જ્ઞાતિ વહુ
જ્ઞાતિ વહુ
" બેટા મનીષા દસ લાખ રૂપિયા કબાટમાં મૂકેલા છે. જોજે કોઈ હાથફેરો ન કરી જાય." જગદીશભાઈ પોતાની મોટી વહુ નિરાલી સામે કડવી નજર નાખતા બોલ્યા.
નિરાલી ઘરમાં મોટી હતી તો સમસમી ગઈ કે લગ્નના 6 વર્ષ થયા હોવા છતાં કેમ મારી સાથે આવો વ્યવહાર ? અને તેની આંખોના ખૂણા ભીંજાઈ ગયા પણ પતિએ આપેલ પ્રેમના કારણે કઈ બોલી નહીં.
નિરાલી અને કાર્તિકના લવ મેરેજ હતા. બંને કોલેજ સમયથી જ એકબીજાને પસંદ કરતા હતા અને સાત જન્મ સાથે રહેવાના કોલ લીધા હતા પણ જ્યારે બધાને ખબર પડી કે છોકરો બીજી જ્ઞાતિનો છે તો નિરાલીના પરિવારે નિરાલીને સમજાવવાની કોશિશ કરી પણ નિરાલી અને કાર્તિક પોતાના વચન પર અડગ રહ્યા અને લગ્ન કરી લીધા અને નિરાલીના પરિવારે નિરાલી સાથે તમામ સંબંધો તોડી નાખ્યા. આ બાજુ જગદીશભાઈ પણ નિરાલીને અપનાવતા ન હતા પણ કાર્તિકના 5 આંકડાના પગારની લાલચે નિરાલીને અપનાવી લીધી. તે નિરાલી પર વિશ્વાસ કરતા ન હતા. તેમનું માનવું હતું કે જ્ઞાતિની છોકરી રીતિ રિવાજ અને બધું જાણે. બીજી જ્ઞાતિના લોકો પર શું ભરોસો કરાય ? વહુ તો જોઈએ સમાજની જ, તે સમાજના ડરથી ખરાબ વ્યવહાર કરતા ડરે. તેથી બધો વહીવટ તેમણે જાતે પસંદ કરેલ ઓછું ભણેલ નાની વહુ મનીષાના હાથમાં આપી દીધો.
પાંચ દિવસ બાદ વહેલી સવારે જગદીશભાઈ બૂમ પાડતા બોલ્યા. "ઓ નિરાલી, જલ્દી પોલીસને ફોન કર. આ મનીષા દસ લાખ રૂપિયા અને દાગીના ઉઠાવીને એના જુના પ્રેમી સાથે ભાગી ગઈ." આટલું બોલતાં જગદીશભાઈને પેરાલીસીસનો હુમલો આવ્યો અને તે ફસડાઈ પડ્યા.
મોરલ : કોઈ ઉપર વિશ્વાસ કરતા પહેલા તેને ઓળખવું જરૂરી છે.