મૂલ્યવાન મૂડી
મૂલ્યવાન મૂડી
સવારનાં દસ વાગ્યાનો સમય હતો. પ્રભાતની કોમળતામાં અમદાવાદનું કાળુપુર રેલવે સ્ટેશન તળાવમાં ડ્રાઉં...ડ્રાઉં...કરતાં દેડકાઓની માફક દેકારે ચડ્યું હતું. ઘોંઘાટ તો એટલો બધો કે ટ્રેન છેક નજીક આવીને હોર્ન વગાડે ત્યારે ખબર પડે કે હવે ટ્રેન આવી છે. ભીડ પણ એટલી બધી ખદબદતી હતી કે ક્યાંય આરામથી પગ મૂકવાની જગ્યા ન મળે! ગંદકીનો પણ કંઈ પાર નહીં.જાણે મધમાખી ઉછેર કેન્દ્ર ખોલ્યું હોય એટલી તો માખીઓ. આવી પરિસ્થિતિમાં મગજને જો કાબુમાં ન રાખ્યું હોય તો વડોદરા જવાને બદલે મુંબઈ કે દિલ્હી પહોચીં જવાય!
સમય થયો ને પ્લેટફોર્મ પર વડોદરા જવાં માટેની ટ્રેન આવી. ટ્રેન સ્થિર થઈ ત્યાં સુધીમાં તો ઉતારુઓ એમાં એવી રીતે ગોઠવાઈ ગયાં હતાં જાણે કોઈ આગળનાં સ્ટેશનેથી આવ્યાં ન હોય! એ વખતે એવું લાગતું હતું કે ટ્રેન પૂરેપૂરી ઊભી ન રહે તોય ચાલે.
જેમ ચાલતી બસમાં ચડી જવાં બદલ અમદાવદીઓને બેસ્ટ એવોર્ડ આપવો ઘટે એમ વગર ટિકિટે ટ્રેનમાં મુસાફરી કરતાં ભારતવાસીઓનેય એવોર્ડ આપવો પડે!
દસ વાગીને દશ મિનિટ થઈ હતી. ટ્રેને લીલી ઝંડી લીધી. એનો વેગ ધીમે ધીમે વધતો જતો હતો. છેલ્લાથી પાંચમાં ડબ્બાની છેલ્લી ખાલી સીટ પર આધેડ વયનાં બે જુવાનીયાં બેઠા હતાં. દેખાવે લગભગ સરખાં લાગતાં હતાં. અધિકારી જેવો બેયનો રૂઆબ હતો. એકનાં ચહેરા પર ખુમારીભરી ગજબની પ્રસન્નતા હતી. ને બીજાનાં વદન પર વિષાદથી ઘેરાયેલી ઉદારતા છવાયેલી હતી.
આણંદનું સ્ટેશન આવ્યું ત્યાં સુધી બન્ને મૌન હતાં. ત્યાંથી આગળ વધતાં એક જણાએ ચૂપકીદી તોડી. ને સામે વાળાને પૂછ્યું, 'સાહેબ..તમારૂં નામ?'
અતિ જિગ્નાસાથી પૂછાયેલ સવાલનો એટલાં જ ઉમળકાંથી જવાબ મળ્યો. મારૂં નામ અનુપમ શર્મા. અને સાહેબ તમારું??
'મારૂં નામ છે અન્ના અત્તરવાલા.' કહેતાની સાથે જ એમણે પોતાનાં સરનામાંવાળું કાર્ડ અનુપમનાં હાથમાં સોંપ્યું.
વડોદરા જાણે ક્યાંક જતું રહેવાનું હોય એમ એને પકડવાં ટ્રેન પાટો ચૂકી ન જવાય એમ સાચવીને પૂરપાટ ઝડપે દોડી રહી હતી. ક્યાંક આંખો વાતો કરી રહી હતી. ક્યાંક નયનો આરામ ફરમાવી રહ્યા હતાં. તો વળી ક્યાંક દૂર...દૂ....ર છતાંય નજીક લાગતી હરિયાળીને માણી રહી હતી.
પેલાં બેય સાહેબની આંખો ક્યાંય વિરહી રહી હતી પણ અધરો વાતે વળગી રહ્યા હતાં.
'વડોદરામાં કોઈને મળવાં જાઓ છો?' અન્ના સાહેબે સવાલ કર્યો.
'જી,હા. ત્યાં મારી મોટી ફેકટરી ચાલે છે તેની ટુંકી મુલાકાતે જઈ રહ્યો છું. કડીમાં મારું જીનનું કારખાનું ચાલે છે. અમદાવાદમાં મારાં નામે બે ટ્રસ્ટ ચાલે છે. અને એક મોટા મંદિરનો હું ટ્રસ્ટીની સાથે મોટો દાતા પણ છું. આ બધાનાં કારણે સમય ન મળતાં દરેક જગ્યાએ થોડો થોડો સમય આપું છું.' આ બધાથી જાણે પોતે સારાય સ્વર્ગનું આધિપત્ય ભોગવતાં હોય એમ શર્માજી બોલી ગયાં.
