સર્જનહારને પત્ર
સર્જનહારને પત્ર
ગયા વર્ષે હું વિદેશથી ભારત આવી, અને પાછી ન જઈ શકી. બંને પ્રસંગનો ઉલ્લેખ આ ઈશ્વરને લખેલ પત્રમાં કરું છું.
મારા વ્હાલા સર્જનહાર,
હું આજે ખૂબ ખૂબ ખુશ છું. હું આ મંચ પર શરૂઆત કરવા જઈ રહી છું. તમને પત્ર લખીને જ 'બીતે લમ્હેં-2' માં ભાગ લઉં છું. આનાથી વધારે રૂડું બીજું શું હોય શકે !
તમે સર્જનની કળામાં વ્યસ્ત હશો એ સ્વાભાવિક છે. પણ આજે તમારા જ સર્જનની એક કૃતિ એટલે કે હું, તમને પ્રેમથી પત્ર લખી રહી છું. મને મળતી સકારાત્મક ઊર્જા એ આપના આશીર્વાદ જ છે. હું ડગલે ને પગલે અનુભવું છું કે તમે મારી સાથે જ રહો છો.
ક્યારેક હતાશાની પરિસ્થિતિ ઉદભવે કે આનંદનો અતિરેક, કાયમ તમે જ મને સંભાળી છે. મારા અંતરનો અવાજ બીજા સુધી પહોંચી શકે અને બીજાનો અવાજ દૂરથી મારા અંતરને સ્પર્શી જાય એ તમારા આશીર્વાદ વગર કેવી રીતે શકય બને ?
હે ઈશ્વર ! તમારી અનુભૂતિ દરેકને પોતાની શ્રદ્ધા પ્રમાણે થતી હોય છે. સર્જનહાર દેખાય નહિ એનો અર્થ એ નથી કે તમારું અસ્તિત્વ નથી. તમને તમારાં અસ્તિત્વ માટે મનુષ્યના પ્રમાણપત્રની જરૂર નથી. તમે તમારું કાર્ય કરો જ છો. અમે સૂતાં રહીએ તો સૂર્ય ઉદય ન થાય એવું તો નથી થવાનું. હા, અમારી દિનચર્યામાં જરૂર ફેરફાર થશે.
મારા બાળપણમાં તમે મારા જેવડાં જ હશો એવી કલ્પના કરતી હતી. ત્યારે કુતૂહલતા પણ થતી કે તમે મને મંદિરમાં મળશો. આજે જયારે હું પરિપક્વ ઉંમર ધરાવું છું ત્યારે તમે મને પરિપક્વ, સ્થિર અને સહાનુભૂતિથી અભિભૂત લાગો છો.
તમે દરેકને પોતાની શ્રદ્ધા અને વિશ્વાસ અનુસાર ફળ આપો છો. દરેક વ્યક્તિ વિચારે કે મેં ક્યારેય કોઈનું હૃદય દુભાવ્યું નથી કોઈનું અહિત કર્યુ નથી કે વિચાર્યુ નથી તો મારી સાથે જ અન્યાય કેમ ? અમને નિરાશા આવવી સ્વાભાવિક છે પરંતું તમારાં અસ્તિત્વ પર શંકા કરવી વ્યર્થ છે. તમે મનુષ્યને બનાવ્યા એ પાછળ કારણ છે તો પરિણામ પણ હોય જ. પરિણામ સારું હોય કે માઠું, સકારાત્મક હોય કે નકારાત્મક. અમારાં વિચારોથી પરિણામમાં કોઈ ફેર નહિ પડે. હા, કર્મ કરવાથી પરિણામમાં અવશ્ય ફેરફાર થશે. પરિણામમાં દસ ટકા ફેરફાર થાય તો તમારામાં વિશ્વાસ દ્ર્ઢ બને. ક્યારેક પરિણામ અમારા ધાર્યા મુજબ ન આવે તેવું બને પણ એમાં અમારું હિત જ છૂપાયેલું હોય શકે.
મારે કોરોનાને લીધે વિદેશથી ભારત આવવાનું થયું. મેં સમયસર નિર્ણય લઈ લીધો. હું અને મારો બાબો મહત્વના બધા કાર્યો કરી સુખરૂપ ઘરે પહોંચી ગયા હતા. હે પ્રભુ ! મને સમયસર નિર્ણય લેવામાં તમે જ મદદ કરી હતી. તમારો ખૂબ ખૂબ આભાર. તમારા આશીર્વાદથી મારો પરિવાર કુશળક્ષેમ છે.
હવે આવે છે વાત ધારેલું ન થયું એની ..... મેં ધાર્યું હતું કે હું એક થી દોઢ મહિનામાં ફરી વિદેશ જઈશ, પણ હું ન જઈ શકી. વાંધો નહીં, તમે મારા માટે જે વ્યવસ્થા કરી હશે તે ઉત્તમ જ હશે. હું મારું મન કોઈ પણ પરિસ્થિતિમાં વ્યાકુળ કે વિચલિત ન થાય એવી પ્રાર્થના કરું છું.ઘરનાં દરેક સભ્યની શ્રદ્ધા, વિશ્વાસ, પ્રેમ અને ભક્તિ તમારામાં હોય જ એવું બનતું નથી. કોઈ એક સભ્યનાં પુણ્ય પ્રતાપે કુટુંબ દુ:ખમાંથી વિપદામાથી ઉગરી જતું હોય છે. સહેલાઈથી જીવન તો જીવી જ લે છે સાથે સાથે સફળતા પણ પ્રાપ્ત કરી શકે છે.
માટે હે સર્જનહાર ! પૃથ્વી પરના સઘળાં જીવોનો તમારામાં વિશ્વાસ દ્ર્ઢ બને, તમારો પ્રેમ મળે એટલી યોગ્યતા કેળવી શકીએ, દુ:ખમાં, મુશ્કેલીમાં અડીખમ રહીએ એવી પ્રાર્થના કરું છું.
લી. તમારું પ્રિય પુષ્પ બનવા ઈચ્છતી,
વંદનાના સાદર પ્રણામ.