કદાચ..
કદાચ..
૧૯મી જૂનના પ્રભાત છાપામાં એક સમાચાર હતા નવરંગપુરા રેલ્વે ફાટક પાસે કપાઇ ગયેલ એક અજાણ્યો યુવક સાથે કમકમી જવાય તેવી રીતે ધડથી છૂટું પડી ગયેલ માથું હાથ અને પગ અને બાઝી ગયેલ લોહીના અવશેષોની છબી જોઇને ફોટોગ્રાફરે જ નહીં જેણે તે જોયા હશે તે બધાંએ કમકમિયા અનુભવ્યાં હશે.. ૨૨ વર્ષનો યુવાન હમણાં બોલી ઊઠશે તેવો ચહેરો અને સીટી પોલીસ આ અમારી હદ નથી રેલ્વે પોલીસ જાણે અને રેલ્વેવાળા આ શહેરની હદમાં છે એમ કાગળિયે લડતા હતા ત્યારે એ કોઇના એ લાડકવાયાને તાપ ન લાગે અને માંખો ન બણબણે તે માટે કફનના દાન જેવી ફાટેલી ચાદર ઓઢાડી હતી. એકાદ ફર્લાંગ દુર બેઠા ઘાટની બીનવારસી લીલા રંગની લેડીઝ સાયકલ પ્રસંગની સાક્ષી પુરતી ઉભી હતી. એક પગના બૂટનું નિકંદન ઘર્ષણમાં નીકળી ગયું હતું. દોઢ વાગ્યાના બોટાદ મેઇલ નીચે કચડાઇ મરેલ તે દેહનું પોષ્ટમોર્ટમ રાત્રે દસ વાગ્યે થયું. લાશના કપડાંમાથી કોઇ ચિહ્મ કે નિશાન ના મળતા પોલીસને તેની ઓળખવિધિ એક માથાનો દુખાવો બની ગઇ હતી તેથી તે ફોટોગ્રાફ અને સમાચાર નજીકના પોલીસ સ્ટેશનોમાં અપાયા અને છાપાઓમાં જાહેરાત અપાઇ. છાપાના રીપોર્ટરો અકસ્માતની જગ્યાએ કોઇ વધુ સગડ મળે તે હેતુથી ખાંખાખોળા કરતા હતા. લોહી જે રીતે પ્રસરેલું હતું તેનાથી એક વાત તો સ્પષ્ટ હતી કે મૃતક ૫૦થી ૬૦ ફુટ ટ્રેન સાથે ઘસડાયો હતો અને તે સમય દરમ્યાન તેના શરીરે જે દર્દ વેઠયુ હશે..ચીસ પાડી હશે જીવ બચાવવા ફાંફા માર્યા હશે એ બધી કલ્પના કરતાં ધ્રુજી જવાતું હતું.
સવારના પ્રભાતમાં ફોન આવ્યો અને એ સમાચાર વિશે પુછપરછ થઇ. ફોન કરનાર તે અભાગીના પિતા ચંદુભાઇ હતા અને લાશ ક્યાં હશે અને એ મેળવવા શું કરવાનું બાબતે પુછયું. સિવિલ હોસ્પિટલમાંથી લાશની ઓળખ આપી ચંદુભાઇ કપાયેલ અંગોનું પેાટલું શબવાહીનીમાં ઘરે લાવ્યા બાદ છુટ્ટે મોઢે રડયા. ”કપિલ આ તને શું સુજ્યું..”
સોસાયટીનો આડોશ પાડોશ, સગા વ્હાલા અને ટોળે મળેલ સૌએ અંતિમ યાત્રાની તૈયારી કરી ત્યારે આ થાકથી બેવડ વળી ગયેલ ચંદુભાઈ લગભગ બેભાન બની ગયા હતા રામ બોલો ભાઇ રામની ધુન સાથે રડતા મા બાપને ઘરમાં રાખીને ડાઘુઓ સ્મશાન તરફ વળ્યા. જુવાન કમોત એટલે માબાપને માટે તો હાથમાં અવેલ કોળીયો ગુમાવવાનો.. પણ કહે છે ને દુઃખનું ઓસડ દહાડા..
