એક મધુર યાદ - કલકતા
એક મધુર યાદ - કલકતા
"ઘરનાં અને મનના દરવાજા જે હંમેશ ખુલ્લા રાખે એ જ કહેવાય સાચો સ્વજન !"
ચાલમાં રહેતા ત્યારે બધાના દરવાજા હંમેશ ખુલ્લા જ રહેતા. ગમે ત્યારે પાડોશીના ઘરમાં ઘૂસીને પૂછતા,
"કેમ છો કાકી, શું બનાવો છો ? રમેશ ક્યાં ?"
કાકી કહેતા, "બેસ, હમણાં આવતો જ હશે. નીચે દહીં લેવા ગયો છે.લે ત્યાં સુધી ગરમાગરમ ભજીયા ખા."
અને રમેશ આવે તે પહેલાં તો એક પ્લેટ ભજીયા પણ ઝાપટી જતા ! પડોસીઓના મનનું બારણું આ રીતે હંમેશ ખુલ્લું જ રહેતું....ત્યારનો સમય જ એવો હતો કે જ્યારે ઈચ્છા થાય એકબીજાની ઘરે જઈ આવી શકતા.
ગરમીની સીઝનમાં આખી ચાલ પણ જોશમાં આવી જતી. બધી સ્ત્રીઓ ભેગી થઈને અથાણાં બનાવવાનો પ્લાન નક્કી કરી રાખતી. એક પછી એક બધાના ઘરમાં અથાણાં પાપડ અને ચિપ્સ બની જતા.
વારાફરતી બધા ભેગા થઈને છતમાં
અથાણાં, પાપડ અને ચિપ્સ સૂકવવા મૂકીને ચાલીના છોકરાઓને ધ્યાન રાખવાનું કહી દેતા. બદલામાં છોકરાઓને આઈસક્રીમ કે લોજેન્સ વગેરે કંઈ ને કંઈ મળતું રહેતું. છોકરાઓને પણ સ્કૂલનું વેકેશન હોવાથી ત્યાં બેઠા બેઠા પત્તા કે લૂડો રમતા રમતા સૂકાવેલી ચીજોનું ધ્યાન રાખી લેતા. બધાના ઘરમાં અથાણાં, આચાર અને આલુની ચિપ્સ આ રીતે બની જતી,અને તે એક વર્ષ સુધી ખાવા મળતી !
ચાલની બીજી એક અજાયબી એ હતી કે
કોઈને કોઈથી ઈર્ષા નહોતી. બધા પ્રેમથી રહેતા. હા કોઈ જો ના રહેવા માંગતું હોય તો તેમનાથી એ પ્રમાણે ઓછો વ્યવહાર
રાખતા. પણ દુશ્મની કે નિંદા નહોતા કરતા.
જો કે આમાં પણ ક્યારેક કોઈ અપવાદ જરૂરથી નીકળી જતા.
બીજી મજા આવતી રાખડીના દિવસે. ચાલની બધી છોકરીઓ તે દિવસે સરસ મજાના કપડાં પહેરીને આખી ચાલમાં પોતાની મિત્રો સાથે ફરતી રહેતી. ભાઈઓને રાખડી બાંધીને જે પૈસા મળ્યા હોય તે દોરીવાળા કપડાના રંગીન પર્સમાં નાખીને પર્સ ઝુલાવતી ઝુલાવતી બધાના ઘરમાં જઈને ફરતી રહેતી. એ આખો દિવસ એ છોકરીઓનો એટલે કે બેનોનો જ રહેતો ! અમારા સાત ભાઈઓ વચ્ચે એક બેન હતી જે અપંગ હતી. તેનો એક હાથ અને એક પગ અવિકસિત હતો. પણ બધું જ સમજતી હતી. અને ખુબજ પ્રેમાળ હતી. રાખડીના દિવસે તે ખૂબ જ આનંદમાં આવી જતી. એક હાથથી વારાફરતી બધા ભાઈઓના હાથમાં રાખડી બાંધતી અને તેની આ ખુશી અને આનંદ જોઈને મારી માઁ ના આંખોમાં આંસુ આવી જતા..તે આંસુ ભગવાન પ્રત્યે શિકાયતના હતા કે ખુશીના, આજ સુધી નથી જાણી શક્યો. મારાથી ચાર વર્ષ મોટી એ બેન અચાનક ૧૮ વર્ષની વયે મૃત્યુ પામી. હિન્દ સિનેમાની બાજુમાં આવેલી રહેમતબાઈ વડનગરા હોસ્પિટલમાં તેનું અવસાન થયું. અમે ભાઈઓ બેન વગરના થઈ ગયા.એની એક વર્ષ પહેલા મારા પિતાશ્રીનું અવસાન થયેલું. મારી માં પડી ભાંગી.. મારા મોટા ભાઈ પુ. શ્રી .અમૃતભાઈ એ બધાની ખુબજ સેવા કરી.બા, બાપુજી, ફઈબા તથા બેનની જેટલી સારસંભાળ તેમણે રાખી તેટલી સંભાળ કોઈ ના રાખી શકે. લગ્ન પછી પણ બા અને બાઈ (ફઈબા)નું તેમણે જ ધ્યાન રાખ્યું. તેઓ કળિયુગના શ્રવણ હતા. મારા આ પૂ.અમૃતભાઈ અને ભાભીનું થોડાક વર્ષો પહેલા જ અવસાન થયું. તેમની બંને દીકરીઓ,આરતી અને ઉર્વીના લગ્ન કટકમાં
થયા છે અને તેઓ સુખી છે.
