એપોઇન્ટમેન્ટ લેટર
એપોઇન્ટમેન્ટ લેટર
આવતીકાલ આ શબ્દ સૌ કોઈનાં જીવનમાં ખૂબ જ નજીકથી જોડાયેલ છે. આપણામાંથી એક સમુદાય એવો છે કે જે હંમેશા આજ કરવાનાં કામને આવતીકાલ પર ઠેલવાતા હોય છે.
આથી આપણે ત્યાં એક કહેવત છે કે,"કલ કરે સો આજ કર, આજ કરે તો અભી." આમ આપણાં જીવનમાં પણ ક્યારેક એવું બનતું હોય છે કે આપણે કોઈ કામ આવતીકાલ પર ઠેલવાતા હોય એ છીએ, પરંતુ તેનું પરિણામ વિશે આપણે ક્યારેય સપનામાં પણ વિચારેલ નથી હોતું. એમાંય અમુક વ્યક્તિઓ તો એટલાં કમનસીબ ધરાવતાં હોય છે કે આ આવતીકાલ તેનાં જીવનમાં ક્યારેય આવતી નથી.
સ્થળ : મેનેજર ઓફીસ, જે.કે.બિલ્ડર ગ્રુપ
સમય : સવારનાં 11 કલાક.
અવિનાશ આજે ખૂબ જ ખુશ હતો, કારણ કે તે આજ રોજ પોતાની શૈક્ષણિક જીવન પૂરું કરીને, પોતાની નવી વ્યવસાયિક જીવનની શરૂઆત કરવાનાં હેતુથી જે.કે.બિલ્ડર ગ્રુપ ખાતે ઇન્ટરવ્યૂ આપવાં માટે જવાનો હતો.
જે કે બિલ્ડર ગ્રુપ ખાતે પહોંચીને અવિનાશ મેન્જેરની ચેમ્બરમાં ઇન્ટરવ્યૂ આપી રહ્યો હતો. અવિનાશની સામેની તરફ કંપનીનાં સી.ઈ.ઓ, જનરલ મેનેજર, પબ્લિક રેલશન મેનજર, રિક્રુટમેન્ટ મેન્જર વગેરે અવિનાશનો ઇન્ટરવ્યૂ લઈ રહ્યાં હતાં. એક તરફ તેઓ અવિનાશને વારાફરતી પ્રશ્નો પૂછી રહ્યાં હતાં, જ્યારે બીજી તરફ અવિનાશ પોતાનાં જ્ઞાન અને કુશાગ્રબુદ્ધિ મુજબ તેને પૂછવામાં આવેલાં પ્રશ્નોનાં ઉત્તર આપી રહ્યો હતો.
અવિનાશ એક મધ્યમ પરિવારમાંથી આવ્યો એક ઉત્સાહિત અને મહેનતુ યુવાન હતો. અવિનાશ ભણવામાં પણ નાનપણથી જ ખૂબ જ હોંશિયાર હતો. આથી તેણે 'A' ગ્રુપમાં 90 % સાથે ધોરણ 12 સાયન્સની પરીક્ષા પાસ કરેલ હતી. આ જોઈ સૌ કોઈ અવિનાશ અને તેનાં માતાપિતાનાં વખાણ કરતાં થાકતા ન હતાં. તેનાં શહેરનાં નામાંકિત અને સમાજમાં સારી એવી પ્રતિષ્ઠા ધરાવતાં વ્યક્તિઓ પણ અવિનાશનાં ઘરે શુભેચ્છઓ પાઠવવા માટે આવી રહ્યાં હતાં.
જ્યારે અવિનાશે 12 સાઇન્સની પરીક્ષા સારા માર્કસે પાસ કરી ત્યારે શુભેચ્છા પાઠવવા માટે ઘણાં બધાં વ્યક્તિઓ તેમનાં ઘરે આવેલાં હતાં, પરંતુ જ્યારે અવિનાશનાં આગળ ભણવવાની વાત આવી ત્યારે એકપણ વ્યક્તિએ મદદ માટે પોતાનો હાથ લંબાવ્યો ન હતો. જે આપણા સમાજની નરી વાસ્તવિક્તા છે. અમુક વ્યક્તિ તમને કાયમિક મદદ કરીશ "હું બેઠો છું !" એવું કહેતાં જ હોય છે પરંતુ જ્યારે સાચા અર્થમાં આપણે મદદની જરૂર પડે છે ત્યારે એપકણ વ્યક્તિ મદદ કરવા માટે આગળ આવતી નથી હોતી.
ત્યારબાદ અવિનાશને ધોરણ 12 માં સારા ટકા આવેલાં હોવાથી તેને સરકારી એન્જીનીયરિંગ કોલેજમાં જ "સીવીલ બ્રાન્ચ" માં એડમિશન મળી ગયું. આ સમાચાર સાંભળીને અવિનાશનાં નાના અને લાચાર પરિવારમાં ચારેબાજુએ ખુશીઓ વ્યાપી ગઈ. આ સમગ્ર ઘટનામાં અવિનાશનાં પિતા કે અવિનાશને જો કોઈએ મદદ કરી હોય તો તે તેની શાળાનાં પ્રિન્સિપાલ મુકેશસર હતાં, જે અવિનાશનાં પિતાના સારા એવાં મિત્ર પણ હતાં. મુકેશ સરે અવિનાશની મદદ કરવા માટે નિસ્વાર્થ ભાવે 10000 રૂપિયા અવિનાશનાં પિતાને આપેલાં હતાં.
