મા
મા
કહેવતઃ ‘મા તે મા, બીજા વગડા ના વા’
એની મા મરી ગઇ. માતાના મ્રુત્યુ – સમાચારે તેનામાં વિચિત્ર લાગણી ઉભરી હતી. તેને દુઃખ થતું હતું કે માતાના મ્રુત્યુના સમાચારે તેને જેટલું દુઃખ થવું જોઇએ એટલુ દુઃખ થતુ ન હતુ. એની લાગણી અને જજબાતી દુનીયામાં બરફની ઠંડી જેવી નિષ્ઠુરતા જેવું લાગતુ હતુ. તેને પોતાને સમજાતુ ન હતુ કે પોતે ક્યા પ્રકારની લાગણી અનુભવે છે.
આ એ જ મા હતી જેના દુઃખે એ દુઃખી થઇ જતો. પોતે પોતાની ઉમર પ્રમાણે સારી સફળતા મેળવી હોવા છતા એના બચપણના દિવસો – જ્યારે મા એ અસહ્ય દુખો ઉઠાવ્યા હતા – યાદ આવતા તે પોતાને દુઃખી પ્રતીત કરતો. તેનું જીંદગીમાં એક જ ધ્યેય હતું માને બને તેટલી સુખી કરવી. તેણે લગ્ન પણ માની પસંદગીની છોકરી સાથે કર્યા.
એના લગ્ન પછીના દીવસો બહુ જ જજબાતી રહ્યા. એની પત્ની મીતામાં એણે જે આશા રાખી હતી કે – માને મીતા પોતાની માની જેમ રાખશે અને બચપનના દુઃખદ સ્મ્રુતીઓ મીટાવી નાખશે. તેનાથી તદન વિપરીત વર્તન નીકળ્યુ મીતાનું. પ્રથમ વખત એને અફસોસ થયો પોતાની માની કોઇ ચીજ માટે માની મીતાની પસંદગી માટે. શરુઆતના તબક્કામાં તો તેણે દરેક રીતે પ્રયત્નો કર્યા મીતા સાથે એડજસ્ટ થવાના. તેની નાની મોટી ઘરના સભ્યોની ફરીયાદ હળવાશથી લેતો. પરંતુ, આ સિલસિલો વધતો ગયો, ફરીયદો વધતી ગઇ. હવે તો મીતા ઝગડો પણ કરી લેતી. આ બધુ અસહ્ય હતુ એના માટે. એણે દરેક પ્રયત્નો કર્યા મીતાને સુધારવાના પણ દરેક વખતે તેના હાથ હેઠા પડતા. પથ્થર પર પાણી હતું. એની કૌટુંમ્બીક અને સામાજીક પરિસ્થિતી એવી હતી કે તે મીતાને છોડી શકે તેમ પણ ન હતો અને માથી અલગ રહેવું એની કલ્પના બહારની ચીજ હતી.
સમયની સાથે એ પણ ઢસળાતો રહ્યો. સુખી કરી શકતો ન હતો કે સુખી થઇ શકતો ન હતો. લાગણીશીલ માણસોનો સુખનો આધાર પોતાને ગમતા માણસોના સુખ-દુઃખ પર હોવાથી સુખી થવાની શક્યતાઓ ઓછી રહે છે. એને વજ્રઘાત તો ત્યારે થયો જ્યારે માનું વર્તન પણ બદલાઇ ગયુ. માનું અસંદિગ્ધ વર્તન, મીતાની ફરીયાદો માટે જગ્યા કરી આપતુ. જ્યારે માએ દેખીતો પક્ષપાત ચાલુ કર્યો ઘરના અન્ય સભ્યો માટે, ત્યારે તેના હાથ હેઠા પડયા. આખરે, તેણે જીંદગીથી સમાધન કરી લીધું. માને નાનાભાઇને ત્યાં મુકી અલગ રહ્યો. પોતે જેને ચાહતો હોય, જેના માટે પોતાને માન હોય તેવી વ્યકિત દ્વારા અન્યાય થાય ત્યારે વ્યક્ત ન થાય તેવી લાગણી થતી હૉય છે. પરિસ્થિતીના પ્રહારોથી તેનું મન મરી ગયું હતુ.
રુમમાં માનો નિશ્ર્ચેતન દેહ પડયો હતો. નાનો ભાઇ આવીને તેને બાઝીને રોઇ પડ્યો. પરંતુ એ રોઇ ના શક્યો. નાનો ભાઇ તેને અલગ રુમ માં લઇ ગયોને કહ્યું કે, "ભાઇ, તમારી પરિસ્થિતી અને લાગણીઓને લાગેલ ઠેસ સમજી શકાય તેવી છે. પણ એના માટે મા જવાબદાર નથી. તમારી ‘સુડી વચ્ચે સોપારી’ જેવી હાલાત જોઇ, ત્યારે મા એ નક્કી કરી લીધું કે આમાથી તને મુકત કરાવવો.'
માએ રાહ પણ જોઇ અને પ્રયત્નો પણ કર્યા કે મીતાભાભી આપણા ઘરને પોતાનું ઘર સમજે. એને જ્યારે પ્રતીત થયું કે સુધારા માટે કોઇ અવકાશ નથી, કોઇ રસ્તો નથી, ત્યારે માએ એવા વ્યવહારો ચાલુ કર્યા કે તારુ મા માંથી મન ઉઠી જાય. એના અસંદીગ્ધ વ્યવહારો પાછળનું એક માત્ર ઉદ્વેશ તારી આત્મીયતા ઓછી કરવાનું હતુ. કારણકે તમારી મા સાથેની આત્મીયતા એટલી હતી કે કદાચ તમે ભાભીને મુકી દો, પરંતુ માને ન મુકો. આ આત્મીયતા મા એ દિલ પર પથ્થર મુકીને તોડાવી અને એ પથ્થર ભાર પોતાની સાથે લઇને ગઇ. મને સોગંદથી બાંધીને રાખ્યો હતો આ વાત તમને ન કરવા માટે. પરંતુ, મને લાગ્યુ કે આ વાત જો આજે પણ છુપાવીશ તો તમને અને સ્વર્ગસ્થ મા બનેને અન્યાય કરીશ.
અને એના અશ્રુબંધન છુટી ગયા અને માના દેહને નાના બાળક્ની માફક બાઝી પડયો. પોતાના આંસુઓથી માના નિશ્ર્ચેતન પગ ભીંજવતો રહ્યો.