lina joshichaniyara

Tragedy Inspirational

5.0  

lina joshichaniyara

Tragedy Inspirational

જાણી જોઈને કરેલી ભૂલોની માફી

જાણી જોઈને કરેલી ભૂલોની માફી

7 mins
1.1K


આજે ઘણા દિવસે પ્રાંજલ મને બજારમાં મળી. વાતો વાતો માં સમય ક્યાં પસાર થઇ ગયો એ ખ્યાલ જ ન આવ્યો. આ બાજુ મારા પતિ નો ઓફીસ થી આવવાનો સમય થઈ ગયો હતો અને પ્રાંજલ સાથે મારી વાતો ખૂટતી જ ન હતી. એટલે મેં પ્રાંજલ ને રવિવારે મારા ઘરે આવવા નું આમંત્રણ આપી દીધું. કેમકે આ રવિવારે અમારા બંન્ને ના પતિ ને બહાર જવાનું હોવાથી અમારી પાસે નિરાંતનો સમય હતો.


પ્રાંજલ એટલે મારી કોઈ ખાસ સહેલી નહિ પણ એવી સહેલી કે જેની સાથે હું કોઇ પણ વિષય ઉપર મુક્ત મને વાતો કરી શકું. અમારા સંવાદ કે વિવાદમાં એકબીજા ને ખોટું લાગે કે એવી લાગણીઓ ને અવકાશ જ ન હતો. એટલે જ પ્રાંજલમારી પ્રિય સખી બની ગઇ હતી. એકદમ નટ્ખટ અને નિખાલસ છોકરી એટલે પ્રાંજલ.


પ્રાંજલ આમ તો મૂળ પૂનાની છે પણ પોતાની અને પોતાના પતિ ની જોબ ના કારણે અત્યારે હૈદ્રાબાદ માં છે. બ્યુટિ વીથ બ્રેઇન પ્રાંજલ એક મોટી કંપની માં સોફ્ટવેર ડેવલપર નું કામ કરે છે.

આખરે એ રવિવાર આવી ગયો. પ્રાંજલ આવી તો ખરી પણ એના ચહેરા પર એક ઉદાસી જોવા મળી. ચા અને નાસ્તા ને ન્યાય આપતા અમે અમારી વાતો શરુ કરી.

મેં પૂછ્યું, "કેમ પ્રાંજલ, તારી તબિયત તો સારી છે ને? તું કેમ આટલી ઉદાસ છે?

પ્રાંજલે એના જવાબ માં અનેક સવાલો પૂછ્યાં જેણે મને પણ વિચારતી કરી દીધી. પ્રાંજલ પોતાના ભૂતકાળમાં ખોવાય ગઇ અને મને વાત કહેવાની શરુ કરી.

 

એક મહિના પહેલાં, એક સાંજે પ્રાંજલ અને એના પતિ સચિન બાલ્ક્નીમાં બેઠા હતા ત્યારે એના મામાના મોટા દિકરા પ્રશાંતનો ફોન આવ્યો. ફોનમાં જ્યોતિમામીની ખરાબ તબિયત ના સમાચાર આપ્યા. જ્યોતિમામી ને લિવર નું કેન્સર હતું જે હવે છેલ્લા તબક્કા માં હતું. મામી પ્રાંજલ ને ખુબ યાદ કરતા હતા એટલે પ્રશાંતે જલ્દીથી નાગપુર આવવાનું કહ્યું.આ જાણી પ્રાંજલને ખૂબ જ દુઃખ થયુ. પ્રાંજલ નાગપુર જવા નીકળી અને ભૂતકાળમાં સરી ગઇ.


પ્રાંજલ તેના માતા-પિતાનું એકમાત્ર સંતાન છે. પ્રાંજલના પિતા પણ એકમાત્ર સંતાન અને પ્રાંજલના માતાને એક જ ભાઈ છે. આમ પ્રાંજલનો પરિવાર નાનો અને સુખી છે. પ્રાંજલના પિતા અને મામા બંન્ને ખુબ જ પૈસાપાત્ર છે એટલે પ્રાંજલ ને ભૌતિક સુખ સગવડની કોઇ ખામી ન હતી.

