સરદારનું ગીત-૮ર.
સરદારનું ગીત-૮ર.
ગાંધી હત્યા (ઈ.સ. ૧૯૪૮)
જાન્યુ.માં આદરી દીધા, ગાંધીએ ઉપવાસ રે;
લોકોનો બદલે ભાવ, એવો વિચાર ખાસ રે.
મુસલમાનને કોઈ, હેરાન ન કરાય રે;
ને સરકારનું તેમાં, વલણ બદલાય રે.
હિંદુ-મુસ્લિમ વચ્ચે, બંધાય સહકાર રે;
આ વાત પર ગાંધીએ, ખાસ મૂકેલ ભાર રે.
લોકોની નજરે થાય, દોષિત સરદાર રે;
કાવતરાં કરી પાડે, અહેવાલો બહાર રે.
સરદાર વિશે ગાંધી, શંકામાં ન રહેલ રે;
કરી જાહેર તેઓએ, આક્ષોપો ફગવેલ રે.
સરદાર ઘણા ત્યારે, વ્યવસ્થામાં પડેલ રે;
તેઓના મનમાં કોઈ, ભેદ નો’તો રહેલ રે.
મોટું કામ થયું પૂરું, ને કંટાળી જવાય રે;
રાજકારણને છોડું, એવો વિચાર થાય રે.
ગાંધીનું એ જ ટાણાએ, ખૂન થઈ ગયેલ રે;
ને સરદાર આઘાતે, નીચે ઢળી પડેલ રે.
ઘણો સમય બેભાન, તેઓ પડી રહેલ રે;
લાવવા ભાનમાં બીજાં, કામે લાગી ગયેલ રે.
આવેલ ભાનમાં જ્યારે, ત્યારે એવું કહેલ રે;
ગુરુ પાસે જતાં કોણ, મને રોકી પડેલ રે.
જંજાળ છોડવા માટે, મન કરે વિચાર રે;
માઉન્ટ બેટને એનો, પામેલ અણસાર રે.
ઈચ્છા અંતિમ ગાંધીની, જૈ રજૂ કરનાર રે;
કે હવે રે’ બની એક, નહેરૂ-સરદાર રે.
સાંભળી વાત બંને ત્યાં, ભેટેલ એકમેક રે;
અંતરાયો થયા દૂર, સાચે બનેલ એક રે.
સાથે મળી કરે તેઓ, દેશનાં ખૂબ કામ રે;
તંગદિલી કરે શાંત, આરામનું ન નામ રે.
**
તેઓનાં કામ માટેની, ઘણી ઉપાધિઓ મળે;
ને અભિમાનનો તોયે, સૂર જરા ન નીકળે.
(ક્રમશ)