નારી તું નારાયણી
નારી તું નારાયણી
" નારી તું નારાયણી " એ બિરુદ કાઈ સ્ત્રી ને આમને આમ નથી મળ્યું. સ્ત્રીની ક્ષમતા તો અવર્ણનીય છે.
અને છતાંય પોતાની ક્ષમતા એ બોલ્યાં અને જતાયા વિના ફક્ત પોતાનાં કાર્ય થકી સહજતાથી દાખવી દેતી હોય છે.
"સ્ત્રી સશક્તિકરણ" ની વ્યાખ્યા શું કહું અને કેવી રીતે કરું એજ સમજાતું નથી, કારણ એ પોતાનામાં જ એક શક્તિસ્વરૂપીણી છે. જે પોતાની અંદર લાગણીઓનો ભંડોળ સમાવી રાખતી હોય છે, જવાબદારી નો એના માથે ભલેને જોજ કેમ ન હોય!, હસતાં હસતાં દરેક કાર્ય કુશળતાથી પાર પાડતી હોય છે.જે જાણે પોતાનાં માટે બની જ નથી, જેનું સર્વસ્વ પોતાનાઓ માટે ન્યોછાવર કરી બધાંની ખુશીમાં ખુશ થઈ રહેતી હોય છે. એટલે જ તો નારી ને નારાયણી નું બિરુદ અપાયું છે.
સ્ત્રી શું નથી કરી શકતી, સાચું કહું તો એવું કાઈ જ નથી જે એક સ્ત્રી નથી કરી શકતી, દરેક કાર્ય માં નીપૂર્ણ, કાર્યક્ષમ, જિજ્ઞાસુ,
વ્યવસ્થાપક, જવાબદાર અને ઉત્તમ દરેક વાત, દરેક બાબતને લઈને આગળ, જાણે ક્યાંય અને કોઈજ ક્ષેત્રે કારકિર્દી માં એ પાછળ નથી રહી એટલેજ સ્ત્રી શક્તિ નાં ઘણાં નોખાં સ્વરુપ આપણને જોવા મળતાં હોય છે.
સ્ત્રી જે પોતાની અંદર એટલી ક્ષમતા કેળવી બેઠી હોય છે કે, પોતે પોતાનાં ઘરની જવાબદારી, બાળકોનું સિંચન, ઘરનાં મોટાઓની કાળજી, પોતાનો પત્ની ધર્મ, દરેકે દરેક કાર્ય કુશળતાથી અને સંપૂર્ણતાથી પાર પાડતી હોય છે, જે એક કૂક પણ છે, શિક્ષક પણ છે, પ્રેમિકા પણ છે, માતા પણ છે, દિકરી પણ છે, પત્ની પણ છે, વહુ પણ છે.
અને સાથે પોતાનાં પગભર પણ છે, નોકરીમાં પણ પોતાની બુધ્ધિ ચાતુર્યથી દિવસેને દિવસે આગળ વધી રહી છે, જે પોતાના પાર્ટનરને ખભે ખભો મિલાવીને એની મદદ માટે સદંતર તૈયાર ઊભી છે. જે ક્યારેય થાકતી નથી, કેટલોય થાક, દુઃખ અને પોતાની વ્યથાઓ ને કોઈ પાસે જતાવતી પણ નથી.જે બીમાર પડીને પણ બીજાં દિવસે ઊભી થઈ પોતાનાં દરેક કાર્ય ને પોતાની ફક્ત ફરજ સમજી નહી, પરંતુ પોતાના જીવનનો અમૂલ્ય ભાગ સમજી દરેક નું બધુજ કાર્ય લાગણી સભર કરે છે... બસ, આ કાર્ય એક સ્ત્રી જ કરી શકતી હોય છે, ફક્ત અને ફક્ત એક સ્ત્રી દરેકજે મનનાં ભાવ ને સમજી શકતી હોય છે.
પોતાની ઓળખ ભૂલીને દરેકને પોતાનાં બનાવવાની કળા, અને પોતે દરેકનાં મનમાં ઘર કરવાની કળા એ ફક્ત તારામાં જ છે. તું પરમપિતા પરમેશ્વરનું એક એવું અમૂલ્ય મોતી છે, જે પોતે પ્રકાશમાન થતું અને પોતાની સાથે પોતાનાં બધાને ચમક આપતું રહે છે....
નારી તું જ નારાયણી..
શક્તિ શક્તિસ્વરૂપીણી..
માતૃત્વની સર્જનહારીણી..
પત્નીવ્રત ધર્મને વળગી રહેનારી..
સંસ્કારોનું સિંચન કરનારી..
સંબંધોનું જતન કરનારી..
હંમેશ દયા ભાવ માં માનનારી..
સહુ માટે જીવનારી..
સ્ત્રી એ ફક્ત સ્ત્રી નથી, જો એક સ્ત્રી ઘરમાં ન હોય ને તો ઘરને ખંડેર બનતાં કોઈ અટકાવી નથી શકતું.
એક સ્ત્રી વગર ઘરનું કોઈ જ અસ્તિત્વ નથી હોતું... સ્ત્રીથી જ ઘર સુશોભિત છે.
હું પોતે એક સ્ત્રી હોવાપર ગર્વ અનુભવું છું. કારણ, મને મારા આ જીવનમાં કેટલાં મહત્વના પાત્રો ભજવવાં મળ્યાં છે.
