રાધા-કૃષ્ણ સંવાદ
રાધા-કૃષ્ણ સંવાદ
રાધા : કાન્હા, પૃથ્વી પર આ બધું શું થઈ રહ્યું છે ? મને તો કંઈ સમજાતું જ નથી.
કાન્હા : પ્રિયે, આ મનુષ્ય મને મંદિરોમાં શોધતાં હતાં. હવે ઘરમાં રહીને કદાચ એ મને એમનાં ભીતર શોધશે તો હું મળી જઈશ.
રાધા : "પરંતુ કાન્હા એમાં કેટલાંયે નિર્દોષ એનો ભોગ બની રહ્યાં છે. એનું શું ?"
કાન્હા : "આ બધો એમનાં કર્મોનો જ પ્રતાપ છે. હજુ તો કળિયુગની શરુઆત છે."
રાધા : "કાન્હા, આટલી ગંભીર પરિસ્થિતિમાં પણ આપ મંદ-મંદ મુસ્કુરાઈ રહ્યાં છો ?
કાન્હા : "આ મનુષ્ય કોઈપણ પરિસ્થિતિમાં સ્થિતપ્રજ્ઞ રહેતાં શીખી જાયને તો કોઈપણ જંગ આસાનીથી જીતી જાય."
રાધા : "એટલે ? મને કાંઈ સમજાયું નહિ."
કાન્હા : "અત્યારે પૃથ્વી પર કોરોના વાયરસે પોતાની પાંખો પ્રસારવા માંડી છે. જે મનુષ્ય પોતાનાં મનને વિચલીત થવા દઈને, તટસ્થપણે ઘરમાં રહેવાને બદલે બહાર રખડશે તેને કોરોના પોતાની પાંખોમાં સમેટીને ઊડી જશે."
રાધા : "કાન્હા, આપ કંઈક કરો ને મારાથી તો મનુષ્યની આ સ્થિતિ જોવાતી નથી."
કાન્હા : "આ માનવોને બચાવવા માટે કેટલાંક મનુષ્યની ભીતર રહીને, બીજાં કેટલાંયે મનુષ્યો તેમને બચાવવા માટે જે કંઈ સારું કાર્ય કરી રહ્યાં છે, તે મારી ઈચ્છાથી જ થઈ રહ્યું છે. છત્તાં, જે મનુષ્ય તેમની વિરુધ્ધ જઈને કોઈ કાર્ય કરી રહ્યા છે, તેમનાં કારણે બધાં મનુષ્યનાં જીવ જોખમમાં મૂકી રહ્યાં છે. આમ પણ, મનુષ્યે ઘણું પ્રદૂષણ ફેલાવ્યું છે. કચરો, પ્લાસ્ટિક બધું નદીમાં નાંખીને, નદીને દૂષિત બનાવી છે. સીમેન્ટ-કોંક્રીટનાં આવાસો બનાવવામાં જંગલોનો નાશ કર્યો છે. આ મનુષ્ય, જો હજુ પણ નહિ સમજે તો વિનાશને વરશે."
રાધા : "કાન્હા, આપની લીલા તો આપ જાણો. બાકી, આપ તો મને આપની વાંસળીનાં મધુરાં સૂર જ સંભળાવો."