માનવતા ખાતર
માનવતા ખાતર
ઈ. સ. 2020નું વર્ષ કોવિડ 19 વૈશ્વિક મહામારી અંતર્ગત દરેક જગ્યાએ કેટલાય પરિવારની રોજગારી છીનવાઈ ગઈ છે. અને કેટલાય કુટુંબના વડા પોતાના પરિવારનું ભરણપોષણ કરી શકતા નથી. ત્યારે આઠ-નવ મહિનાથી બેરોજગારીનો ભોગ બન્યા હોય અને તેવા સમયે જ્યારે દિવાળીના તહેવારો આવે. આજુબાજુમાં વસતા પરિવારના બાળકોને નવા કપડાં પહેરતા અને ફટાકડા ફોડતા જોતા હોય. ત્યારે બેરોજગારીનો ભોગ બનેલ પરિવારના બાળકો ફટાકડા ફોડવા અને નવા કપડા ખરીદવા માટે જિદ કરતા હોય છે. પરંતુ તેના પિતા તેને કપડાં કે ફટાકડા લાવી આપતા નથી.
બાળક પોતાના પિતાને ફટાકડા લાવવા માટે જિદ કરે છે. પપ્પા મને ફટાકડા લઈ આપો. કાલે દિવાળી છે. મારા બધા જ મિત્રો આખો દિવસ ફટાકડા ફોડે છે. મને આજે નહીં તો દિવાળીના દિવસે ફટાકડા જોઈએ.. જોઈએ.. અને જોઈએ... જ.
બાળક જિદ પકડે છે. સારુ દીકરા આવતીકાલે હું તને ફટાકડા લઈ આપીશ. આટલું કહીને નાનજીભાઈ ઘરમાં ચાલ્યા ગયા. જેમણે બે-ત્રણ દિવસથી અન્ન ન હોવાના કારણે ખાધું પણ ન હતું. માંડ માંડ પોતે ભૂખ્યા રહીને છોકરાને જમાડતા હતાં. આવી પરિસ્થિતિથી અજાણ દીકરો એમની પાસે ફટાકડાની જિદ કરી રહ્યો હતો. અને તે પણ એક નાનકડી જિદ પૂરી કરી શકતા ન હતા. લાચાર બનેલા નાનજીભાઈ ઘરની પાછળની ખુલ્લી જગ્યામાં જઈને ખુબ જ રડી પડ્યા. તેમની પત્નીની આંખોમાં આંસુ હતા. અને તે તેમને આશ્વાસન આપી રહી હતી. તેમની પત્નીએ કહ્યું, "આપણે ક્યાં સુધી આવી ગરીબી અને બેરોજગારીમાં બેસી રહીશું ? "
દિવાળીના દિવસે નાનજીભાઈ તેમના ઘરના ઓટલે બેઠા હતા. ત્યારે ત્યાં એક માણસ આવ્યો. અને એમની પાસે પડેલી એક ભાગેલી, તૂટેલી આરામખુરશી તરફ આંગળી ચીંધતા બોલ્યો કે "ભાઈ આ જૂની ખુરશી તમારે વેચવાની છે ?"
નાનજીભાઈ હસતા હસતા બોલ્યા કે "મારે વેચવાની તો છે પણ ભંગારવાળો પણ આ વસ્તુ લેવાની ના પાડે છે. "
તે સજ્જને કહ્યું, કે "તમને વાંધો ના હોય તો તે આરામ ખુરશી મને આપી દો. હું પુરા એક હજાર રૂપિયા આપીશ.
નાનજીભાઈ કહ્યું સાહેબ મજાક ના કરો. આવી નવી ખુરશીનો પણ આટલો ભાવ નથી. તો શું તમે મને એક હજાર રૂપિયા આપશો ? હા, વાત સાચી છે. પણ હવે જૂની વસ્તુ ક્યાં મળે છે ? અને મને જૂની વસ્તુઓ સાચવવાનો ખૂબ જ શોખ છે.
આમ, કહીને તે માણસે એક હજાર રૂપિયા આપીને તે ભંગારવાળી આરામખુરશી લઈ લીધી.
ત્યારબાદ નાનજીભાઈએ આપેલ પૈસા લઈને પોતાના દીકરા માટે ફટાકડા લાવ્યા. દિવાળીના દિવસે નાનજીભાઈ નો દીકરો ખિલખિલાટ હસતો હતો.
ત્યારે સામેની બાલ્કનીમાં જઈને પેલા સજ્જન પેલા નાનજીભાઈના દીકરાને જોઈને મનમાં મલકાઈ રહ્યા હતા. તે જ સમયે તે સજ્જનની પત્ની આવીને પૂછ્યું, "અરે ભંગારવાળી ખુરશી ક્યાંથી ઉપાડી લાવ્યા છો ? તમે તો જૂની વસ્તુ પ્રત્યે ચીડ છે. તો પછી આ ભંગારવાળી ખુશી ક્યાંથી લાવ્યા ?
તે સમયે પેલા સજ્જને ટૂંકમાં જવાબ આપ્યો કે "કોઈકની હસી માટે" "મારી માનવતા ખાતર "
આમ, આપણે પણ જ્યારે કોઈક સાચે જ મુશ્કેલીમાં હોય તો બની શકે તો ખુશીનું કારણ બનીએ. તે જ સાચી માનવતા છે.