની જીપમાં હાથકડી પહેરાવીને લઈ ગઈ. કાકાએ વકીલને ઘરે હાજર રાખ્યાં હતાં તેથી તે બંનેએ પોલીસસ્ટેશને જામીનનાં પેપર સાથે પહોંચી તેને અને અચલને છોડાવ્યાં.
ઘરે પાછાં ફર્યાં ત્યારે વહેલી સવાર થઈ ગઈ હતી. તેણે સૂવાનું બહાનું કાઢી રૂમ બંધ કર્યો. ખુલ્લી બારીમાંથી તે ઉગતા સૂરજ સામે તાકી રહી! કોણજાણે એનાં જીવનમાં ફરી સૂરજ ઊગશે કે નહીં? તેનાં લીધે તેનાં કુટુંબ પર જે અંધકારની રાત્રિ આવી છે તે પૂરી થઈ નવાં દિવસનો સૂરજ ઊગશે? રોજ પ્રિય લાગતો સૂરજ આજે એને વહેલી સવારે સાવ કુમળાં કિરણો હોવાં છતાં દઝાડી રહ્યો હતો. તે બારી બંધ કરી, પોતાનાં જીવન જેવું રૂમમાં અંધારું કરીને પલંગમાં પડી અને ધ્રુસકે ધ્રુસકે રડવાં લાગી.
બેત્રણ દિવસ પછી અચલ તેને અને યોગી ઈશ્વરચંદને જીએમનાં ઘરે લઈ ગયો. જીએમનાં ઘરમાંથી સતત ધૂપની સુગંધી આવી રહી હતી. એક શાંતિમય વાતાવરણ અનુભવાઈ રહ્યું હતું. યોગી ઈશ્વરચંદે તેમની પાસેની નાની બેગમાંથી બેત્રણ જાતની જૂદીજૂદી વનસ્પતિઓ કાઢી, સાથે ઈશ્વરની અને ૐની મૂર્તિ, ભસ્મ, પાણી વિગેરે તો ખરાં જ. તેમણે એ વનસ્પતિનો લેપ બનાવી જીએમનાં શરીર પર લગાવ્યો ને તે સાથે જ જાણે ચોતરફ આગ લાગી હોય તેવી અનુભૂતિ થઈ. જીએમનાં આખાં શરીરે અગન ઊપડી હોય તેવું લાગવાં માંડ્યું. ક્લાકેક પછી જીએમ યોગી ઈશ્વરચંદે આપેલાં પાણીને એક ડોલમાં બીજા પાણી સાથે ઉમેરી, તેનાથી નાહીને બહાર આવ્યાં ત્યારે એકદમ સ્વસ્થ દેખાવાં માંડ્યાં હતાં. ફરી યોગી ઈશ્વરચંદે ઘરની દરેક વ્યક્તિ અને ઘરને આરક્ષિત કર્યાં. તેમનાં માનવાં પ્રમાણે આજે રીચલ ત્યાં જરૂર આવવાની હતી.
એમ તો એ રોજ બારણે આવતી, જીએમને બોલાવતી અને જીએમ બહાર ના નીકળે તો બારણેથી જ પાછી જતી રહેતી. ઘરમાં પ્રવેશતી નહીં. રાત થઈ પણ તે દેખાઈ નહીં. તેથી સૌ પોતપોતાને ઘરે જવાં ઊભાં જ થયા ને ડોરબેલ વાગી. ‘આટલી રાત્રે કોણ હશે’ કહેતાં જીએમનાં પત્નીએ બારણું ખોલ્યું તો યોગી ઈશ્વરચંદનો વિશ્વાસ સાચો ઠર્યોં. બારણે રીચલ જ ઊભી હતી. આજે તો તેને ખાસ અંદર બોલાવવાની હતી! એટલે જીએમ પણ બારણે પહોંચી ગયાં. બહુ કહ્યું પણ રીચલ ઘરમાં પગ મૂકવાંય તૈયાર નહોતી. યોગી ઈશ્વરચંદે ઘરને સુરક્ષિત કર્યાં પછી કોઈ આસુરી તત્વો ઘરમાં પેસી શકે તેમ જ નહોતાં. યોગી ઈશ્વરચંદની સૂચના પ્રમાણે જ જીએમ થોડી આનાકાની પછી તેની સાથે કારમાં બહાર જવાં નીકળ્યાં.
તે, જીએમની પત્ની, યોગી ઈશ્વરચંદ અને અચલ, એમ ચારેય જણાં અચલની કારમાં પાછળ નીકળ્યાં. તે બંનેનો અમુક ડિસ્ટન્ટ રાખી પીછો કર્યોં. રીચલ જીએમને સાવ સુમશાન રસ્તા પર લઈ ગઈ જ્યાં કોઈ જ વસ્તી નહોતી. કોઈ પણ જાતની વાહનની અવરજવર નહોતી. એટલે તેમણે કાર ખૂબ દૂર ગીચ ઝાડીઓમાં સંતાડીને ઊભી રાખી દેવી પડી. ત્યાંથી તે ચારે ઝાડીઓ પાછળ સંતાતાં સંતાતાં ચાલીને રીચલની ગાડી પાસે આવ્યાં. એ બંને ગાડીમાં બેઠાં બેઠાં વાત કરી રહ્યાં હતાં. એટલે શું વાત કરતાં હશે તે માત્ર અનુમાન જ કરવાનું રહેતું હતું! થોડીવારમાં બંને ગાડીની બહાર નીકળ્યાં અને એક ઝાડ નીચે ઊભાં રહ્યાં. ત્યાં સુધી રીચલ જીએમથી અંતર રાખીને વાતચીત કરતી હતી. પણ એ ઝાડ નીચે આવ્યાં કે તરત જ તે જીએમને પ્રેમ કરતી હોય તેમ વળગવાં ગઈ બરાબર તે જ સમયે જીએમે ઝડપથી બંને હાથ ખીસ્સામાં નાંખી યોગી ઈશ્વરચંદે આપેલ વનસ્પતિ અને ઈશ્વરની મૂર્તિ કાઢ્યાં અને રીચલની સામે ધરી દીધાં.