બારમાંનું જમણ (લઘુકથા)
બારમાંનું જમણ (લઘુકથા)
રાવલી પોતાના ઝૂંપડામાં આવી ત્યારે ખુશ હતી. માલિકના ઘરેથી ખાવાનું મળ્યું હતું. માલિકના ઘરમાં બારમાંનું જમણ હોવાથી ખુબજ સારું ખાવાનું આવ્યું હતું !!
રાવલીના ત્રણે છોકરાવ, અને તેના ખુબજ બીમાર મરવા પડેલ પતિ રઘુ; બધાએ પ્રેમથી ખાધું. છોકરાવ પણ ખુશ થઈ ગયા. રાવલીનો ચાર વર્ષનો સૌથી નાનો પુત્ર કાળું ખુશ થઈને બોલી ઉઠ્યો,
"મમ્મી હવે કોણ, કયારે મરશે ? "
રાવલીએ રઘુ સામે જોયું અને તેનાથી
એક મોટું ડૂસકું મુકાઈ ગયું!