પ્રાંજલના મામાને ત્રણ દિકરા- પ્રશાંત, પ્રથમ અને પ્રણવ. પ્રાંજલના મામાને દિકરી ખૂબ જ ગમતી એટલે જ બે પુત્રો પછી ત્રીજી દિકરી આવે એવી આશા હતી. પરંતુ ત્રીજો પણ દિકરો જ આવ્યો. એટલે આમ જોવા જઈએ તો પ્રાંજલ એકમાત્ર દિકરી હતી.


ખૂબ જ લાડકોડમાં ઉછરેલી પ્રાંજલ કોણ જાણે કેમ જ્યોતિમામીને આંખમાં કણાની માફક ખૂંચતી હતી. વાતે વાતે તેઓ પ્રાંજલ અને એના મમ્મીનુ અપમાન કરી બેસતા. પ્રાંજલે કારણ જાણવાની ઘણી કોશિશ કરી પણ નફરતનું કારણ જાણવા ન મળ્યું. બસ પ્રાંજલને એટલી ખબર હતી કે મામી એ બંન્ને થી ખૂબ જ નફરત કરતાં હતા. પ્રાંજલના નાનીમાં તો વર્ષો પહેલાં સ્વર્ગે સિધાવી ગયા. નાનાજી જીવતાં હતા પણ ઉંમર ના કારણે એમની તબિયત પણ નરમ-ગરમ રહેતી હતી. જ્યાં સુધી નાના પુના આવી શકતા હતા ત્યાં સુધી તો બંને મા-દિકરી નાગપુર જવાનું ટાળતા. પરંતુ હવે નાના આવી શકતા ન હોવાથી ફરજિયાત પણે બંને મા-દિકરી વરસે એકાદ વાર એમને મળવા જતાં. આમ પણ મામા ના ઘરે કોને જવું ન ગમે?? પ્રાંજલને પણ ખુબ જ મન થતું મામાના ઘરે જવાનું. પ્રાંજલ એના નાના અને મામાની ખૂબ જ લાડકી હતી અને એટલે જ મામીની નફરત ને અવગણી ને પણ પ્રાંજલ એના મામા-નાના ને મળવા જતી.


એકવાર પ્રાંજલ એના મામા ના ઘરે રોકાવા ગઇ હતી અને ટી.વી. જોઇ રહી હતી. ઓચિંતા જ્યોતિમામી આવ્યા અને રિમોટ આંચકી લીધો અને પ્રાંજલ ને કહેવા લાગ્યા કે “તારે અહીં કોઇ વસ્તુ અડવી નહિ. આ ઘર માં તારો કે તારી માં નો કોઇ હક નથી.” પ્રાંજલ એકદમ ડરી ગઇ અને ખૂબ જ રડી. જ્યોતિમામી પોતાના ત્રણે દિકરાઓને પણ પ્રાંજલ અને એના મમ્મી વિરુધ્ધ કાનભંભેરણી કરતાં અને બોલવાની મનાઇ ફરમાવતા. પણ પ્રાંજલ કે એના મમ્મી, મામા કે નાના ને ફરિયાદ ન કરતા. કેમ કે એવું કરવાથી એમના ઘર-સંસારમાં આગ લાગે અને તકલીફો થાય. જે આ મા-દિકરી ન હોતા ઇચ્છતા એટલે જ ચુપચાપ બધું જ સહન કરતાં અને એકલાં હોય ત્યારે રડી લેતાં.


