ચિત્રગુપ્તના પ્રશ્નો
ચિત્રગુપ્તના પ્રશ્નો
"ઓહ્હ..! આવી ગયા તમે ? તમારા જેવા મનુષ્યની મને હંમેશા રાહ હોય છે, બોલો શું કર્યું તમે પૃથ્વી પર જન્મથી મૃત્યુ સુધી…” ચિત્રગુપ્તે મોહનકાકાની આત્માને પૂછ્યું.
મોહનકાકાની આંખો સામે જાણે જીવન પસાર થતું હોય તેમ બોલી રહ્યાં હતાં," મારો જન્મ થતાં જ પરિવારના બધા લોકો બહુ જ ખુશ હતાં. ધીરે ધીરે મોટો થતો ગયો, દેખાવમાં પણ સુંદર બાળપણ તો જાણે ખૂબ જ મસ્તીમાં પસાર કર્યું, પૈસાની ચિંતા નહોતી એટલે ભણતર પણ સારું મેળવ્યું, યુવાન થયો પછી પોતાની આવડત પર બિઝનેસ ચાલુ કર્યો.
બે-ત્રણ વર્ષમાં જ બિઝનેસમાં ખૂબ પ્રગતિ મળી, પૈસાનો તો કોઈ પાર નહોતો; મનગમતી છોકરી સાથે લગ્ન કર્યા; મનગમતી દરેક વસ્તુ મેળવી, છોકરાઓ થયા, ધીરે ધીરે તે પણ મોટા થતાં ગયા અને તેમને પણ પરણાવી દીધા પછી પણ મેં કામ નહોતું છોડ્યું, ઘરમાં પૌત્ર અને પૌત્રી આવતાં જીવનમાં ઘણું કર્યાનો સંતોષ થયો અને ત્યાં જ તમારું તેડું આવ્યું અને દુનિયા છોડવી પડી."
" આ બધું તમે કર્યું તો એ ક્યાં ? સાથે લઈને આવ્યાં ? કશું સાથે લાવ્યાં કે નહીં ? અહીં પણ કંઈક સાથે આવે એ તો તમે લાવ્યાં જ નહીં." ચિત્રગુપ્ત બોલ્યાં.
મોહનકાકા પોતાના ખાલી હાથ સામે જોઈ એટલું જ બોલ્યા, "હા... એ તો મેં ક્યારેય કર્યું જ નહીં."