મોતનું રહસ્ય
મોતનું રહસ્ય
મનોજભાઈનાં ઘર પાસે લોકોનું ટોળું જામી ગયું હતું. મોનાભાભીને પોલિસ પકડવા આવી હતી. એમનાં નામનું વોરંટ હતું. પતિની હત્યા માટે ગિરફતાર કરવામાં આવ્યા. મોનાભાભી છેલ્લા બે વર્ષથી ઘરમાં વીશી ચલાવતા હતા. જ્યારે ફેમિલીડોક્ટરે કહ્યું, 'મનોજભાઈને ડ્રગરેસિસ્ન્ટટ ટી.બી થયો છે !’ ત્યારે મોનાભાભી ખૂબજ હતાશ થઈ ગયા. પણ અજુબાજુવાળાએ હિંમત આપી કે ચિંતા ન કરશો અમે બધા તમને મદદ કરશું પણ આ તો રાજરોગ કહેવાય! એમને સંતાન તો હતા નહિ. મુખ્ય વ્યક્તિ જ કામ ન કરી શકે ત્યારે શું થાય? વળી મોનાભાભી ખાસ ભણેલા પણ નહિ. ધીરે ધીરે મનોજભાઇ ખાટલાવશ થઈ ગયા. પડોશીઓએ સલાહ આપી કે મોનાભાભી ‘તમે સરસ રસોઈ બનાવો છો હં, તમારા ઘરમાંથી જે સુગંધ આવે છે અમારા મોંમાં પાણી આવી જાય છે તમે લોકોને જમાડવાનું ચાલુ કરો તમારું ઘરનું ગાડું એમાંથી સરસ ચાલશે!’ અને બસ બંને માણસને આ વાત ગમી ગઈ. અને ભગવાનની કૃપાથી એમની વીશી બહુજ સરસ ચાલતી હતી.
મોનાભાભી અવારનવાર ડોકટરને બોલાવતા તેથી મનોજભાઈનાં મૃત્યુ વખતે તેમણે સર્ટીફીકેટ આનાકાની વગર આપી દીધું હતું. પરંતુ તેજ વખતે એક પડોશીએ પોલિસસ્ટેશનમાં ફોન કરીને કંપલેન્ટ કરી કે અમને ડાઉટ છે, મનોજભાઇ કોઈ મેલી રમતનો શિકાર બન્યા છે. પોલિસ તરત જ સચેત થઈ ગઈ. તેથી એમનું બોડી પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું. મોનાભાભીનું દીલ એક ધડકન ચૂકી ગયું, અંદરથી એ ધ્રુજી ઉઠ્યાં. અને - રિપોર્ટમાં ખબર પડી કે મનોજભાઈનું મૃત્યુ કુદરતી નથી! લોકોમાં ચળભળાત શરૂ થઈ ગયો. મોનભાભીનાં ચહેરાનો રંગ ઊડી ગયો ! જાહેર કરવામાં આવ્યું કે એમનું મૃત્યુ ગળું દબાવવાથી થયું છે.
પડોશીઓને ખબર હતી કે મોનાની વીશીમાં રોજ પરેશ નામનો માણસ જમવા આવતો હતો. જે એવી રીતે મોનાભાભીને ટીકી ટીકીને જોતો કે કોઈને પણ અણગમો થાય. અને વળી એમાનાં હદ ઉપરાંતનાં વખાણ કરતો સાથે સાથે રસોઈનાં પણ કરતો. પણ ધીરે ધીરે આડોશ પાડોશવાળાને મોનામાં પણ થોડો ફેરફાર દેખાવા લાગ્યો અને આ પ્રેમપંખીડા સૌની નજરમાં આવી ગયા. મનોજભાઇ બીચારા અંદર એક રૂમમાં ખાટલા પર પડ્યા રહેતા હોવાથી એમને ખબર ન પડી. થોડી હસાહસ સાંભળે પણ બીચારા સમજે કે મોના ભલે બેઘડી મજા કરે હસીલે ! પણ થોડો વખત પછી પરેશ કંટાળ્યો, મોનાને કહે, 'હવે આનું કાંઇ કરીએ આમ જિંદગી ન વેડફાય!' અને બંનેએ એક દિવસ નક્કી કર્યો. એ દિવસ મોનાએ બહુ સરસ મનોજભાઈની ભાવતી રસોઈ બનાવી. પ્રેમથી જમાડીને કહ્યું, ‘હવે તમતમારે શાંતિથી સૂઈ જાઓ. જાણે બકરો વઘેરતા પહેલા લાડ કરે ને એમસ્તો ! પરેશને ધીમેથી ઘરમાં લીધો અને ઘસઘસાટ ઊંઘમાં જ તેમનું કાસળ કાઢી નાખ્યું અને પછી પરેશને છાનામાના વિદાય કર્યો. સાંજે પાંચ વાગે એમણે જોર જોરથી પોક મૂકીને રડવાનું ચાલુ કર્યું.
એક પડોશી પરેશને લપાતો નીકળતા જોઈ ગયો. એને વહેમ પડ્યો અને વળી જ્યારે આ મનોજભાઈનાં અચાનક મૃત્યુની ખબર પડી ત્યારે એને પાકો વહેમ થયો કે જરૂર દાળમાં કૈંક કાળુ છે!
આ ભાઈએ પોલિસમાં કમ્પ્લેંટ કરી અને સમયસર જાણ થતાં પોલિસ આવી ગઈ અને મોનાભાભીને પકડી ગઈ. તેમનાં નામનાં વોરંટથી લોકો ભેગા થઈ ગયા. આજે પાપનો ઘડો ફૂટી ગયો અને બધા એ માટે ખુશ થયા અને મનોજભાઇ પણ જીવલેણ બીમારીમાંથી છૂટયા એટલે હાશકારો કરી સૌ સૌને ઘેર વિદાય થયા. પછી તો કેસ ચાલ્યો ડોક્ટર સારા નસીબે છૂટી ગયા. પણ મોના અને પરેશને ઉમરકેદની સજા થઈ. અત્યારે બંનેને જુદી જુદી જેલમાં રાખવામાં આવ્યાં છે.