આમ અવિનાશે નાની ઉંમરમાં જીવનનાં તમામ ચડાવ ઉતાર, સુખ દુઃખ, તડકા છાંયડા જોયેલાં હતાં, કહેવાય છે કે કે જે શિક્ષણ કોઈ શાળા કે કોલેજ નથી આપી શકતી એ શિક્ષણ વ્યક્તિને તેનાં પર વિતેલ પરિસ્થિતિ શીખવી જતી હોય છે.
અવિનાશ પણ પોતાનાં પરિવારની આર્થિક પરિસ્થિતિથી ખૂબ જ સારી રીતે વાકેફ હતો. અવિનાશ પોતાનાં પગભર થઈને તેનાં પિતા અને પરિવારને મદદરૂપ થવાની મહેચ્છા હતી. તેનાં પિતાએ આખી જિંદગી ઢસરડો કરેલ હોવાથી અવિનાશ તેનાં પિતાને હવે કોઈપણ કિંમતે આરામ કરાવડાવવાં માંગતો હતો.
આમ હાલ અવિનાશ હાલ જે નોકરી માટે ઇન્ટરવ્યૂ આપી રહ્યો હતો, તે ઈન્ટરવ્યુ તેનાં માટે કેટલું મહત્વ ધરાવતું હતું તે અવિનાશ કરતાં કોણ વધુ સારી રીતે જાણતું હોય. આથી અવિનાશ આ ઇન્ટરવ્યૂમાં પોતાનાંથી શક્ય હોય તેટલું સારું પ્રદર્શન આપી રહ્યો હતો.
અત્યારનાં સમયે.
સ્થળ : મેનેજર ઓફીસ, જે.કે.બિલ્ડર ગ્રુપ
સમય : સવારનાં 11 કલાક.
અવિનાશનું ઇન્ટરવ્યૂ પૂર્ણ થયાં બાદ તેની સામે બેસેલ સિલેક્શન કમિટી અંદરોઅંદર કંઈક ગંભીર ચર્ચા વિચારણા કરી રહ્યાં હતાં. લાંબા સમય સુધી ચર્ચા વિચારણા કર્યા બાદ જે.કે. બિલ્ડર ગ્રુપનાં સી.ઈ.ઓ અવિનાશની સામે જોઈને પોતાનાં ભારે ગંભીર અવાજમાં અવિનાશની સામે જોઈને બોલે છે.
"સી ! અવિનાશ ! તારા ઇન્ટરવ્યૂમાં આપેલાં ઉત્તરો, તારા નોલેજને ધ્યાનમાં લેતાં, અને આ કમિટીના તમામ સભ્યોનાં સર્વાનુમતે આ કંપનીમાં "ટેક્નિકલ આસિસ્ટન્ટ" તરીકે તારી પસંદગી કરવામાં આવે છે."
"તમારા બધાંનો ખૂબ ખૂબ આભાર…!" આંખોમાં હર્ષનાં આંસુઓ સાથે અવિનાશ સૌ કોઈનો આભાર વ્યક્ત કરે છે.
ત્યારબાદ અવિનાશને એક અઠવાડિયા અંદર જોબ પર હાજર થવાનું જણાવીને એપોઇન્ટમેન્ટ લેટર આપવામાં આવે છે. એપોઇન્ટમેન્ટ લેટર હાથમાં આવતાની સાથે જ અવિનાશનાં શરીરમાં એક અલગ જ પ્રકારની ચેતના કે ઉર્જાનો સંચાર થઈ ગયો હોય તેવું અવિનાશ અનુભવી રહ્યો હતો. જાણે વર્ષોથી સૂકી ધરતી પર ધોધમાર વરસાદ આવવાથી ખેડૂતો જેટલાં ખુશ થાય, હાલ અવિનાશ પણ એટલો જ આનંદ અનુભવી રહ્યો હતો.
પરંતુ અવિનાશ એ બાબતથી તદ્દન અજાણ જ હતો કે હજુપણ ઈશ્વર કે કુદરત તેની આકરીમાં આકરી કસોટી લેશે. જેનાં વિશે અવિનાશે સપનામાં પણ વિચારેલ નહીં હોય. આમ અવિનાશ જે.કે.બિલ્ડર ગ્રુપ દ્વારા આપવામાં આવેલ એપોઇન્ટમેન્ટ લેટર પોતાનાં હાથમાં લઈને ખુશ થતાં થતાં કંપનીની બહાર નીકળે છે.
