જીવનનું સાચું સુખ
જીવનનું સાચું સુખ
દાર્શનિક પ્રવચક, સ્ટેજની વચ્ચોવચ્ચ આવીને માઈકની સામે ઊભા રહી ગયા. એમણે હાથ જોડીને દર્શકોને નમન કર્યું, અને જ્યારે તાળીઓનો ગડગડાટ સંભળાઈ, ત્યારે એમણે માથું ઊંચું કરી, બોલવાનું શરું કર્યું. લગભગ, એક કલાક સુધી એમણે, 'જીવનનું સાચું સુખ કયું ?', એ વિષય ઉપર પ્રવચન આપ્યું. પોતાની સ્પીચમાં એમણે ઘણા બધા વાસ્તવિક જીવનનાં ઉદાહરણો આપ્યા, જેથી એમની વાણીમાં રોમાંચ આવ્યું, અને પ્રેક્ષકોનું ધ્યાન પણ એમની તરફ કેન્દ્રિત રહ્યું.
એક કલાક ક્યાં નિકળી ગયો ખબર જ ન પડી. અંતે, તેમણે પોતાના વ્યાખ્યાનનો સારાંશ લાવતા કહ્યું, "જીવનનું સાચું સુખ પૈસામાં નથી. પૈસા તો ફક્ત મોહ અને માયા છે. જીવનનું સાચું સુખ તો મનની શાંતિમાં છે, અને બીજાના મોઢે સ્મિત લાવવામાં છે."
વ્યાખ્યાન પૂરું થતા, પ્રવચક ખૂબ થાકી ગયા. અંદર ગયા પછી એમણે પાણી પીતા પીતા, તેમના સહાયકને પૂછ્યું, "કેટલા પ્રેક્ષકો હતા ?"
"એંસી."
પ્રવચકને આઘાત લાગ્યો અને એકદમથી બોલી ઊઠ્યા, "શું? ફક્ત એંસી ! તો કેટલા પૈસા જમા થયા ?"
"સાહેબ, ૧૬,૦૦૦/-"
"બસ ?!? આમાં આપણું કંઈ ભલીવાર ન થાય."
પ્રવચકે નાક સુકળતા મોઢું બગાડ્યું, અને ગુસ્સામાં બોલ્યા, "આટલી રિસર્ચ કરી, એક કલાક બડબડ કર્યું, આટલો શ્વાસ ફૂલાવ્યો, પણ બધી મહેનત વ્યર્થ ગઈ."