બદલાવ
બદલાવ


મારાં ભણતર સમયથી એક વાક્ય જે મારાં મન,હૃદય અને કર્મથી નજીક છે અને તેને હું હંમેશા વાપરું છું તે છે...
There is one thing that remain
parmenent in life is 'change'.
આમ જોઈએ તો જીવન મસ્ત ત્યારેજ બને જ્યારે સમયે આવતા બદલાવ ને આપણે સહજતાથી સ્વીકારી લઈએ અને તેના સ્વીકૃતિ સાથે તે દિશામાં આપણે આગળ વધીયે, જો બદલાવ ને ચુક્યા તો દુનિયામાં પોતાની જાત પર વિશ્વાસ કરવો અને કરાવવો ભારે પડે છે, દુનિયા ત્યારે અલગ બનાવેલ તેની કેટેગરી "ઓર્થોડોક્સ" માં વ્યક્તિ ને મૂકી દેતી હોય છે. અને ત્યારે જીવન પણ ક્યાંક નિરસ, સ્વાયત અને ઘડિયાળ ના કાંટા પ્રમાણે ગોઠવાયેલું જોવા મળે છે, હું અનુશાસનની સાથે બિલકુલ નથી સરખાવતી કારણ કે તે જીવનનું અભિન્નઅંગ છે અને હોવું પણ જોઈએ પણ સાથે સાથે બદલાવ જીવન માં પાનખર પછીની વસંતનું કામ કરે છે.
બદલાવ બહુ જરૂરી છે તે તો ખુદ કુદરતજ આપણને શીખવે છે, બસ તેના બદલાવ ને મહેસુસ કરવાની નજર જરૂરી છે, સવાર પડતા કુદરત ની આકાશ માં રંગોળી એક રાત થી સવાર નો બદલાવ છે પણ શુ દરરોજ સૂરજ મશીનની જેમ એક સરખા કિરણો, આકાશમાં છોડે છે, સૂરજની સાથે પવન, વાદળ, પક્ષીઓ ના કલરવ, ખીલેલા ફૂલોની મહેક, વૃક્ષના પાંદડાની નવી તાજગી, ક્યારેક બધાનો સમન્વય થાય છે ત્યારે દરેક સવાર ખુશનુમા બને છે. બધા એ એક વસ્તુ અનુભવી જ હશે કે જેવી ઉનાળા માંથી ચોમાસાની મહેક શરૂ થાય વાતાવરણમાં આનંદ પ્રસરે છે, તે કુદરતનો બદલાવ છે, શ્રાવણ મહિનો ચાલુ થતા બધું બદલાયેલ લાગે છે, તે કુદરતે આપેલ બદલાવની નિશાની છે, જ્યારે ખુદ કુદરત પણ બદલાવમાં માનતી હોય તો માણસ કેમ જડવૃત્તિ પકડી રાખે છે.
કુદરતમાં થતા બદલાવના એક નહિ હજારો ઉદાહરણ છે, નાના નાના ભૂલકામાંથી મોટુ થવું, પા પા પગલી ભરવી, યુવાનીમાં જોશનું જોમ અને પછી એક જાતની સમજ કુદરતે આપેલ બક્ષિસ છે, ઋતુચક્ર નો બદલાવ કોને બનાવ્યો, એક દિવસ સ્વેટર પહેરવું પડે જ્યારે ક્યારેક છત્રી અને ક્યારેક ગરમી થી ત્રસ્ત થઈને પંખા શોધવા પડે તે કુદરત બદલાવને સ્વીકારતી હોવાના પુરાવા છે. આવું દરેક ઋતુ, સમય અને સંજોગો માં બને છે.
માણસ જ એક એવો છે કે બદલાવ નો સહજ સ્વીકાર કરતો નથી, ક્યાંક પોતાના જડ વલણ ને પકડી રાખે છે અને તેનો વિરોધ પણ કરતો જોવા મળે છે. પણ ક્યાંક તે પણ કુદરત ના નિયમથી વિરુદ્ધ જઈ રહયો હોય છે, ઇતિહાસ પુરોવો આપે છે કે જે માણસ પોતાનામાં, તેમની રહેણી કહેણીમાં અને ધંધા કે નોકરીમાં, બદલાવનો સ્વીકાર નથી કરી શકતો તે ક્યાંક ને ક્યાંક પોતાની જાતને દુનિયાની તાલથી તાલ મિલાવવામાં પાછળ છે તેવું અનુભવે છે. પ્રગતિ બદલાવ વગર શક્ય જ નથી, અને ક્યાંક થોડુંક ડોકિયું કરીને જોશો તો સમજાશે કે બદલાવના સ્વીકારવાનું કારણ પોતાની અંદર બેઠેલ આળસ, નવું ના શીખીને ટાઈમ નહિ ફાળવવાની વૃત્તિ અને પોતાની રોજિંદી ઘડાયેલ પ્રવૃત્તિ છે. શુ કરવા બધું સેટ થયેલ હોય તે બદલાવી ને નવું કરવું તેના કરતા મસ્ત રહો મસ્તી મેં આગ લગે બસ્તી મેં, તેવો અભિગમ અપનાવો સહેલો છે.
પણ સાથે સાથ આપણા સપના નું શુ, આપણા પોતાની સાથે કરેલ વચન નું શુ, જીવનમાં કંઈક કરી છૂટવું છે,કઈ પણ થાય પણ પોતાની છબી ખુદ બનાવી છે, દુનિયા એક સન્માનની નજરે જોવે, પોતાના ઘરના સભ્યો એક હીરોની કે હીરોઈનની નજરથી જોવે અને સમાજ માં એક પ્રેરણારૂપ વ્યક્તિ બનાવે તેનું શુ. પોતાના ઘરના સભ્યો ને ક્યારેય કોઈ કમી ના રહે, છોકરા પરિવાર ના એક સભ્ય હોવાનું ગર્વ અનુભવે કારણ કે તેના માતા પિતા તેમનાં માટે બધું કરી છૂટવા તૈયાર છે, તે વિચારધારા નું શુ. ભગવાને બધાને ચોવીસ કલાક જ આપ્યા છે અને તે જ સિમિત સમયમાં આપણે એક બદલાવ સાથે ટોચ પર પહોંચી શકીયે અને ઘેટાં બકરાની જેમ બધા કરે તેમ કરી પણ શકીયે.
આ વાત સમજાવટ ની નથી પણ ખુદને સમજવાની છે કે શુ આપણે પણ આપણી જિંદગીને ઘેટાં બકરાની જેમ જીવવી છે કે દુનિયાના પડકારને ઝીલી ને, બદલાવ ને જીવન નો એક જરૂરી અંગ બનાવીને પોતાના, પરિવારના અને સમાજ ના સારા માટે દુનિયાના બધા પડકારને ઝીલવાની ઓકાત રાખવી છે, અને તેની શરૂઆત આજ, અત્યાર અને આ સેકન્ડથી જ કરવી છે અને કુદરતબદલાવનો સંદેશ સ્વીકાર કરીને આપણા જીવનમાં મહેક રૂપી પુષ્પોનો અહેસાસ કરવો છે.