૧૯૬૮ માં હાથિબગાન છોડીને ગણેશ સિનેમા પાસે ગુપ્તા લેનમાં રહેવા આવ્યા ત્યારે મારી ઉંમર ૧૯/૨૦ વર્ષની જ હતી સ્કૂલની છેલ્લી પરીક્ષા આપ્યા પછી સોપારી દુકાનમાં બેસવાનું શરૂ કર્યું હતું.
નવુ મકાન બડા બજારના મુખ્ય એરિયામાં
દુકાનથી થોડે દુર જ હતું.ત્યાં રહેવા ગયા ત્યારે બીજા ત્રણ ભાઈઓના લગ્ન થઈ ગયા હતા. અમે બાકીના ત્રણ ભાઈઓ અને બા ફઇબા બહાર હોલમાં સુતા હતા. હર અઠવાડિયે મોટાભાઈના બંને દીકરા પણ રોકાવા અને મસ્તી કરવા ત્યાં આવી જતા હતા. ખુબ મજા આવતી. કેરોમ બોર્ડ, ક્રિકેટ અને અનેક રમતો રમતા. જીતુ અને કિરણને અમારા ભાઈઓ એટલે કે કાકાઓ સાથે ખુબજ ભળતું. રાતના બે ત્રણ વાગ્યા સુધી વાતો કરતા. Tv માં ટેસ્ટ મેચ અને footballની વર્લ્ડ કપ મેચ જોતા.અભાવ તો હતો જ પણ એકબીજા પ્રત્યે ભાવ(લાગણી) હોવાને કારણે કદી આ અભાવ સાલ્યો નહોતો....ત્યાં અમે ૨૩ વર્ષો સુધી રહ્યા. જેમ જેમ લગ્ન થતા ગયા તેમ તેમ એક એક ભાઈ અલગ થતા ગયા. પરિવાર મોટો થતો ગયો તેમ રુમની સાથે મન પણ અલગ થતા ગયા.જ્યાં સ્વાર્થ નહોતો ત્યાં આસ્તે આસ્તે સ્વાર્થ પ્રવેશતો ગયો. આવનારા સમયના એંધાણ મળતા ગયા. તેનું મુખ્ય કારણ હતું પરિવારની સાથે સાથે આવકનું સાધન પણ જે વધવું જોઈએ તે વધ્યું નહીં....ખેર આ બધું સમયનું ચક્ર છે...
૧૯૭૫માં મારા લગ્ન થયા. ત્યાર પછી પણ ૧૯૯૧ સુધી ત્યાં રહ્યા. ૧૯૭૮ ની શરૂઆતમાં મારા ફઈબાનો સ્વર્ગવાસ થયો.
ત્યારે હું અહી કોલકાતામાં નહોતો. કોલકાતા આવ્યા પછી ખબર પડી કે તેઓ સ્વર્ગવાસ પામ્યા છે. હું તૂટી ગયો.મારા મા સમાન ફૈબા ચાલ્યા ગયા ..હંમેશા મારુ મારા પુત્રનું, અમારા આખા પરિવારનું તેમણે ધ્યાન રાખ્યું. તેઓ પરિવાર માટે જીવ્યા અને પરિવારમાં જ છેલ્લો શ્વાસ લીધો.
૧૯૬૦ના છેલ્લા વર્ષોમાં કોલકાતાનું જીવન અત્યંત ખરાબ હતું. લેફ્ટ , કોંગ્રેસ અને નકસલ આ ત્રણેની વચ્ચે જનતા બિચારી પિસાઈ રહી હતી. ચારે તરફ અંધાધૂંધી,ઇસ્ટ પાકિસ્તાનથી ભાગીને આવેલા બંગાળી મુસ્લિમોથી કોલકાતાની આર્થિક અને સામાજિક પ્રગતિ આખી બંધ થઈ ગઈ હતી. કામ ન હોવાથી બંગાળી યુવાન ખોટે રસ્તે ચડી ગયા હતા.....
સાથે સાથે કોલકાતામાં લોડશેડિંગ ( નો ઈલેક્ટ્રીસીટી ફોર સર્ટન પીરીયડ ) શરૂ થઈ ગયું હતું. લોકો ખુબજ કંટાળી ગયા હતા. મોટા કારખાના તો પહેલેથી જ બંધ થઈ ગયા હતા. બાકી હતું તે નાના કારખાના પણ લોડશેડિંગને કારણે આસ્તે આસ્તે બંધ થવા લાગ્યા.
બંગાળની હાલત બદ થી બદતર થતી ગઈ.
ગરમીના દિવસોમાં ભરબપોરે ૩ થી ૪ કલાક સુધી પંખા વગર, સખત ગરમીમાં રહેવું પડતું હતું. રાતના ૯ કે ૧૦ વાગે અચાનક લાઈટ ચાલી જતી તે ઠેઠ ૨ કે ૩ વાગે પાછી આવતી. ત્યાર પછી લોકો માંડ
સૂવા ભેગા થતા. મીણબત્તી, જનરેટર
અને ટોર્ચની માંગ વધી ગઈ હતી. બેન્કોમાં અને સરકારી ઓફિસોમાં કામ નહોતું થતું.. છાસવારે બંગાળ બંધનું એલાન થતું હતું. સાથે સાથે બાળકોનું ભણતર અને મોટાઓના કામકાજ પણ બંધ થઈ ગયા હતા. ૧૯૬૭ થી આજ ૨૦૨૧ સુધી બંગાળની પરિસ્થિતિમાં કોઈ ફરક પડ્યો નથી.
બંગાળમાં શું નથી ? ખેતી માટે જરૂરી વિશાળ જમીન અને પાણી, ખેતી કરનારી મહેનતુ પ્રજા, શહેરોમાં વસતી બુદ્ધિશાળી બંગાળી પ્રજા છતાં દેશમાં બંગાળનું સ્થાન આજ સૌથી છેલ્લું છે. અફસોસ થાય છે આ જોઈને !