ઝુરાપો
ઝુરાપો
ડેલીમાં પગ મૂકતાં જ ઠાકોરની નજર ઝરૂખા પર પડી, ને દિન પ્રતિદિન ક્ષીણ થતી જતી દીકરીને જોઈ મોઢેથી નિઃસાસો સરી પડ્યો.
"સાંભળ્યું ઠકરાણા ?...કાનજી પટેલનાં દીકરાની વહુ પાછી થઈ." ઠાકોર ઉવાચ.
"હેં..! શું વાત કરો છો ?"
"હા".
"નાનકાની કે મોટાની ?"
"નાનકાની".
એ સાંભળી ઠકરાણાનાં મોં પર અર્થસભર સ્મિત ઝળકી ઉઠ્યું, ને મોંમાંથી શબ્દો સરી પડ્યા...
"નસીબની જ બલિહારીને."
ચા પીતાં પીતાં ઠાકોર અતીતનાં ઊંડાણમાં સરકી ગયા. બે વર્ષ પહેલાંની જ વાત છે, શિવરાત્રીનાં મેળામાં પોતાની દીકરી અને કનુભાનાં દીકરાનાં મન મળી ગયેલા. દીકરાનાં રાજીપા માટે તે માગુ લઈને આવેલા. પણ, "સગપણ તો સરખેસરખામાં જ શોભે, જેવા તેવા સાથે નહી." એમ કહી હડહડતું અપમાન કરેલું, ત્યારે કનુભાને ગામમાં મોં બતાવવું ભારે થઈ પડેલું. તાબડતોબ, દીકરીનાં લગ્ન બાજુનાં જ ગામનાં ઠાકોરનાં દીકરા સાથે નક્કી કરી નાખ્યા. લગ્નને દિવસે જ કૌટુંબિક ધિંગાણામાં જમાઈ મરી ગયો, ને દીકરી ચોરીનાં ચાર ફેરા ફર્યા વગર જ વિધવા થઈ ગઈ. પોતાની જીદને કારણે એકની એક દીકરીની જિંદગી વેરાન બની ગઈ, એ વાતનો અફસોસ આજે પણ ઠાકોરને કોરી ખાતો હતો."
ઠાકોરને વિચારમગ્ન બેઠેલા જોઈ, ઠકરાણી બોલ્યા... "ભગવાને મનખો સુધારી લેવાનો મોકો આપ્યો હોય, ત્યારે વિચારવાનું ના હોય. માન, મોભો, જાગીર, રૂપિયા, પૈસા એ બધું દીકરીની જિંદગીથી હેઠ. ઊભા થાવ, સંબંધ સુધારવાનો પ્રયાસ કરો. દીકરીની જિંદગી પણ સુધરશે, ને સમાજમાં તમારો માન મરતબો પણ જળવાશે."
"હમમ.. અત્યારે તો ખરખરે જાવ છું, વાત છ મહિના પછી કરીશ. અત્યારે તેનો સમય નહી."
માબાપની આ વાત સાંભળી, ઝરૂખામાં બેઠેલી વિધવા દીકરીનાં આતમ ઝરૂખે લાખ લાખ દીવડાં ઝળહળી ઉઠ્યા.

