જીવનમાં ઝંઝાવાત
જીવનમાં ઝંઝાવાત
આ જીવન, એ પ્રભુ પાસેથી મળેલી વણમાગી ભેટ છે! તેની હર ક્ષણ ‘જીવંત’ હોવી જરૂરી છે ! બાકી તો જીવન પાણી પર દોરેલી ‘સીધી લીટી’ જેવું છે. જે જીવન કાળ ૭૦, ૮૦ કે ૯૦ વર્ષ જેવું લાંબુ અને નીરસ લાગે તે તો પાણીના પરપોટા જેવું ભાસે છે. તે ઉલ્લાસ, ઉમંગ અને ઉદ્યોગશીલતાથી છલકતું બને તે માટે હમેશા પ્રવૃત્ત બનીએ તો તેમાં ધબકતી ‘જીવંતતા’ જળવાઈ રહે !
અરાજકતા અને અનાચારથી ઉભરાતા અમદાવાદમાં આજે સોપો પડી ગયો હતો. જેમ જીવવા માટે શ્વાસ જરૂરી છે તેમ અમદાવાદમાં જો કોઈ અનર્થ ન થાય તો નવાઈ લાગે ! ત્યાંની રોજીંદી જીંદગી સાથે તોફાન હમેશા સંકળાયેલા રહેતાં. આ એક એવું શહેર છે જ્યાં હિંદુ અને મુસલમાન ઘંઉમાં કાંકરા હોય તેમ રહે છે. છતાં રોજની રામાયણ અને રમખાણ ! અત્યાચાર વગરનો એક દિવસ પસાર થતો નહી. હિંદુ અને મુસલમાન એકબીજાના કટ્ટર વિરોધી બની ગયા હતા. એવું શું બની ગયું કે રસ્તા પર ચકલું ફરકતું નજરે ન પડે ? મુખ્ય પ્રધાને ‘કર્ફ્યુ’નું ફરમાન બહાર પાડ્યું ન હતું. મંદીરોને તાળા વાગી ગયા હતા. મસજીદો મુલ્લાની બાંગ વગર સુમસામ હતી. રીક્ષાવાળા તો જાણે અદૃશ્ય થઈ ગયા હતા. અમદાવાદના રસ્તા પર ‘સ્કુટી’ કીડીના રાફડાની જેમ ફૂટી નિકળી હોય ત્યાં આજે એક પણ નજર સમક્ષ જણાતી ન હતી. ક્યારે અમદાવાદ ‘સુતું હશે’ એ પ્રશ્ન અનઉત્તર હતો ! તેને બદલે આ અમદાવાદની અગણિત પ્રજા ક્યાં સમાણી હશે એ પ્રશ્ન મનમાં ઘોળાઈ રહ્યો !
આતંકવાદના ઓળા દિનપ્રતિદિન ઘેરા બનતા જતા હતા. આશાવદનું કિરણ દૂર દૂર સુધી દૃષ્ટિગોચર થતું ન હતું. તેમાં પાછી શિયાળાની કાતિલ ઠંડી! ભલું થજો કે વરસાદની ઋતુ ન હતી ! કે ધોમ ધખતા તાપમાં અમદાવાદ બફાઈ રહ્યું ન હતું. નાના, મોટા સઘળા બારણા બંધ રાખી ઘરમાં ભરાયા હતા. સિનેમા અને નાટકઘર બંધ ! શાકભાજીની રેંકડીવાળા ફેરિયા શોધ્યા જડતા ન હતા. દૂધવાળો, છાપાવાળો, અનાજ દળવાની ઘમ ઘમ ચાલતી ઘંટી બધું બંધ ! ખબર નહી ટી.વી. સ્ટેશન કે રેડિયો સ્ટેશન ચાલુ છે કે બંધ ?
જીવંત જીવનને બદલે સ્મશાન જેવી શાંતિ ચારેકોર પ્રસરી રહી હતી. સ્મશાનમાં તો કદાચ ભુતડાં પણ રાસ રમે તેને બદલે આજે બધે સૂમસામ ! પેલાં ઘુવડનો અવાજ પણ આવે ? છેલ્લે જલતી ચિતાના ભડકા હજુ શમ્યા ન હતા. જેને કારણે આકાશમાં જેમ વિજળી દેખાય તેવું અમાસની રાતે લાગતું. વિજળી તો ઝબકીને બંધ થાય ! આ ઓળા ધીરે ધીરે શમી જશે ને પાછું ભેંકાર અંધારું છવાઈ જશે !
