અંધશ્રદ્ધા
અંધશ્રદ્ધા
"તમારું નિઃસંતાનપણું દૂર કરવાં એક વિધિ કરવી પડશે એટલે તમારી ઈચ્છા જરૂર પૂરી થશે."બાબાએ કહ્યું.
"હા બાબા..! બોલો શું કરવું પડશે અમારે ?"પત્નીએ ઉતાવળા થતાં પૂછ્યું.
"પૂનમની રાત હવે નજીક જ છે અને તે રાત્રે તમારે બન્નેએ અહીં આવી એક વિધિ પૂર્ણ કરવાની છે."
બાબાને પ્રણામ કરી વિધિ સમયે હાજર રહેશે તેવું જણાવી બન્ને રજા લે છે. પૂનમની રાત્રે તેઓ આશ્રમ પહોંચ્યા, ચંદ્રમા સોળેકળાએ ખીલેલો હતો. આશ્રમમાં પહોંચતા જ બાબાએ તેમને વિધિ સમજાવી.
બાબાએ સ્ત્રીને કહ્યું, "રૂમમાં શણગારનો સામાન પડ્યો છે ત્યાં જઈ તું તૈયાર થઇ અહીં હવન કુંડી પાસે આવ. દીકરા તારે આ બાજુની રૂમમાં માતાની સ્થાપના કરેલી છે ત્યાં એક આસન પર આ મન્ત્રનો જાપ સવાર સુધી કરવાનો છે એ પણ આસન પરથી ઉઠ્યા વગર. વિધિમાં માત્ર તારી પત્નીને બેસવાનું છે.
પેલી સ્ત્રી તૈયાર થઇ આવી ગઈ હતી, એક વાગ્યા પછી વિધિ શરુ થઇ, પતિ રૂમમાં મંત્ર જાપ કરવા લાગ્યો અને હવન કુંડી પાસે સ્ત્રીને બેસાડી બાબાએ વિધિ ચાલુ કરી. બાબાએ સ્ત્રીને જેમ કહે તેમ કરવા કહ્યું. બાબાની આજ્ઞા અનુસાર તે સ્ત્રીએ બધું જ કર્યું. હવે સૂરજ ઉગવાની તૈયારી હતી. બાબાએ પતિને જઈ જણાવ્યું તમારી વિધિ પૂરી થઇ, ટૂંક સમયમાં જ તમારી મનોકામના પૂરી થશે." બન્ને ખુશ થઇ આશીર્વાદ લઇ ત્યાંથી નીકળ્યા.
એ વાતને હજુ ચાર પાંચ દિવસ થયાં હશે ત્યાં જ તે સ્ત્રીએ છાપામાં તે બાબા વિષે વાંચ્યું અને કાપો તો લોહી ન નીકળે તેવી હાલતમાં આવી ગઈ. અરીસામાં પોતાના પ્રતિબિંબને જોઈ ગુસ્સામાં ફ્લાવર પોટ ફેંકી તોડી નાખ્યો.