વેકેશન પુરું થયું અને પોલીટેકનીક કોલેજમાંથી અને હોસ્ટેલમાંથી પાછા આવ્યા હતા તેથી કપિલનું ડેથ સર્ટીફકેિટ લઇને ચંદુભાઇ વડોદરા ગયા. આર્કીટેક કોલેજમાં કપિલ જે વર્ગમાં ભણતો હતો તે વર્ગમાં ૪૫ છોકરા અને ૪ છોકરીઓ ભણતી અને દરેકને જ્યારે કપિલની આત્મહત્યાના સમાચાર મળ્યા ત્યારે આંચકો લાગ્યો. કપિલની ખુબ જ વ્યવસ્થિત અને હોંશિયાર વિદ્યાર્થીની છાપ હતી. કોઇના માનવામાં આવતુ નહોતું કે તેણે આમ કેમ કર્યુ હશે. વર્ગના બધા વિદ્યાર્થીઓની આંખોમાં તેને ગુમાવ્યાનો અફસોસ દેખાતો હતો.
હોસ્ટેલમાં તેનો રૂમ ખાલી કરતી વખતે તેનો રુમ પાર્ટનર કંદર્પ ચા બનાવતાં બોલ્યો ગોવાની ટુરમાંથી પાછા આવ્યા પછી તે ભણી શકતો નહોતો. તો શું ગોવામાં કંઇ બન્યું હતું? ચંદુભાઇ એ સહજ રીતે પુછયું. હું તો નહોતો ગયો પણ શાલુને પુછી જોઇએ તે ગોવાની એજ્યુકેશન ટુરમાં ગઇ હતી. શાલુને તેડું થયું અને શાલુએ સ્પષ્ટ કહ્યું ગોવામાંતો કશું થયું નહોતુ પણ તેના માર્ક ઓછા આવ્યા હતા તેથી થોડોક નિરાશ રહેતો હતો. કંદર્પ તે વખતે ચા બનાવતો હતો અને તે આદુ લેવા બાજુના રુમમાં ગયો ત્યારે એક ચબરખીમાં ફોન નૃબર લખી હાથમાં આપી હાથથી ઇશારો કર્યો ૪ વાગે ફોન કરજો. ચંદુભાઇને લાગ્યું કે કંદર્પ અને શાલુ વચ્ચે અણબનાવ હશે તેથી ચબરખી ગજવામાં મુકી અને તેઓ હોસ્ટેલમાંથી નીકળી હેડક્લાર્ક મકરંદ જોષીને મળવા ગયા. જમવાનો સમય હતો તેથી મકરંદના આગ્રહથી મેસમાં જમવા ગયા મેસ કોન્ટ્રાક્ટર દીઘેએ મકરંદ સાથે આવતા કપિલના પિતાને બહુ જ આદરથી આવકાર્યા અને બોલ્યો,“આપ કપિલનાં પિતાજી?”
”હા” ચંદુભાઇએ જવાબ આપ્યો.
દીઘેએ વાત આગળ ચલાવતા કહ્યુ,“કપિલ આત્મહત્યા કરે તે ચોંકાવનારી બાબત છે પણ સાહેબ એક વિનંતી કરું?” મકરંદભાઇ બોલ્યા.
“દીઘે કપિલનું બાકી ફુડબીલ ભરાઇ ગયું છે તેની ચિંતા ના કરશો.” ચંદુભાઇ બોલ્યા.
“તે ચિંતા તો નથી પણ કપિલ અને અરુણા અહીં સાથે જમવા આવ્યા હતા ત્યારે કેટલાક શબ્દો કાને પડયા હતા તે તમને કહેવા છે.”
“આ અરુણા કોણ?” ચંદુભાઇના પ્રશ્નનો જવાબ મકરંદભાઇએ આપ્યો.
”જલાલપોરની છોકરી જે કપિલ સાથે ભણતી અને એક વિષયમાં નબળી તેથી મેં જ કપિલને ટયુશન માટે ભલામણ કરેલી અને કપિલને કહેલું કે ટયુશનના પૈસા બહુ નહીં આપી શકે ત્યારે કપિલે કેટલો ઉમદા જવાબ આપ્યો હતો, “સરસ્વતી તો મા છે તેનો વેપાર હું નથી કરતો પણ માનભેર મન મંદિરમાં રાખીને ઉન્નતિ પામવી છે.”
