એકાંત
એકાંત
એકાંત મને ખુબ પ્રિય છે.દરિયા કિનારે, પૂનમની રાતે, દરિયાની ભરતી પ્રિયતમની સંગાથે એકાંતમાં માણવી એ એક અનેરો રોમાંચ છે.દરિયામાં ઉછળતાં મોજાની સાથે તમારાં હૈયામાં ઉછળતાં મોજા તાલ મિલાવે છે, ત્યારે જે રોમાંચ થાય છે તે અદભૂત છે. દરિયાનાં મોજાનો થનગનાટ અને તમારાં હૈયાનો થનગનાટ સુંદર તાદાત્મ્ય સાંધે છે.
મંદિરમાં કે કોઈ પણ ધાર્મિક સ્થળે પણ એકાંત જ ગમે.બહુ બધાં જનોની વચ્ચે તમે ઈશ્વર સાથે તાદાત્મ્ય ના સાધી શકો.ત્યાં તો પ્રિયતમની પણ જરૂર નહીં. હું અને ઈશ્વર બે જ. સભર આંખોથી ઇશ્વરને જોવા માટે અને ભીનાં હૈયે ઈશ્વર સાથે તાદાત્મ્યનો ભાવ અનુભવવાં માટે એકાંત શ્રેષ્ઠ.
પ્રિયતમ સાથે હોય તો તમે એકાંત જ ઇચ્છો પણ હંમેશા અને દરેક જગ્યાએ માત્ર પિયુનો સંગ હોય તે વાત સાચી નથી બની રહેતી. પિયુની સાથે મેળામાં જાવ અને મેળામાં માણસો જ ન હોય તો? રંગબેરંગી માણસો વગરનો મેળો તમે કેવી રીતે માણી શકો?
શરદપુનમની રાત હોય કે દિવાળીની રાત્રી હોય, કોઈક સુંદર પીકનીક ગોઠવી હોય કે મેળો હોય, પ્રિયતમની સાથે સાથે થોડાંક ગાઢ મિત્રો હોય કે નજીકના સગા-સંબંધી હોય ત્યારે એ દિવસ ખાસ બની જાય છે અને એ દિવસનો આનંદ અનેરો બની જાય એવું તમને નથી લાગતું?
અમુક જગ્યાએ જેટલી પ્રિયતમાનાં સાથની કે અમુક જગ્યાએ જેટલી સગા-સંબંધી કે મિત્રોની જરૂર છે એટલી જ જરૂર કયારેક પોતાને પૂરતું એકાંત મળી રહે એની છે.
વ્યક્તિ ક્યારેક એકલી જ રહેવાં ઈચ્છતી હોય છે, પોતાની જાત સાથે વાતો કરવાં ઈચ્છતી હોય છે, એકાંતને પોતાની રીતે માણવાં માંગતી હોય છે.દરિયા કિનારે એકલાં બેસીને કોઈ મનગમતું પુસ્તક વાંચવાનું મન થાય, પાણીમાં પગ બોળીને માત્ર બેસી રહેવાનું મન થાય, કુદરતનાં નઝરાને જોવાનું મન થાય, ક્યારેક એકલાં હસવાનું અને એકલાં રડવાનું પણ મન થાય.
મનની અંદર દટાયેલા કોઈ ખજાનાને ખોતરીને કાઢવાનું અને એને જોઈને માણવાનું પણ મન થાય.
એકાંત મને બહુ ગમે. જે કરવું હોય એ કરવાનું, કોઈ જ ટોકવાવાળું કે સલાહ આપવાવાળું નહી. કોઈ જ આપણો ચહેરો જોઈને ચહેરાની લિપી ઉકેલનાર પણ નહીં.
એકલાં રહેવાનો અને એકલાં જીવવાનો આનંદ પણ અનેરો છે, મન ખુશીથી તરબતર થઈ જાય છે, માણતાં આવડવો જોઈએ.