જેવું કરશો તેવું પામશો
જેવું કરશો તેવું પામશો
કોઈ એક રાજ્યના રાજાએ પોતાના મંત્રીઓ વિશે જાણવાની ઈચ્છા થઈ. તેથી એક વખત રાજાએ પોતાના ત્રણ મંત્રીઓને બોલાવ્યા.
મંત્રીઓ આવ્યા એટલે રાજાએ કહ્યું , " મારે આજે તમને પ્રજા માટે એક નાનું કામ સોંપવું છે. તમે આપણા બગીચામાં જાવ અને સારા સારા ફળનો એક કોથળો ભરીને લઈ આવો. આ કોથળો ભરીને તમે જે ફળ લાવશો. એ હું જરુરીયાતવાળા લોકોને અપાવી દઈશ.
પ્રથમ મંત્રીએ વિચાર્યુ કે, રાજા માત્ર ભરેલો કોથળો જ જોવાના છે. એમાં શું છે ? એ જોવાની રાજાને ક્યાં ફુરસદ હશે ? માટે આ મંત્રીએ તો ઘાસ-કચરો જે મળ્યુ તે ભેગું કરીને કોથળો ભરી દીધો.
બીજો મંત્રી પણ બગીચામાં ગયો અને વિચારવા લાગ્યો કે , " હું મહેનત કરીને જો ફળ એકઠા કરીશ. તો એ ફળ રાજા ક્યાં ખાવાના છે ? એ તો પ્રજામાં વહેંચી દેવાના છે. તો પછી ખોટી મહેનત શું કરવી ? " એણે ઝાડ પર ચડીને ફળો તોડવાને બદલે નીચે પડેલા અને સડી ગયેલા ફળો એકઠા કરીને પોતાનો કોથળો ભરી લીધો.
ત્રીજો મંત્રી બગીચામાં ગયો. એને રાજાની આજ્ઞાનું પાલન કરીને પ્રજા માટે સારા-સારા ફળો એકઠા કર્યા. આ માટે એને ખુબ જ મહેનત કરવી પડી. પણ રાજાની આજ્ઞા હતી. આથી એણે પ્રજા માટે પાકા અને સારા ફળો ભેગા કર્યા.
ત્રણે મંત્રીઓ પોતાના કોથળાઓ ઉપાડીને દરબારમાં ગયા એટલે રાજાએ હુકમ કર્યો કે, હવે દરેક મંત્રીને એમના કોથળા સાથે જુદા જુદા ઓરડાઓમાં બંધ કરી દો. એક મહિના સુધી આ મંત્રીઓના ઓરડાના દરવાજાઓ ખોલવાના નથી અને એને કંઈ જ ખાવાનું પણ આપવાનું નથી. પ્રજા માટે ભેગા કરેલા ફળો હવે એમને જ ખાવાના છે.
મિત્રો , ભગવાન પણ એ જ રાજા છે. અને આપણે બધા એના મંત્રીઓ છીએ. આપણા કર્મરૂપી ફળો એકઠા કરવા આ જગતરૂપી બગીચામાં આપણને મોકલ્યા છે. કેવા ફળ ભેગા કરવા ? એ આપણે નક્કી કરવાનું છે. પણ એટલુ તો પાક્કુ જ છે. કે આપણે ભેગા કરેલા ફળનો કોથળો આપણને મળવાનો છે. તો આપણે પણ જીવનમાં કઈક સારું મેળવવા માટે કઈક સારું ભેગુ કરવું પડશે. અને કઈક સારું આપવું પણ પડશે. માટે આપણે પણ બીજા માટે કઈક સારું કરીએ. અને કઈક સારું વિચારીએ.