મકરંદની વાત આગળ ચાલી ત્રણ મહિના કપિલ પાસેથી મફત ટયુશન લીધા પછી આ ટર્મમાં તે દેખાઇ નથી અને ત્યાં કપિલના આ માઠા સમાચાર આવ્યા. હે ભગવાન ભલાઇનો કે સારા માણસનો તો જમાનો જ નથી. દીઘેએ ફરીથી વાતનું સંધાન બાંધતા કહ્યું મેં તેમની બધી વાતો નહોતી સાંભળી પણ અરુણા કપિલને લગ્ન માટે સમજાવતી હશે અને કપિલનો જવાબ મેં સાંભળ્યો. તે કહેતો હતો “તમે બ્રાદ્મણ અને અમે વાણિયા તેથી લગ્ન સંભવ નથી અને આ બધુ માબાપની સંમતિથી ભણી રહ્યા પછી વિચારવાનું..”
"કેટલો ઠરેલ અને વ્યવહારૂ ઉકેલ. હું તો આવા દિકરાને જોઇ ખુબજ રાજી થઉ."
ચંદુભાઇને થોડોક તાળો મળતો જણાયો કાં તો આ પ્રેમ કે પછી ગૂંડાઓની બળજબરી તેમનું મન વિહ્વળ થવા લાગ્યું. ઘડિયાળમાં નજર કરી તો કાંટા ૨ વાગ્યા હોવાનું સુચવતાં હતાં..મકરંદ અને દીઘેનૌ આભાર માનીને અજંપ મનથી કપિલના રુમને ખાલી કરી વડોદરાનું છેલ્લુ કામ પતાવવા નીકળ્યા.
કંદર્પ રુમમાં હતો તેથી કપિલના ચોપડા કપડા અને સામાન બેગમાં ભર્યો અને બહાર નીકળ્યા. કંદર્પ સાથે આવ્યો અને રીક્ષાની રાહ જોતા ઉભા હતા ત્યારે ચંદુભાઇએ કૃદર્પને પુછયું,
“તું કયા ગામનો?”
“ નવસારી પાસે જલાલપોરનો..” “તો તું અરુણાને ઓળખે?”
“હા તે અમારા ગામની..”
“તેના ઘરનો ફોન નંબર મળે?”
“હા મળે પણ તે તો ગયા નાતાલ વેકેશનમાં સ્ટવ ફાટતાં અકસ્માત મૃત્યુ પામી.”
“ખુબ ખોટું થયું."
ત્યાં રીક્ષા આવી જતાં વાત પુરી કરી ચૃંદુભાઇ રાવપુરા તેમના મિત્રને ત્યાં જવા રવાના થયા. હવે તેમને કપિલનાં પત્રોમાં આવતી ફરિયાદો જેવી કે ભણવામાં પાછળ પડી ગયો છું, ગમતું નથી અને યાદશક્તિ ઘટી રહી છે જેવી વાતો સમજાવા માંડી.
બરોબર ૪ના ટકોરે શાલુને ફોન કર્યો. તે કંદર્પની હાજરીમાં વાત નહોતી કરવા માંગતી તેથી સમય લીધો હતો. તેની વાત સાવ સરળ હતી. અરુણા તેના કાકાની દીકરી અને કંદર્પને તેના કપિલ સાથે વધતા સબંધ પસંદ નહી તેથી તેણે અરુણાના ઘરે આ વાત વધારીને કહી હતી. તેથી નાતાલ વેકેશનમાં ઘડિયા લગ્ન લેવાયા. લગ્નના બીજે દિવસે શાલુને બોલાવીને અરુણાએ એક ચિટ્ઠી કપિલને આપવા લખી.
"કપીલ,
હું જાઉં છું હવે ઉપર મળીશું.
અને બે જ કલાકમાં તેણે કેરોસીન છાંટી આત્મ હત્યા કરી. છાપામાં અને પોલીસ સ્ટેશને સ્ટવ ફટયાની વાત થઇ અને કોલેજમાંથી નામ નીકળી ગયું. કંદર્પે કપિલને એટલું જ જણાવ્યું તેના લગ્ન થઇ ગયા તેથી ભણવામાંથી ઊઠાડી મુકી.. મેં અરુણાબેનની ચિટ્ઠી બે મહીના સુધી ન આપી પણ કપીલની અસ્વસ્થતા અને બેચેનીમાંથી બહાર કાઢવા તે ચિટ્ઠી તેને આપી ત્યારે તે છુટ્ટા મોં એ ખુબજ રડયો અને બોલ્યો અરુણા તારું કહેલુ મારે માનવું જોઇતું હતું. ફોન ઉપર છેલ્લે રડતા રડતા શાલુ બોલી મને માફ કરજો અંકલ મેં કપિલને તે ચિટ્ઠી ન આપી હોત તો કદાચ.."