ફેરવો શ્રાપને વરદાનમા
ફેરવો શ્રાપને વરદાનમા
અનીલા અને તેનો પતિ હવાફેર માટે દેવલાલી આવ્યાં હતાં. ત્રણ-ચાર મહિના અહીંં રહેવાના હતાં. દીકરો શનિ-રવિ રજામાં સહપરિવાર અહીં આવતો. પણ ખબર નહીઁ કેમ રહેવા આવી ત્યારથી અનિલાને લાગતું અમે બંને હવે સાથે પાછા નહીઁ જઈ શકીએ. તેનું મન તેને કહેતું તે બંનેનો સાથ હવે થોડા જ સમયનો છે. મનોમન તેણી મૂંઝાઈ ગઈ હતી. હરરોજ વિચારતી. કોણ જશે ? છઠ્ઠી ઈન્દ્રીયથી થતી જાણકારી તેને શ્રાપ લાગી રહી હતી. અગર અહીંં મારુ મૃત્યુ થયું તો બધાને કેટલી દોડાદોડ.
વળી વિચારતી અગર પતિને કાંઈ થયું તો તેની જિંદગી જ શું ? પતિને વાત કરવાની હિંમત ના ચાલતી. તે બહાર આંટો મારવા જાય અને મોડું થાય તો પણ ગભરાઈ જતી. થોડા દિવસ બાદ તેની એક સખીનો ફોન આવ્યો, તેણે ખરાબ સ્વપ્ન જોયું, અનિલાના પતિ હવે નથી રહ્યા. આ બધી વાતે અનિલાને વધુ નર્વસ કરી મૂકી. અંતે ના રહેવાતા તેણીએ પતિ આગળ મન ખોલ્યું.
અને આશ્ચર્ય ! ખૂબ સહજતાથી તેમણે આ વાતને લીધી. છઠ્ઠી ઈન્દ્રીયની ચેતવણીને શ્રાપને બદલે વરદાનમાં ફેરવવા સમજાવ્યુ. જે પણ થોડો સમય હોય તેમાં કરી શકાય તે કામ કરવા, પ્રભુ સ્મરણ કરવું, જુના સ્નેહીજનને રૂબરૂ અથવા ફોન પર મળવું, મનના રાગદ્વેષ દૂર કરવા એ જ તેમનો અગ્રતાક્રમ બની ગયો.
જીવનનાં પચાસ વરસનાં લગ્નજીવનમાં ન આપેલ પ્રેમ તેને આપ્યો તો બાળકોને શક્ય તેટલી સમજ આપી. અને વાત કર્યાના થોડા સમય બાદ તેમનું મૃત્યુ થયું.
આજે અનિલાને તેમની હકારાત્મકતા સમજાય છે.
છઠ્ઠી ઈન્દ્રીયનો આભાસ એક ચેતવણીરૂપે સજાગ કરી જાય છે. અગર તેને સમજીએ તો એ શ્રાપ વરદાનમાં ફેરવાઈ જાય.