જીવનમાં ક્યારેય અમદાવાદ જવાનો લહાવો માણ્યો ન હતો. આ વર્ષે ખાસ મનમાં નક્કી કર્યું હતું કે, ‘ભારત જઈશ ત્યારે અમદાવાદ જઈશ. ગુજરાતની તરક્કી નજરો નજર જોવાનો લહાવો લેવો હતો.' અમદાવાદમાં આજે આ હાલ હશે તેવી તો કલ્પના પણ ન હતી. વિમાનમાં એલાન થયું કે બધા સિટ બેલ્ટ બાંધો. બસ હવે અડધો કલાક બાકી હતો. ત્યાંના વિમાનઘરનું નામ પંણ ખબર ન હતી. ખેર, આ વખતે બધું લખીને સાથે અમેરિકા પાછું લઈ જવું હતું. જન્મ ધર્યો ત્યારથી મુંબઈમાં અને ભર જુવાનીમાં અમેરિકા ઉપડી ગઈ.
અરે, હું ભુલકણી ભુલી ગઈ એક વખત આણંદથી રાતના જમવા માટે અમદાવાદ આવી હતી. ત્યારે મારો આગ્રહ રહ્યો હતો કે મારે પૂ. બાપુનો ‘સાબરમતી આશ્રમ’ જોવો છે. એની રમણિયતા આજે પણ યાદ છે. ત્યાની સાદગી અને માહોલ ઉડીને આંખે વળગે તેવા છે. આશ્રમ જોવાની અમૂલ્ય તક સાંપડી હતી. ત્યાર પછી લગભગ દસ વર્ષે આજે અમદાવાદ આવી રહી હતી.
અમદાવાદની આ પરિસ્થિતિથી વિમાનમાં મુસાફરી કરી રહેલાં સર્વે અજાણ હતા. પરિચારિકાઓના મુખ પર ચિત્ર વિચિત્ર ભાવોનું હું નિરિક્ષણ કરી રહી હતી. શું હશે તેની કલ્પના કરવી પણ અસંભવ હતી. હવે તો આખા શહેરની રોશની જોવાનો આનંદ માણી રહી હતી. બારી પાસેની જગ્યા હતી. વિમાન ઉંચાઈ પર હતું એટલે વાહનોની અવર જવર ન દેખાય તે સ્વાભાવિક છે. બસ હવે તો વિમાન રનવે પર આવશે !
એવું શું ચાલી રહ્યું છે કે એક પણ વાહન નજરે ચડતું નથી ? સાવ સૂમસામ અને ભેંકાર લાગી રહ્યું હતું. વિમાન રન વે પર અટકીને ઉભું રહ્યું. કયા ગેટ પર ઉભું રાખવું તેની કોઈ નિશાની પાયલટની મળતી ન હતી. એ તો સારું હતું કે રાતના બે વાગ્યા હતા. નાના બાળકો આરામથી સૂતા હતા. મોટેરાઓને પણ ચિંતા અને અકળામણ થઈ રહી હતી. ધીરે ધીરે વિમાનમાં ગણગણાટ શરૂ થયો. બધા દેશીઓ અટકળ કરવા માંડ્યા. ન્યુયોર્કથી સીધી અમદાવાદની ફ્લાઈટ હતી. બે પાંચ ગણ્યા ગાંઠ્યા સિવાય બધા ગુજરાતી હતા.
કલાક પસાર થઈ ગયો. એકાદ જણાએ મોટેથી બુમ પાડીને કહ્યું, ‘કેમ ઉભા છો? અમે થાક્યા છીએ. ગેટ પાસે વિમાન કેમ લેતા નથી ? અમદાવાદમાં તોફાન તો નથી ને ?”
બસ આ શબ્દો નીકળ્યા કે વિમાનમાં સોપો પડી ગયો. દરેકના જીવ પડિકે બંધાયા. હવે પછી શું થયું એ લખવાની મારામાં તાકાત નથી !
