ફાંસીને બદલે માન
ફાંસીને બદલે માન
દિલ્લી શહેરમાં એક હીરાચંદ નામનો દાભિંક સઠ અને બીજાનું અકલ્યાણ કરનાર માણસ રહેતો હતો. તેની સાથે તેનો માધુ નામનો એક મહાપાપી મિત્ર રહેતો હતો. તેના તે પાપી મિત્રના પાપના શિક્ષણે તેને વધારે પાપી બનાવનાર હીરાચંદને વધારે ધીકારતા હતા, આનો કાટ કાઢવા માટે નગરવાસીઓએ એવી અફવા ઉડાડી કે જો સવારમાં કોઇ માણસ હીરાચંદનું મોં જોવે તો તેને તે દીવસે ખાવાનું મળતું નથી.
આ અફવા ફેલાતી ફેલતી એકદમ રાજાના કાને અથડાઇ. તેની સચાઇ શોધવા માટે બાદશાહે હીરાચંદને પકડી મંગાવી એકાંત સ્થળમાં બેસાડી રાખ્યો. બીજે દીવસે સવારમાં બાદશાહે ઉઠતાં વારજ તેનું મોં જોઇ બોલ્યો કે, હવે મને ખાવાનું મળે છે કે નહીં તેની ખાત્રી કરૂં. બાદશાહને જમવાનો વખત થયો. રાજા જમવા બેઠો. જેવો રાજા કનક થાલમાંથી અન્નનો કોળીઓ ઉપાડી મુખમાં મેલવા જાય છે તેવોજ ઉપરથી ભોજન થાળમાં ગરોળો પડ્યો તેથી બાદશાહને સુગ ચઢી અને ખાધા વગર જ ભોજન ઉપરથી ઉઠી નીકળ્યો, અને બીજી રસોઇ બનાવવાનો હુકમ આપ્યો. આ બનાવથી બાદશાહને ખાત્રી થઇ કે હીરાચંદનું મોં જોયું તેનો આ ચમત્કાર છે ? માટે તેવા પાપીનો નાશ કરવો એજ ઉત્તમ માર્ગ છે ! એવો ઠેરાવ કરી ચંડાલોને બોલાવી હુકમ આપ્યો કે, આ પાપીને ફાંસીએ લટકાવી દો. રાજાનો હુકમ થતાંજ ચંડાલો તેને લઇ ચાલ્યા. પણ રામ રાખે તેને કોણ ચાખે ? પુરો નસીબવાન ! હજી કંઇક પાપ કરવાનાં બાકી રહ્યાં હશે તેથી રસ્તામાં બીરબલ મળ્યો. બીરબલ આવી દશાએ પહોંચેલા હીરાચંદની ભયાનક કથા સાંભળી દીલગીર થયો અને તેથી બીરબલે તેને એકાંતમાં લઇ જઇને કહ્યું કે, અલ્યા હવે તું જરા પણ ડરીશ નહીં, જે વખતે તને ફાંસીએ લટકાવતી વખતે પુછશે કે તારી ઇચ્છા શી છે ? ત્યારે તું એટલુંજ કહેજે કે, મારૂં મોઢું જોવાથી માણસોને ખાવાનું મળતું નથી, પણ રાજાનું મોં જોતાં આજે મને ફાંસીની શિક્ષા થઇ છે, માટે હું એટલું જ લોકોના પરોપકાર માટે જાહેર કરવા માગું છું કે કોઈ પણ બાદશાહનું મોં સહવારમાં જોશો નહીં, નહીં તો મારા જેવી દશાએ પહોંચશો ! એટલું કહી બીરબલ ચાલ્યો ગયો. હીરાચંદને ફાંસીના માચડા પર લઇ જઇ ચંડાલોએ પુછ્યું કે, 'બોલ હવે તારી શી ઇચ્છા છે?' હીરાચંદે બીરબલનું કહેલું કહેવાથી ચંડાલો વિસ્મય થઇ બાદશાહ પાસે જઈ સઘળી બીના વીદીત કીધી. આ વાત સાંભળતાંજ બાદશાહ ઉલટો અકળાયો અને પોતાની ફજેતી થશે એમ માની ચંડાલોને કહ્યું કે, જાઓ તેને મારી પાસે લાવો. રાજાનો હુકમ થાતાજ ચંડાલોએ હીરાચંદને લાવી રાજાની હજુરમાં ઉભો કીધો. રાજાએ તેને ઈનામ આપી કહ્યું કે, જા તારા અપરાધની તને ક્ષમા કરવામાં આવે છે. માટે આ વાત કોઇની આગળ કરતો નહીં. હીરાચંદને વિદાય થયેલો જોઇ, બાદશાહે ચંડાલોને પુછ્યું કે, તમને રસ્તામાં કોઇની ભેટ થઇ હતી ? ચંડાલોએ કહ્યું કે, હા સીરતાજ ! બીરબલજી. બાદશાહ તરત સમજી ગયો કે આ સઘળી ખુબી બીરબલની જ છે, શાબાસ છે એની વિશાલ બુધ્ધિને ! એમ વખાણ કરતો ને મનમાં ને મનમાં આનંદમયી બન્યો.