પ્રાંજલ મોટી થઇ અને એના લગ્નનો દિવસ આવ્યો. મામા-મામી આવ્યા તો ખરાં પણ મામી નું વર્તન ખુબ રુક્ષ હતું. જ્યોતિમામી જાણી જોઇ ને પોતાના ત્રણેય દિકરાઓને લગ્નમાં ન લઇ આવ્યા. ત્રણ-ત્રણ ભાઇઓની એકની એક બહેન હોવા છતાં પણ લગ્નમાં ભાઈ ને કરવાની વિધિ કોઇ બીજા સગા એ કરી. આનાથી દુઃખદ બીજુ શું હોઇ શકે? એ પછી બીજા વરસે પ્રશાંત ના લગ્ન લીધા. પ્રાંજલ અને સચિન હોંશે હોંશે લગ્ન માં ગયા. પ્રાંજલ ખુબ જ ખુશ હતી કે મારા ભાઇ ને સારી જીવનસંગિની મળી. પણ લગ્નમાં જ્યોતિમામી એ પ્રાંજલ અને એના મમ્મી ને બોલાવ્યા પણ નહિ અને બહેન ને લગતી વિધિ પણ કોઇ સગાની દિકરી પાસે કરાવી. જાણે કે પ્રાંજલ હાજર છે જ નહિ. પ્રાંજલ બિચારી ખૂણા માં આસું સારતી ઉભી રહી. ક્યાંય કોઇ વિધિમાં પ્રાંજલ કે એના મમ્મી ને બોલાવ્યા નહિ, કોઇ ફોટો કે વિડિયો માં પણ નહિ. મામી ના બધાં જ સગા ને બ્યુટીપાર્લરવાળા તૈયાર કરતા હતા પણ પ્રાંજલ કે એના મમ્મી ને જ્યોતિમામી એ તૈયાર થવાનું પણ ન કહ્યું.

બે વર્ષ પછી, પ્રશાંત ની પત્ની ના શ્રીમંત પ્રસંગે પણ પ્રાંજલને નિમંત્રણ ના આપ્યું. પરંતુ પ્રાંજલ પોતાની ફરજ ભુલી નહિ અને એના તરફથી શ્રીમંત વિધિમાં થતો વ્યવહાર એના મમ્મી સાથે મોકલાવી દીધો. પ્રશાંત ને ત્યાં દિકરીનો જન્મ થયો. દિકરી નું મોં જોવા ફુયારિયું લઇ ને પ્રાંજલ નાગપુર આવી તો મામીએ આવકાર પણ ન આપ્યો. 


સામાન્ય રીતે દિકરી ના વ્યવહાર કે પૈસા, દિકરી ને તેમાં થોડા ઉમેરી ને પાછાવાળી દેવાતા હોય. કેમ કે દિકરી તો કરોઇ કહેવાય અને એને તો દેવાય એટલુ ઓછુ. પણ જ્યોતિમામી આ બધી વસ્તુઓ જાણવા છતાં પણ અજાણ રહ્યા. વ્યવહાર પાછો વાળવાનો તો દૂર પણ પાછી આવજે એમ પણ ન કહ્યું. પ્રાંજલ ને કોઇ વાત ની કમી ન હતી. પ્રાંજલ નું સાસરુ પણ ખુબ પૈસાપાત્ર છે. પ્રાંજલ અને સચિન પણ સારુ એવું કમાય છે. સચિન પણ મોટી કંપની માં ઊંચી પોસ્ટ પર છે. પ્રાંજલ ને કશું જોઇતુ ન હતું. પણ વ્યવહાર તો વ્યવહાર છે. જ્યોતિમામી પ્રાંજલ નુ સાસરા માં નીચુ દેખાડવા માંગતા હતા. સદ્ભાગ્યે પ્રાંજલના સાસુ અને સચિન ખુબ જ સમજદાર છે એટલે કંઇ મુશ્કેલી ન થઇ. એ પછી તો પ્રથમ ના લગ્ન લેવાયા. પરંતુ એમાં પણ પ્રશાંત ના લગ્ન જેવું જ વર્તન કર્યું.

પ્રાંજલ જ્યારે સચિન ના મામીને જોતી ત્યારે એને ખુબ જ દુઃખ થતું કેમ કે સચિન ના મામી એને ખુબ જ પ્રેમ કરતા અને એનુ ખુબ જ ધ્યાન રાખતા, લાડ લડાવતા. પોતાના કોઇ મિત્ર પાસે થી વેકેશન માં મામાના ઘરે કરેલા ધિંગા મસ્તીની વાતો સાંભળી ને પ્રાંજલ ખુબ જ ઉદાસ થઇ જતી અને ભગવાન ને પ્રશ્ન કરતી કે મારા જ મામી કેમ આવા છે? તમે કોઇ જાદુ કરો ને!