'આપ જબરી માયા છો હોં! કેટલો ભોગવટો ભોગવી રહ્યા છો!' અન્નાજીએ પાણી ચડાવ્યું.
'સાહેબ, માયા મેળવવાં તો આ આંખોમાંથી ચારેય મહાસાગરોનાં પાણી વહાવી ચૂક્યો છું. અને આકાશ-પાતાળ એક કરીને અા સઘળું પામી શક્યો છું. પણ હા, તમે શું કરો છો એ તો જણાવો. કેટલી પ્રોપર્ટી છે તમારાં નામે?
અન્ના અત્તરવાલાએ હળવો ખોખારો ખાધો. પછી ધીમા સ્વરે કહેવા માંડ્યું, 'શર્માજી, મારી મૂડી તો તમારા આગળ કંઈ નથી. છતાંય સાભળો: 'મારી મૂડીમાં મારાં ત્રણ સંસ્કારી બાળકો છે. એક શુશીલ અને ગુણીયલ પત્ની છે. તેમજ હરક્ષણે પૂજનીય એવા વહાલાં માવતર છે. આ બધાને બે ટંકનું ભોજન મળી રહે એટલા સારું થઈને વડોદરામાં બહું નાનું નહીં તેમજ બહું મોટું નહીં એવું એક નાનું દવાખાનું ચલાવીને હસીન જીંદગી ગુજારું છું.
અન્ના સાહેબની સાવ હળવાશભરી વાત સાંભળીને શર્માજીનો ચહેરો જરાક વ્યથિત થઈ ગયો.
એવામાં શર્માજીનાં ફોનની ઘંટડી રણકી. ફોન પરની વાત સાંભળીને એમની આંખોમાં ઝળઝળિયા આવી ગયાં. ને ઊંડો નિશાશો નાખ્યો.
'કંઈક માઠા સમાચાર લાગે છે, શર્માજી!' એમનાં ખભાં પર હાથ મૂક્યો. શર્માજીની આંખો વધારે વરસી. આંસું લૂંછતા અન્નાજીએ આશ્વાસન આપવાં માંડ્યું. થોડીવારે સ્વસ્થતા વળતાં અન્નાજીએ પૂછ્યું: 'કેમ, આમ રડો છો સાહેબ? શું થયું?'
આંસું લુછતા શર્માજી બોલ્યા: 'જીવનની છેલ્લી પળોમાં માતાજીએ વૃધ્ધાશ્રમમાં દેહ છોડ્યો!!' કહેતાં કહેતાં એ મોટેથી રડી પડયાં.
'વૃદ્ધાશ્રમ!' શબ્દ કાને પડતાં જ અત્તરવાલાનાં અંતરમાંથી અરેરાટી છૂટી ગઈ! એમનું દુ:ખી હૈયું બબડ્યું, 'અરરર! આટલો મોટો દાનવીર થઈને તે માતાને વૃદ્ધાશ્રમમાં ધકેલી દીધી? હાય..હાય!! ધિક્કાર છે તમને કે તમે જગતની મૂલ્યવાન અને દુર્લભ એવી માતૃસંપતિને જીવતેજીવ ઠેબે ચડાવી દીધી? સાલા ઢોંગીડા, તને તો આશ્વાસ પણ નહોતું આપવું જોઈતું!'
ઘડીકવાર બંનેનાં વદન પર મૌનનું સામ્રાજ્ય છવાઈ ગયું. બેયના મનમાં વિરોધી ગડમથલો ચાલવા માંડી.
શર્માજીનાં શરમભર્યા અસ્તિત્વ સામે જનનીને વૃધ્ધાશ્રમ મૂકતી વેળાનું ગોઝારું દ્રશ્ય તાજું થયું. એ દિવસે કેટ કેટલું રડી હતી માં? ને પોતે પણ વિવશભર્યા કેટ કેટલાં આંસુંઓ સાર્યા હતાં?! એક અભાગણ માં સગા જાયાને કરગરી રહી હતી: "દીકરા, મારાં લાલ..! મને ઘરડાઘરે ન મૂક! તારા હસમુખા દીદારે-દીદારે ઘરડી થયેલી મારી શુષ્ક આંખોને કાળમુખો વિયોગ ન આપ દીકરા....ન આપ..!!! અરે, તારાં પરિવારને આટલી ખુંચતી હોઉં ને તો ગામનાં છેવાડે નાનકડું ખોરડું બાંધી આપ. ત્યાં હું જાતે રોટલો રળી લઈશ! ને આવતાં જતાં તારું મુખ જોઈને હાશકારો અનુભવી લઈશ. પણ બેટા...! તું આવું ગાંડપણ રહેવા દે...રહેવા દે...!"
