કસબી
કસબી
સાનફ્રાન્સિસ્કોનો ટાઉનહોલ આજે માનવમેદનીથી ખીચોખીચ ભરેલો હતો. દુનિયાનાં શ્રેષ્ઠ જાદુગર એલેક્ઝાન્ડરનો શો હતો. અવનવી કરતબો દ્વારા તે લોકોનું મનોરંજન કરતો. તેના દરેક શો માં તે કંઈક નવું જુગુપ્સાપ્રેરક પ્રસ્તુત કરતો, તેથી તેના દરેક શો ફૂલ રહેતા. તેની કેટલીક કરતબો તો વિજ્ઞાન માટે પણ પડકારરૂપ હતી. એવી જ એક નવી કરામત "પ્રાણ પ્રત્યારોપણ" લઈને તે આજે પ્રસ્તુત થયો હતો. અનેક કરતબો બાદ તેણે આ પ્રયોગ પણ કર્યો. પોતાની વિદ્યા દ્વારા તેણે મૃત વ્યક્તિમાં સફળતાપૂર્વક પ્રાણનું પ્રત્યારોપણ કર્યું, ને આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠયો.
મદ્દમાં ચકચૂર તેણે આકાશ સામે જોઈ, એક અટ્ટહાસ્ય કર્યું...જાણે કુદરતને ચેલેન્જ આપતો હોય. પણ, તેની આ ખુશી બે દિવસથી વધારે ન ટકી શકી. પ્રાણ પ્રત્યારોપણની સફળતા બાદ અનેક અતૃપ્ત આત્માઓ તેની આસપાસ મંડરાવા લાગી, રાતદિવસ બિહામણા સપનાં આવવા લાગ્યા. જે વિદ્યા પર તેને અભિમાન હતું, એજ વિદ્યા તેને શ્રાપ લાગવા લાગી. આ જ કરામતથી કંટાળી તેણે આત્મહત્યા કરી લીધી.
ને, ફરી એકવાર સાબિત થઈ ગયું કે, "કુદરત સામે માનવીય કરામતો હંમેશા વામણી પુરવાર થાય છે."