આજ વિચારો માં નાગપુર આવી ગયુ. ઘરે પહોંચી ને જ્યોતિમામી ને જોઇ ને એની આંખમાં આંસુ આવી ગયા. જ્યોતિમામીની હાલત ખુબ જ ખરાબ હતી. પલંગ મા જાણે કે હાડપિંજર સુતુ હોય એવુ લાગતુ હતુ. આખા રુમ મા ખુબ જ વાસ આવતી હતી. જ્યોતિમામી એ આંખો ખોલી, પ્રાંજલ ને જોઇ તો ગળગળા થઇ ગયા અને બે હાથ જોડી માફી માંગી. બસ ત્યાં જ પરલોક સિધાવી ગયા. જાણે કે પ્રાંજલની જ રાહ જોતા હોય!! આ વાત કરતાં કરતાં અત્યારે પણ પ્રાંજલ ના ગળે ડુમો ભરાઇ ગયો અને મને વળગી ને ધ્રુસકે ધ્રુસકે રડી. જ્યોતિમામીની આટલી નફરત પછી પણ પ્રાંજલ મામી ને ખુબ પ્રેમ કરતી હતી.


પ્રાંજલના સવાલો એ મને પણ વિચારતી કરી દીધી. શું લગ્ન થઇ જાય એટલે દિકરીનો પિતાના ઘર પર કોઇ અધિકાર નહિ? શુ ભાણેજ નો મામાના ઘર પર કોઇ હક નહિ? શુ જ્યોતિમામીનુ વર્તન યોગ્ય હતુ? જ્યોતિમામી એ માફી તો માગી પણ એનાથી શુ પ્રાંજલનું બાળપણ, લગ્ન પ્રસંગ કે ભાઇ ઓના પ્રસંગો પાછા આવી જવાના? એના ભાઇઓના મનમાં રહેલી કટુતા કે નફરત નીકળી જવાની? નાનપણથી મામીના પ્રેમ માટે તરસતી રહી એ પ્રેમ મળી જવાનો હતો?


જ્યોતિમામી પ્રાંજલના મામાની સામે તો બંન્ને સાથે સારુ વર્તન કરતા. જ્યોતિમામી ને પ્રાંજલ કે તેના મમ્મીથી કોઇ તકલીફ હતી તો એને સાથે બેસી ને, વાત કરીને ઉકેલી શકાતી હતી. હું પોતે પણ પ્રાંજલના મમ્મીને મળી છુ. એ એક્દમ ભોળી અને સરળ વ્યક્તિ છે. બાકી કઇ નણંદ પોતાની ભાભીનો આવો ત્રાસ સહન કરે??


જયોતિમામી પોતે તો એકદમ સામાન્ય ઘરમાંથી આવે છે. પોતાની બહેનો અને એમના દિકરા-દિકરીઓને તો ખુબ પ્રેમ આપતા હતા. એમની સાથેના તો બધા જ વ્યવહાર સમજતા અને કરતા પણ હતા. અમુક વ્યવહાર તો પ્રાંજલ ના મામા ને ખબર પણ ન રહેતા. તો શુ ત્યારે એમને પ્રાંજલ નહોતી દેખાતી? આટલો પક્ષપાત શા માટે? શુ પ્રાંજલ કે એના મમ્મી કરતા જ્યોતિમામીની બહેનો, સગાનો અધિકાર વધારે? શુ આ બધુ યોગ્ય હતુ? પ્રાંજલ કે એના મમ્મીને શુ જોઇતુ હતુ જ્યોતિમામી પાસેથી? થોડો પ્રેમ અને થોડુ માન. બાકી તો બધી જ રીતે એ સુખી છે. પરંતુ જ્યોતિમામી એટલુ પણ ન આપી શક્યા!!!

મામાના ઘરે જવામાં આપણે કેટલા ખુશ હોય?


“મામા નુ ઘર કેટલે? દિવો બળે એટલે”!!!

આજે પ્રાંજલની વાત એટલે લખી કે આપણે પણ કોઇના ભાભી કે મામી છીએ. કયાંક આપણે તો આપણા પોતાના સાથે જાણે-અજાણે જ્યોતિમામી જેવુ તો નથી કરતા ને?

શુ જાણી જોઇ ને કરાયેલી ભૂલોની માફી હોય???

 



Rate this content
Log in

Similar gujarati story from Tragedy