ભય
ભય
મીત ખૂબજ ઉત્સાહી અને આનંદી યુવાન. સંસ્કારી કુટુંબમાં ઉછરેલો આ યુવાન અભ્યાસમાં પણ તેજસ્વી. ક્મ્પ્યુટર એંજીનીયરની ડિગ્રી પ્રાપ્ત કરી સારી કંપનીમાં જોબ પર લાગી ગયો હતો.
કંપનીમાં પણ એ બધાનો પ્રિય બની ગયો હતો. ખૂબ મહેનતુ પણ ખરો. કોઈ પણ કામ ઝડપથી શીખી લે અનેબીજાને મદદરૂપ પણ થાય. તે હંમેશા એકસ્ટ્રા માઈલની આદતથી કામ કરતો.આથી પ્રમોશન પણ વહેલું મળી ગયું. તે ખૂબ ખુશ હતો.
મીત ઘરમાં પણ બધાનો લાડકો હતો. તેને જોબ મળતાંજ તેના મમ્મી-પપ્પા અને નાની બહેનને પણ શહેરમાં લઈ ગયો હતો. બધા આનંદથી રહેતા હતા. પરંતુ થોડા દિવસથી મીતને સતત તાવ રહેતો હતો અને થાક પણ ખૂબ લાગતો હતો. માથું સતત દુ:ખતું હતું. આથી ડોક્ટરની સલાહ મુજબ બધા રિપોર્ટ કરાવ્યા. જેમાં મગજમાં ગાંઠ હોવાનું જણાયું. બાયોપ્સી કરતા ગાંઠ સાદી હતી.એવું નિદાન થયું. આથી બધાને થોડી રાહત થઈ.
હસતો-ખેલતો મીત ઉદાસ રહેવા લાગ્યો. તેના મનમાં ભય પેસી ગયો હતો કે ગાંઠ નહિ મટે તો? કદાચ કેંસર પણ હોઈ શકે. તે સતત આવા વિચારો કરવા લાગ્યો. દવા ચાલુ હતી. કંપનીમાં થોડા દિવસની રજા મૂકી ઘરે આરામ કરતો હતો.
એક દિવસ મીત સાંજના સમયે બહાર ચક્કર મારવા નીકળ્યો. તે એક પૂલની બાજુમાં પસાર થતો હતો. ત્યાં તેણે એક સૂચના લખેલી હતીઃ ’આ પૂલ બહુ નબળો થઈ ગયો છે. ગમે ત્યારે તૂટી પડશે. કોઈએ તેના પર ચાલવું નહિ.’ મીતે આ સૂચના વાંચી. એવામાં તેની નજર પૂલ નીચે એક ચકલીનો માળો બાંધેલ હતો ત્યાં પડી. તેમાં ચકલી અને તેના બચ્ચાં હતા. મીત ધીમે-ધીમે તે માળા પાસે ગયો અને બોલ્યો, ‘અરે નાનકડાં પંખી તને ભય નથી લાગતો? અહીં સૂચના લખેલી છે. આ પૂલ બહુ નબળો છે, ગમે ત્યારે તૂટી પડશે!’ માળામાંથી ચકલી બહાર નીકળી અને આનંદથી પાંખો પ્રસરાવી ઉડવા લાગી અને ફરી માળામાં તેના બચ્ચાં પાસે બેસી ગઈ.
મીતને થયું આટલું નાનકડું પંખી કેવું આનંદથી રહે છે. તેને કશી ફિકર નથી. કાલે શું થવાનું છે. મારે પણ નાહકનો શા માટે ભય રાખવો? ઈશ્વર પર ભરોસો રાખી આનંદથી રહેવું જોઈએ.
હવે મીતના મનમાંથી ભય દૂર થઈ ગયો. તેના વિચારો હકારાત્મક બની ગયા. ફરી તે આનંદમાં રહેવા લાગ્યો. તેની અસર તેના શરીર અને મન પર થવા લાગી અને તેની તબિયત ઝડપથી સુધરવા લાગી. થોડા દિવસોમાં તે એકદમ તંદુરસ્ત થઈ ગયો. ફરી બધા રિપોર્ટ કરાવ્યા જે નોર્મલ હતા.