વાંઝિયામેણું
વાંઝિયામેણું
નૈના આજ સવારથી જ ઉદાસ હતી. જેઠાણી સાથે નજીવી જેવી બાબતમાં ઉગ્ર બોલાચાલી થતાં જેઠાણીએ તેના માતૃત્વ પર પ્રહાર કર્યો, ને તે રોઈ પડી. દસ વાગતાં જ બધા પોતપોતાના કામે જતા રહ્યા અને સાસુ તેના રૂમમાં. એકલી પડતા જ જીવનીનાં એક પછી એક દૃશ્યો નજર સમક્ષ તરવરતા રહ્યા, ને સાથેસાથે તેની આંખો પણ નીતરતી રહી.
ખાસ્સા સમય પછી ડોરબેલ વાગતાં તે ઊભી થઈને દરવાજો ખોલ્યો, તો સામે તેની માતાને જોતા જ હર્ષઘેલી બની તેને વળગી પડી. માતા હતી તો ઓરમાન પણ સગ્ગીથી ય અદકેરી. દિકરીની લાલ હિંગળોક આંખો જોઈ માતા આખેઆખી ખળભળી ગઈ, પણ સાસુ સામે પૂછવું યોગ્ય ન લાગતાં તે ચૂપ બેસી રહી. બપોરે આરામ કરવાનાં બહાને એકાંત મળતા તેણે પૂછી જ નાખ્યું, ને દિકરીનાં દર્દનો બંધ વછૂટી પડ્યો. બનતી મદદ કરવાનું વચન આપી, મા-દિકરી બંને છુટા પડ્યા.
અતિ આધુનિક માતા હાથ પર હાથ ધરી બેસી ના રહેતા દિકરીનું દુઃખ દૂર કરવાના પ્રયત્નમાં લાગી ગઈ. અને તેને તેમાં સફળતા પણ મળી. બે દિવસ પછી તે દિકરીને લઇ ડોક્ટર પાસે ગઈ, સરોગસીની તમામ પ્રક્રિયા સમજાવી અને ટ્રીટમેન્ટ માટે મનાવી લીધી. થોડા દિવસોમાં જ સફળતાનું ઝળહળતું પરિણામ નજર સમક્ષ હતું. દિકરીનાં આનંદની કોઈ સીમા નહોતી, પણ માતા માટે થોડું મુશ્કેલભર્યું હતું. કારણકે આ વાત દીકરી જમાઈ અને પોતે, એમ ત્રણ સિવાય કોઈ જાણતું નહોતું. પણ તેની તેને કોઈ ચિંતા નહોતી. થોડા સમય બાદ નૈનાનાં ખોળામાં રમતા બે પુત્રોને જોઈ બધાએ સાચી હકિકત જાણી, ત્યારે એક સાવકી માને બધા નતમસ્તકે વંદી રહ્યા.
"મા તો મા હોય, તેમાં શું સગી ને શું સાવકી ?"
આજે, હાલતાચાલતા નૈના એક જ ગીત ગણગણે છે,
"વરસે ઘડીક વ્યોમ્ વાદળી રે લોલ,
મારી માડીનો નેહ બારેમાસ રે..
જનનીની જોડ સખી, નહી જડે રે લોલ.
જનનીની જોડ સખી, નહિ જડે રે લોલ."