પણ એ વિવશ હતો. જીવ નહોતો ચાલતો. પત્નીએ દાનવ બનાવેલાં અનુપમે વરસતી આંખે પગ ઉપાડ્યા. ને આખરે નાછુટકે માં ને જનનીને કે જેણે જનમ આપીને સુંદર ઘર વસાવી આપ્યું હતું એ જ જનેતાને બેઘર કરી દીધી હતી.
હવે આ સમયે પત્ની પર તિરસ્કાર છુટ્યો. ને પોતાની જાત પર ધિક્કાર વછુટ્યો. પણ હવે શું? રાંડ્યા પછીનું ડહાપણ શાં કામનું?
ટ્રેનની બારી પકડી એ ખૂબ રડ્યા. પોકે પોકે રડ્યા. પણ કોઈએ કહેવાં પૂરતી પણ સાંત્વના ન આપી!
થોડીવારે રહી એ સ્વગત બબડ્યા: "અનુપમ...! હવે આનું પ્રાયશ્ચિત શું?"
તરત જ એમને પોતાની દીકરી સાંભરી. આંસુંઓ લૂંછતા એ બાથરૂમ તરફ ગયાં. દીકરીને ફોન જોડ્યો: 'મારી વહાલી દીકરી! બેટા, દીકરી તરીકે આજે તું મને એક વચન આપીશ?'
'હા, પપ્પા..આપની કોઈ વાતને આજ લગી મેં ક્યારેય નકારી છે?'
'પણ દીકું...આજ તું મને પાક્કું વચન આપ!'
'પાક્કુ વચન છે પાપા, બોલો આપ કહેશો એમ જ કરીશ. જીવનાં જોખમે પણ કરીશ...!'
'તો બેટા..અમે તને જે લાડકોડથી ઉછેરી છે એવાં જ અદકા ઉમળકાથી લગન પછી તારા સાસું-સસરાને સાચવજે.'
અને શર્માજી પાછાં પોતાની જગ્યાએ થયાં.
વડોદરું આઘેથી ઓરું આવી રહ્યું હતું. સૌ મુસાફરોની આંખો પ્રગાઢ આરામ ફરમાવી રહી હતી. માત્ર પેલા બે જણની આંખો વારેઘડીએ ઉઘાડબંધ થતી જતી હતી.
'માતા' અને 'વૃદ્ધાશ્રમ' બે શબ્દોથી ભારે કુઠરાઘાત પામેલ અન્નાજીનું દિલ ચીરાઈ જતું હતું. શર્માજીની માતાનાં દુ:ખદ અવસાનનાં વાવડ સુણીને સૂકાઈ ગયેલ હોઠ પર જીભ ફેરવતાં અત્તરવાલાએ કહેવાં માંડ્યું, 'અરરરર! તમારું જીવતર બેકાર ગયું શર્માજી! કે તમે જીવતેજીવ સગી જનનીને વૃદ્ધાશ્રમમાંથી પરબારી યમલોક પહોંચાડી દીધી? ફેક્ટરી માલિક, મીલ માલિક ને વળી, મોટાં ગજાનાં દાનવીર! મારી સામે આવી બધી બડાશ મારતાં તમને શરમ પણ ન આવી? શું કહેવું મારે તમને? મને શબ્દો નથી જડતાં. છતાંય સાંભળો: 'આપણાં પુરાણોએ અને શાસ્ત્રોએ તથા આપણાં સાહિત્યકારોની કલમે હંમેશા માતાને સ્વર્ગતુલ્ય માની છે. વળી એ "માં" ને જગતનું મહાતીર્થ કહ્યું છે, પરંતુ એ જ મહાતીર્થસમી 'માં' ઘડપણમાં પુત્રતીર્થને ઝંખતી વૃદ્ધાશ્રમમાં જ મૃત્યુંને ભેટે છે એ આપણાં માનવસમાજની આપણી મોટામાં મોટી કરુણ કરુણાં છે. માવતરને વૃદ્ધાશ્રમમાં મુકીને પછી મંદિરમાં, તીર્થોમાં કે ટ્રસ્ટોમાં કરેલું કરોડોનું દાન એ દાન નથી પણ ગધેડાનાં પગમાં રગદોળાતી ધૂળ છે ધૂળ! અને જ્યાં સુધી તારાં જેવાં કુપાત્ર પાકતાં રહેશે ત્યાં સુધી સ્વર્ગનું સામ્રાજ્ય ધરતી પરથી એક વેંત દૂર રહેવાનું!' બોલતાં બોલતાં અન્નાજીની આંખેથી અશ્રુધારા વહી આવી.
લગભગ એક કલાકથી દોડતી ટ્રેનને મળવાં વડોદરુ દોડતું એની સામે આવી રહ્યું હતું.