કંપનીની બહાર નિકલતાની સાથે જ અવિનાશ તેનાં ખિસ્સામાં રહેલ સાદા અને વર્ષો જુના મોબાઈલ ફોનમાંથી આ ખુશખબર આપવાં માટે કોલ કરે છે. અને પોતાને જોબ મળી ગઈ છે એ બાબતની જાણ કરે છે. અવિનાશ દ્વારા સાંભળેલ આ શુભ સમાચાર સાંભળીને પુરેપુરા પરિવારમાં એક અલગ જ પ્રકારનો આનંદ છવાઈ ગયો હતો.
"તો ! બેટા ! ક્યારથી તારી નવી નોકરી શરૂ થશે ? એટલે કે આ નવી નોકરી ક્યારથી જોઈન કરે છો ?" અવિનાશનાં પિતાની આતરડીએ જાણે એકદમ ટાઢક વળી હોય તેમ ખુશ થતાં થતાં પૂછે છે.
"જી ! પપ્પા… આવતી..કા….લ…!" - અવિનાશ આટલું બોલતા અટકી જાય છે.
અવિનાશ તરફથી આગળ કોઈપણ પ્રકારનો પ્રત્યુત્તર ના મળતાં જે પરિવારમાં થોડા સમય પહેલાં ખુશી અને આનંદ છવાયેલ હતો, તે જ પરિવારમાં દુઃખ અને ચિંતાઓનું ગ્રહણ લાગ્યું હોય તેવું લાગી રહ્યું હતું.
"હેલો…!" સામેની તરફથી અવિનાશનાં પિતાને કોઈ અજાણ્યો અવાજ સાંભળ્યો.
"હા...કોણ..?" અવિનાશનાં પિતા ગભરાયેલા અવાજે પૂછે છે.
"જી ! હું મોહન શાહ બોલું છું, તમારો દીકરો હાલ આ દુનિયામાં આપણી વચ્ચે રહેલ નથી..તે જ્યારે ફોન પર વાત કરી રહ્યો હતો. બરાબર એ જ સમયે પુરઝડપે આવતી એક કારે અવિનાશને અડફેટે લઈ લીધો. એ સાથે જ અવિનાશે ઘટનાં સ્થળ પર જ પોતાનો જીવ ગુમાવી દીધો. હું જ્યારે અવિનાશ પાસે ગયો, ત્યારે મારું ધ્યાન તેની નજીક લોહીલુહાણ હાલતમાં પડેલ મોબાઈલ ફોન પર પડી...જેની ડિસ્પ્લે પર "સ્વીટ હોમ" એવું લખેલું હોવાથી, મેં તરત જ એ ફોન લૂછીને મારા કાને રાખ્યો. ત્યારે સામેની તરફથી મને તમારો અવાજ સંભળાયો આથી મેં તમને આ સમગ્ર આખી ઘટના જણાવી." મોહન સમગ્ર ઘટનાં અવિનાશનાં પિતાને જણાવતાં બોલે છે.
આ વાત સાંભળતાની સાથે જ અવિનાશના પરિવાર પર જાણે વ્રજઘાત સામાન મોટી આફત તૂટી પડી હોય તેવું લાગી રહ્યું હતું, ઘણાં વર્ષોથી જે છોડને પાણી પીવડાવીને લાડ અને પ્રેમથી ઉછેર કર્યો હોય, એ છોડને જાણે સમયરૂપી વાવાઝૂડાનાં જાણે મૂળિયામાંથી જ ઉખડી ગયો હોય તેવું હાલ અવિનાશનાં પરિવારજનો અનુભવી રહ્યાં હતાં.
જે આવતીકાલ અવિનાશ અને તેનાં પરિવાર માટે ખુશીઓ અને આનંદ લઈને આવનાર હતી, એ આવતીકાલ અવિનાશનાં જીવનમાં આવી જ નહીં, અને અવિનાશનો પરિવાર પણ આ આવતીકાલની કાયમિક માટે રાહ જોતો રહી ગયો. કુદરત પણ કેવી કેવી કઠિન પરીક્ષા લે છે, આજે તે લોકોને ખ્યાલ આવ્યો.
અંતે કુદરત કે ઈશ્વર સામે તો આ કાળા માથાનો માનવી લાચાર જ છે. - આ વાસ્તવિકતાનો સ્વીકાર કરીને પોતાની જાત, દુઃખ કે દર્દ પર કાબુ મેળવીને આ નરી વાસ્તવિકતાનો સ્વીકાર કરી લીધો. અંતે ભારે હૃદયપૂર્વક પોતાનાં કાળજા પર પથ્થર મૂકીને હિન્દૂ ધર્મના રીતીરીવાજ મુજબ અવિનાશની અંતિમ સંસ્કાર વિધિ વિધિવત સંપન્ન કરવામાં આવે છે.
ક્યારેક આપણી સાથે જ પણ આવું ન બનતું હોય છે કે જ્યારે આપણે આવતીકાલની રાહ જોઈ રહ્યાં હોઈએ છીએ, એ આવતીકાલ ક્યારેય આપણાં જીવનમાં આવતી જ નથી હોતી, માટે આપણે કોઈપણ કામ આવતીકાલ પર ઠાલવવા કરતાં આજ રોજ કરવું જ વધુ ઉચિત રહેશે.